- મોટાભગના ઘરોની જેમ અમારા પરિવારમાં પણ મોસમની પહેલી કેરી નિવેદ તરીકે ભગવાનને ધરવાનો રિવાજ છે. બસ ત્યારથી ફેમિલીમાં મેંગોની સીજન ઓફિશ્યલી શરૂ થઈ જાય,' એમ શ્રિયા કહે છે.
સાચો મુંબઈગરો ઉનાળામાં આફુસ કેરી ખાધા વિના ન રહી શકે. એ પોતાના વડા-પાવ જેટલો જ આમ્રફળને પ્રેમ કરે છે. મુંબઈમાં જન્મેલી અને ઉછરેલી એકટ્રેસ શ્રિયા પિલગાંવકરે હમણાં મીડિયાને પોતાના અસીમ 'આંબાપ્રેમ'નો પરિચય કરાવ્યો છે. શ્રિયાએ મીડિયાકર્મીઓ અને ફોટોગ્રાફરોની એક ટીમ સાથે કેરીની સુગંધથી મધમધતી એક માર્કેટમાં પહોંચી જઈ એક્સકુજિવ ફોટોશૂટ કરાવ્યું. એણે સારી મીઠી આફુસ કેરી કઈ રીતે પસંદ કરવી એની પત્રકારોને અમુક ટિપ્સ પણ આપી.
'મિર્ઝાપુર', 'ધ બ્રોકન ન્યુસ' અને 'બીચમ હાઉસ' જેવા પ્રોજેક્ટસમાં પોતાના પરફોર્મન્સ માટે જાણીતી શ્રિયા માટે કેરીની મોસમ ઉનાળાની સૌથી વિશિષ્ટ મોજ બની રહે છે. 'મારું એવું માનવું છે કે મેન્ગોની સીજનને કારણે આ બળબળતી ગરમી થોડીક સહ્ય બની રહે છે. મુઝે હાપુસ આંબા બહોત પસંદ હૈ. હું નાની હતી ત્યારથી જોતી આવી છું કે ઘરે કેરીની પાટીઓ આવે ત્યારે જ લાગે કે હવે ઉનાળો ખરેખર બેસી ગયો છે. વરસોના અનુભવપરથી મેં સારામાં સારા આંબા પસંદ કરવાની આવડત કેળવી છે. એકદમ મધ જેવી મીઠી કેરી વીણવામાં હું માહિર છું. આમ તો અમે રત્નાગિરીની કેરીની વાડીઓમાંથી જ સીધી આફુસ મગાવીએ છીએ, જે એકદમ ફ્રેશ અને ઓર્ગેનિક હોય છે.'
એક્ટરને એના કેરી પુરાણમાં વચ્ચે રોકી મીડિયામાંથી કોઈ એને પૂછે છે, 'મેડમ, તમને આંબા કઈ રીતે ખાવા ગમે?' શ્રિયા ફટ દઈને કહે છે, 'મને આખી કેરી હાથમાં પકડી ચુસીચુસીને ખાવી બહુ જ ગમે. હું રોજની ૪ કેરી ઝાપટી જાવ છું. કેરીનો રસ હોય તો એમાં ઘી નાખીને ખાવાની મજા કાંઈક ઔર છે. ઘી કેરીની ગરમીનું મારણ છે, એને લીધે કેરી નડતી નથી.'
મિસ પિલગાંવકરના કેરીપ્રેમના મૂળ એના સંસ્કારી પરિવારમાં ઉછેર સાથે જોડાયેલા છે. એના પિતા (વર્સેટાઈલ એક્ટર-ડિરેક્ટર સચિન)નો પરિવાર ગોવાના પિલગાંવનો વતની હોવાથી એમના ઘરમાં અને ખાસ કરીને કિચનમાં મહારાષ્ટ્રીયન અને ગોવન કલ્ચરનો સંગમ વર્તાય છે. 'કેરીની મોસમમાં અમારા ઘરે કેટલીક અદ્ભુત વાનગીઓ બને છે. એમાં મારી સૌથી ફેવરીટ અણસા ફણસાની ભાજી છે, જે કેરી, ફણસ અને અન્નાનસનું કોમ્બિનેશન છે. એની રેસિપી મારી આજી (દાદી)ની મધરે એમને શીખવાડી હતી અને આ વરસે હું એમની પાસેથી શીખી છું. આ ખાટી-મીઠી ભાજી (શાક)માં પાકી કેરીને લીધે મિઠાસ આવે છે, ફણસ એ ગળપણમાં ઉમેરો કરે છે જ્યારે અન્નાનસને લીધે એમાં થોડી ખટાસ આવે છે. મોટાભગના ઘરોની જેમ અમારા પરિવારમાં પણ મોસમની પહેલી કેરી નિવેદ તરીકે ભગવાનને ધરવાનો રિવાજ છે. બસ ત્યારથી ફેમિલીમાં મેંગોની સીજન ઓફિશ્યલી શરૂ થઈ જાય,' એમ શ્રિયા કહે છે. એકટ્રેસ આફુસ પાછળ ગાંડી હોવા છતાં એ ઉનાળામાં કેરીની તમામ જાતનો સ્વાદ લેવાનું ચુકતી નથી. 'મને તો પાયરી, લંગડા, બદામી અને તોતાપુરી - બધી જ કેરી ભાવે. મને યાદ છે કે હું નાની બેબી હતી ત્યારે મારા મામા કેરીની પેટીઓ લઈને ઘરે આવતા. ત્યારે ઉનાળો એટલે મારે મન સ્કૂલનું વેકેશન જ નહિ, કેરી ખાવાનો આનંદ લેવાના પણ દિવસો હતા,' એવા શબ્દોમાં મેન્ગો પુરાણનું સમાપન કરતા શ્રિયાના ચહેરા પર અનેરો આનંદ વર્તાય છે. પિલગાંવકરની બે ફિલ્મો 'મિર્ઝાપુર - ધ મૂવી' અને 'હૈવાન' આ વરસે થિયેટરોમાં જોવા મળશે.


