Get The App

હિન્દી ફિલ્મોના વળતાં પાણી? ક્યાં શું કાચું કપાય છે?

Updated: May 8th, 2025

GS TEAM


Google News
Google News
હિન્દી ફિલ્મોના વળતાં પાણી? ક્યાં શું કાચું કપાય છે? 1 - image


- 'આપણે સામાન્ય દર્શકો માટે ફિલ્મો બનાવવાનું જ બંધ કરી દીધું છે. આજે આપણે આખા ભારતના દર્શકોને ધ્યાનમાં રાખી ફિલ્મ બનાવતાં નથી. આપણે નાનાં નાનાં જૂથો માટે ફિલ્મો બનાવવા માંડી છે.'

હિન્દી ફિલ્મ ઉદ્યોગમાં પરિવર્તનનો પવન ફૂંકાવાની શરૂઆત હજી થઇ નથી. હિન્દી ફિલ્મો તાજેતરના વર્ષોમાં ફૂંકાયેલાં દક્ષિણની ફિલ્મોના વાવાઝોડા સામે ધ્વસ્ત થઇ ગઇ એ પછી તેમાં ફરી પ્રાણ પુરાયો નથી. એકાદ છાવા કે જાટ ફિલ્મ સફળ  થાય તો તેના જોરે કામ ચાલે તેમ નથી. આજે હિન્દી ફિલ્મોની જે હાલત થઇ છે તેના માટે ક્યા પરિબળો જવાબદાર છે તે સમજવા માટે અગ્રણી ફિલ્મમેકર્સ શું કારણો આપે છે તે જાણીએ. 

હિન્દી ફિલ્મોમાં ગજું કાઢનારા મોટાં નિર્દશકો હંસલ મહેતા, શૂજિત સરકાર, વિવેક અગ્નિહોત્રી, વિક્રમ ભટ્ટ અને વિપુલ શાહના મતે વિવિધ કારણોસર હિન્દી ફિલ્મોની હાલત વણસી રહી છે. ફિલ્મ બનાવવાનો ખર્ચ વધી રહ્યો છે અને દર્શકો સિનેમાઘરમાં આવતાં નથી. ફિલ્મ સ્ટાર્સનો પણ જાદુ ઓસરી રહ્યો છે. ઓટીટીની બોલબાલા વધી ગઇ છે. આ સંજાગોમાં શું કરીએ તો હિન્દી ફિલ્મોની રોનક પાછી ફરે એ સવાલનો જવાબ આ નિર્દેશકોના વિચારમાંથી મેળવવો રહ્યો. 

હંસલ મહેતા

શાહિદથી માંડી સ્કેમ અને સ્કૂપ સુધીની સફળ ફિલ્મો આપનારાં ૫૬ વર્ષના હંસલ મહેતા હાલ તેમની ગાંધી સિરિઝની રિલીઝ માટે ભાગદોડ કરી રહ્યા છે. હંસલ મહેતા કહે છે, સમસ્યા એ નથી કે દર્શકો રસ ગુમાવી રહ્યા છે. સમસ્યા એ છે કે હાલ જે ઇન્વેસ્ટમેન્ટ થઇ રહ્યું છે તે સલામત અને રિસાયકલ્ડ અને ફોર્મ્યુલા ફિલ્મોમાં થઇ રહ્યું છે તેને કારણે વર્તમાન તબક્કો સર્જાયો છે. હિન્દી ફિલ્મ ઉદ્યોગ મરણપથારીએ નથી. તે હવે ધરમૂળથી પરિવર્તન માટે તૈયાર છે. હિન્દી સિનેમાનું ભાવિ પ્રતિભાશાળી નવયુવાનોને અજમાવવામાં, બોલ્ડ સ્ટોરીટેલિંગમાં અને પટકથામાંથી કમાલની ફિલ્મ બનાવી શકે તેવા નિર્દેશકોના હાથમાં રહેલું છે. છેલ્લા થોડા વર્ષોમાં પુરવાર થઇ ગયું છે કે સ્ટારને જોવા માટે જ લોકો સિનેમાઘરોમાં આવતાં નથી. તમે સ્ટોરી રસ પડે તેમ કહો તો લોકો જરૂર ફિલ્મ જોવા આવે છે. નવી પેઢીના એક્ટર્સ, ફિલ્મમેકર્સ અને લેખકો હિન્દી ફિલ્મોના કલેવર બદલવા માટે સુસજ્જ છે. 

