સ્વપ્નિલ જોશી : હિન્દી ફિલ્મો કરવાની તાલાવેલી નથી, કેમ કે...
- 'હિન્દી વર્સિસ રિજનલ સિનેમાની ડિબેટ પર હવે પૂર્ણવિરામ મુકાઈ જવું જોઈએ. અંતે સૌ ફિલ્મો ભારતીય સિનેમાનો જ હિસ્સો છે. આપણે આ તથ્યનો જેટલો વહેલો સ્વીકાર કરીશું, બિનહિન્દી ફિલ્મો એટલી જલદી નવાં શિખરો સર કરી શકશે.'
મો ટા ભાગના એક્ટરોને પોતાની માતૃભાષા પ્રત્યે જબરદસ્ત ખેંચાણ અને લગાવ હોય છે. માતૃભાષામાં ફિલ્મ કરવાનું એમનું ગમતું હોય છે. સ્વપ્નિલ જોષી આવો જ એક અભિનેતા છે. હિન્દી ટીવી સિરીયલોથી કરીઅર શરૂ કરનાર સ્વપ્નિલ આજે મરાઠી ફિલ્મોનો ટોપનો એક્ટર છે. એની હિટ મરાઠી ફિલ્મ 'વાળવી'એ થિયેટરોમાં ધૂમ મચાવી છે.
વાળવી મરાઠી શબ્દ છે. અને ગુજરાતીમાં એનો અર્થ ઉધઈ થાય છે. આ કોમિક મર્ડર મિસ્ટ્રીમાં સ્વપ્નિલ જોશી એક ધૂર્ત અને ઠગભગત પતિના રોલમાં છે. ઝી સ્ટુડિયો દ્વારા અપાયેલી વાળવીની સક્સેસ પાર્ટીમાં એક્ટરે મિડીયા સાથે દિલ ખોલીને સંવાદ કર્યો હતો. એક પૃચ્છાના ઉત્તરમાં સ્વપ્નિલ કહે છે, 'હકીકતમાં મેં આ ફિલ્મ માટે કોઈ પ્રકારનું પ્રિપરેશન નહોતું કર્યું. એનું કારણ છે કોઈ એક્ટર જ્યારે મધુ ગંધા કુલકર્ણી દ્વારા લિખિત અને પરેશ મોકાશી દિગ્દર્શિત ફિલ્મમાં કામ રતો હોય ત્યારે એનું કામ ફક્ત સ્ટોરી અને ડિરેક્શન સમક્ષ સરેન્ડર થઈ જવા જેટલું જ હોય છે. એટલે મેં મારું અભિનય વિશેનું તમામ નોલેજ અને બધો જ અનુભવ ભુલાઈ દઈ કોરી પાટીથી ફિલ્મનું કામ શરૂ કર્યું હતું.
મરાઠી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં નામ અને દામ કમાયા બાદ હવે તમને હિન્દી ફિલ્મોમાં આવવાનું મન નથી થતું એવા પ્રશ્નને હસી કાઢવા એક્ટર કહે છે, 'આટલા વરસોમાં મરાઠી સિનેમાએ જ મારી પ્લેટ ફુલ રાખી છે. મને અહીં મનગમતું કામ મળ્યું છે. વળી, આ રિજનલ ફિલ્મો કરવાનો સાચો સમય છે. અભિનેતા તરીકેની મારી યાત્રાએ મને અંદરથી વિવેકી અને સમૃદ્ધ બનાવ્યો છે અને આ સફરમાં મેં ખૂબ આનંદ કર્યો છે. ઈશ્વર કૃપાથી મને મારું મનગમતું કામ કરવા મળે છે અને એ કરીને સારંુ વળતર પણ મેળવું છું. મેં ચોકલેટ બોય હિરો તરીકે સિનેમામાં શરૂઆત કરી હતી પણ પછી કશુંક નવું કરવાની ધગશે મને દોડતો રાખ્યો અને આ પ્રવાસમાં મારી પ્રગતિમાં મદદરૂપ પણ થઈ.
સ્વપ્નિલના મતે વાળવી મરાઠીની પહેલી થ્રિલર કોમેડી ફિલ્મ છે. એમાં માનવીય સંબંધોને થ્રિલરૂપે પેશ કરાયા છે. વાળવીમાં બનતા બનાવો દર્શકોને પોતાના જીવનમાં બનેલા પ્રસંગો જેવા જ લાગે છે. ફિલ્મ વિશે વાત કરવા એવી રમુજ પણ કરી લે છે કે પ્રેક્ષકો વાળવીમાં પાત્રો અને એમની દયનીય દશા જોેઈને હસવું ખાળી નથી શકતા.
સ્વપ્નિલ દ્રઢપણે એવું માને છે કે નવું કોન્ટેન્ટ આપવાની બાબતમાં મરાઠી સિનેમા ઈન્ડસ્ટ્રી દેશમાં નંબર વન છે. એની પાસે જોનરની કદી કમી નથી હોતી. સાથોસાથ એક્ટરને એવું પણ લાગે છે કે ભારતમાં જુદી જુદી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝ વચ્ચેની ભેદરેખા ભુંસાઈ રહી છે. એટલે હિન્દી વર્સિસ રિજનલ સિનેમાની ડિબેટ પર હવે પૂર્ણવિરામ મુકાઈ જવું જોઈએ. અંતે તે દેશમાં બનતી બધી ફિલ્મો ભારતીય સિનેમાનો જ એક હિસ્સો છે. આપણે એનો જેટલો વહેલો સ્વીકાર કરીશ એટલો જલ્દી કહેવાતા પ્રાદેશિક સિનેમા નવા શિખરો સર કરશે. અને એનું બધે જ વજન પડતું થશે? એવી સમાધાનકારી ફોર્મ્યુલા એક્ટર આપે છે.