- 'નીરજ પાંડે જેવી વ્યક્તિ આવી ફિલ્મ બનાવે અને મનોજ બાજપેયી એમાં કામ કરવા તૈયાર થાય એ વાત જ ખરેખર શોકિંગ છે.'
નીરજ પાંડેની મનોજ બાજપેયી સ્ટારર ફિલ્મ 'ઘુસખોર પંડત'ના વિરોધીઓ વધતા જાય છે. (પંડત એટલે પંડિત શબ્દનું અપભ્રંશ.) ગયા સપ્તાહે મૂવીના ટાઈટલની જાહેરાત થઈ ત્યારથી એની સામે વિરોધનો વંટોળ ઉઠયો છે. હવે બોલિવુડમાંથી જ 'ઘુસખોર પંડત' સામે મોટો અવાજ ઉઠયો છે. ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઇન્ડિયા સિને એમપ્લોયીઝ (એફડબલ્યુઆઈસીઈ)ના મૂવીના ટાઈટલને વાંધાજનક અને અપમાનજનક ગણાવી એના પર પ્રતિબંધ મૂકવાની બુલંદ માગણી કરી છે. 'ઘુસખોર પંડત'ના ટાઈટલને લઈને હિન્દીભાષી રાજ્યો ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશમાં રાજકીય વિવાદ છેડાયો છે. બ્રાહ્મણોના વિવિધ સંગઠનોએ ફિલ્મમાં પોતાની જાતિને ખરાબ ચીતરી ઉતારી પડાઈ હોવાનો આક્ષેપ કરી ફિલ્મ પર બેન મૂકવાની ડિમાંડ કરી છે. ઉત્તર પ્રદેશમાં તો ખુદ મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથે જ ફિલ્મના ડિરેક્ટર સામે એફઆઈઆર નોંધવાનો આદેશ આપ્યો છે. જ્યારે બીજી તરફ, ઠેરઠેર ફિલ્મમેકર્સ અને એક્ટર મનોજ બાજપેયીના પૂતળાને આગ ચંપાઈ રહી છે. દિલ્હી હાઈકોર્ટમાં ફિલ્મની રિલિઝને પડકારતી રિટ પિટીશન પણ નોંધાવાઈ છે. મનોજ બાજપેયી અને નીરજ પાંડે ફિલ્મના બચાવમાં એવી દલીલ કરી રહ્યા છે કે ફિલ્મની સ્ટોરી ફિક્શનલ (કાલ્પનિક) છે. સ્ટોરીના કેન્દ્રમાં એક વ્યક્તિની પસંદગીઓ અને એનાં કાર્યો છે. સ્ટોરીમાં કોઈ ખાસ જાતિ વિશે કોઈ કમેન્ટ નથી કરાઈ.
મેકર્સે લોકોના વિરોધને શાંત પાડવા ફિલ્મનું તમામ પ્રમોશનલ મટીરિયલ પણ તાત્પુરતું પાછું ખેંચી લીધું છે. છતાં વિરોધનો જુવાળ જેમનો તેમ છે. એમાંય બોલિવુડના વર્કર્સના યુનિયન એફડબલ્યુઆઈસીઈનો વિરોધ સૌથી બોલકો છે. 'અમારું સંગઠન કોઈ પણ સમાજની ઠેકડી ઉડાડવાની સખત વિરુદ્ધમાં છે. એટલે અમે ફિલ્મનું માત્ર ટાઈટલ બદલવાની જ માગણી નથી કરતા, અમારી ડિમાંડ તો ફિલ્મ પર બેન મૂકવાની છે. એટલા માટે કે ફિલ્મના ટાઈટલમાં જ (મેકર્સનો) દેખીતો ઈરાદો જોઈ શકાય છે. અગાઉ આવી બાબતો ચલાવી લેવાઈ હશે, પણ આજે એ સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે,' એમ એફડબલ્યુઆઈસીના પ્રેસિડન્ટ બી.એન. તિવારી કહે છે.
તેમણે એવી ચીમકી આપી હતી કે 'ઘુસખોર પંડત'ની રિલીઝ નહિ અટકાવાય તો એફડબલ્યુઆઈસીઈ ફિલ્મના પ્રોડયુસર, ડિરેક્ટર અને કાસ્ટ સામે નોન-કોઓપરેશન નોટિસ ઇસ્યુ કરશે. બીજા શબ્દોમાં કહીએ તો યુનિયન એમની સામે અસહકારમાં ઉતરશે. 'નીરજ પાંડે જેવી વ્યક્તિ આવી ફિલ્મ બનાવે અને મનોજ બાજપેયી એમાં કામ કરવા તૈયાર થાય એ ખરેખર શોકિંગ છે,' એવી કમેંટ તિવારી સમાપનમાં કરે છે.
અત્રે નોંધવું ઘટે કે યુપી અને બિહારમાં પાંડે અને બાજપેયી અટક બ્રાહ્મણો જ રાખતા હોય છે...