શૂજિત સરકાર 

વિકી ડોનર, પિકુ અને સરદાર ઉધમસિંહ જેવી એકમેકથી અલગ પ્રકારની સફળ ફિલ્મો આપનારાં શૂજિત સરકારની છેલ્લી ફિલ્મ આઇ વોન્ટ ટુ ટોક બોક્સ ઓફિસ પર ચાલી નથી. તેઓ કહે છે, હું લોકોના કાફલા અને તેઓ શું ચાર્જ કરે છે તેના વિશે વાત નહીં કરું. પણ એકવાત નક્કી છે કે લોકપ્રિય અભિનેતાઓએ  તેમની ફી ઘટાડવી પડશે. જો તેઓ તેમની ફી નહીં ઘટાડે તો નિર્દશકો તેમનો સંપર્ક કરવાનું જ બંધ કરી દેશે. હવે ફિલ્મને એક બજેટમાં જ બનાવવાની હોય છે. જો આપણે દર્શકોને સિનેમાઘરોમાં પાછાં લાવવા હોય તો જ્યાં જરૂર હોય ત્યાં ખર્ચ કરવો પડશે. જો નિર્દેશક અમુક રીતે શોટને ફિલ્માવવા માગતો હોય તો તેના માટે ખર્ચ કરો. એક્ટર્સની ફી ચૂકવવા  નિર્દેશકે તેના વિઝન સાથે સમાધાન કરવું પડે તે યોગ્ય નથી. 

વિવેક અગ્નિહોત્રી 

કાશ્મીર ફાઇલ્સ અને વેક્સિન વોર જેવી સાવ અલગ પ્રકારની ફિલ્મો બનાવવા જાણીતાં વિવેક અગ્નિહોત્રી ફિલ્મ ઉદ્યોગ વિશે તેમના વિચારો બેધડક વ્યક્ત કરવા માટે જાણીતાં છે. હંસલ મહેતાની જેમ વિવેક અગ્નિહોત્રી પણ માને છે કે બોલિવૂડ હાલ ફનાફાતિયાં થઇ ગયું છે. આ હાલત ફિલ્મ ઉદ્યોગ માટે સારી છે. નવી ઇમારત સર્જવી હોય તો તમારે બિસ્માર ઇમારત તોડી પાડવી પડે. આજે ફિલ્મ ઉદ્યોગ આ તબક્કામાંથી પસાર થઇ રહ્યો છે. કોઇ નવા નિર્માતાઓ નથી. નવા વિચારો નથી. વિતરણ અને માર્કેટિંગમાં કોઇ નવીનતા નથી. થોડા વર્ષ અગાઉ ડઝન જેટલા ફિલ્મ સ્ટુડિયો ધમધમતા હતા, આજે માંડ બે કે ત્રણ બચ્યા છે. આ બચેલાં સ્ટુડિયો પણ ઇજારાશાહીમાં માનનારા છે. તેમની આ ફિલ્મ ઉદ્યોગમાં હાજરીનું કારણ પણ અન્ય છે. વિવેક અગ્નિહોત્રી ઉમેરે છે, ફિલ્મ બનાવવાની લગનનું સ્થાન કોર્પોરેટ લાલચે લઇ લીધું છે. આજે કોઇ પ્રોમિસિંગ યુવાન ફિલ્મ સ્ટાર નથી. તમે ૨૧થી ૩૫ વર્ષના વયજૂથમાં કોઇને કાસ્ટ કરવા માંગતા હો તો તમને હિરો કે હિરોઇન્સ કોઇ નહીં મળે. ંકાશ્મીર ફાઇલ્સના નિર્માતા-નિર્દેશક વિવેક અગ્નિહોત્રી પહલગામ આતંકી હુમલા બાદ ફરી ન્યુસમાં છે. તેઓ કહે છે મારી ફિલ્મ ખતરા સામેની ઘંટી હતી. ૨૨ વર્ષ અગાઉ આ જ રીતે કાશ્મીરી પંડિતોની હત્યા કરાઇ હતી.  તે જ રક્તપાત અને તે જ ખીણ અને તે જ સન્નાટો. નરસંહાર ભણી ક્યાં સુધી દુર્લક્ષ કરીશું? 

વિક્રમ ભટ્ટ 

વિક્રમ  ભટ્ટે ગુલામ અને રાઝ જેવી મનોરંજક ફિલ્મો બનાવી છે. પણ તાજેતરમાં તેમની ફિલ્મ તુમકો મેરી કસમ બોક્સ ઓફિસ પર ચાલી નથી. વિક્રમ ભટ્ટ કહે છે, સાઉથની જેમ આપણે વ્હીસલ મારીને તાળીઓ પાડતાં દર્શકો માટે ફિલ્મો બનાવવાનું બંધ કરી દીધું છે. દક્ષિણમાં દર્શકો તેમના સુપરહીરોને જોવા સિનેમાઘરોમાં ધસારો કરે છે. આજે દરેક જણ આમજનતા માટે ફિલ્મ બનાવવાનું ભૂલી ચૂક્યા છે. કોરોના મહામારી દરમ્યાન સિનેમાઘરોમાં જઇને ફિલ્મ જોવાની દર્શકોની ટેવ છૂટી ગઇ છે. ખાસ પ્રકારની ફિલ્મો જોવા ટેવાયેલો વર્ગ એમ કહે છે તેમની પસંદગીની ફિલ્મ ઓટીટી તે ટેલિવિઝન પર ટૂંક સમયમાં આવી જવાની છે. આપણે આમજનતાને સપૂર્ણપણે અવગણી છે પણ દક્ષિણના ફિલ્મ ઉદ્યોગે આમ કર્યું નથી. તેઓ હંમેશા તેમના સામાન્ય માણસો માટે ફિલ્મો બનાવતાં રહ્યા છે અને એટલે જ સાઉથની ફિલ્મો આખા દેશમાં સફળ બની રહી છે. લોકો કાન્તારા અને પુષ્પા જોવા જાય છે અને તેવી ફિલ્મો જોવા માંગે છેે. હમ તો ઐસી ફિલ્મો બનાના હી ભૂલ ગયે હૈ જિસે દેખકર ઓડિયન્સ સીટી ઔર તાલિયાં બજાયે. 

વિપુલ શાહ 

જ્યાં સામાન્ય હિન્દી ફિલ્મો બોક્સ ઓફિસ પર નિષ્ફળ જઇ રહી છે ત્યારે આંખે જેવી સફળ ફિલ્મ આપનારા વિપુલ શાહે ૨૦૨૩માં ધ કેરાલા સ્ટોરી જેવી સફળ ફિલ્મ બનાવી. તેઓ વિપુલ શાહ માને છે કે હાલ હિન્દી ફિલ્મ જે તબક્કામાં છે તેમાંથી બહાર આવતાં તેને લાંબો સમય લાગશે. આપણે સામાન્ય દર્શકો માટે ફિલ્મો બનાવવાનું જ બંધ કરી દીધું છે. આજે આપણે આખા ભારતના દર્શકોને ધ્યાનમાં રાખી ફિલ્મ બનાવતાં જ નથી. આપણે નાના નાના જૂથો માટે ફિલ્મો બનાવવા માંડી છે. ૨૫, ૫૦ કે ૧૦૦ જણાંના આ જૂથો મલ્ટીપ્લેેક્સમાં ફિલ્મો જુએ છે. તેને કારણે આપણી અપેક્ષાઓ પણ એવી બની ગઇ છે કે માત્ર આ લોકો જ આપણી ફિલ્મો ગમવી જોઇએ. હિન્દી ફિલ્મોની અવદશાના ઘણાં કારણો છે પણ આ કારણ મુખ્ય જણાય છે.  

Tags :