શંકર મહાદેવન AIને પાક્કો દોસ્ત બનાવવાના મૂડમાં
'બ્રેથલેસ સિંગર' તરીકે વિશ્વભરમાં જાણીતા શંકર મહાદેવન જમાના પ્રમાણે ચાલનારા મ્યુઝિશ્યન છે. દુનિયા આખી આર્ટિફિશ્યલ ઈન્ટેલીજન્સ (એઆઈ)ને કારણે બેકારી ફાટી નીકળવાની દહેશત સેવી રહી છે ત્યારે મહાદેવન એની સાથે 'દોસ્તી' કરવાની વાત કરે છે. એટલા માટે કે નવી ટેક્નોલોજીને અપનાવ્યા વિના છૂટકો નથી. ટેક્નોલોજીથી ભાગવાથી માણસનું અહિત જ થવાનું છે.
મુંબઈમાં વર્લ્ડ ઓડિયો વિડિયો એન્ટરટેઈનમેન્ટ સમિટ (વેવ્સ) ૨૦૨૫માં મહાદેવને કહેલું, 'એઆઈ હકીકતમાં એક કિંમતી ઓજાર છે. જે માનવીની સર્જકતાનું સ્થાન લેવાને બદલે એને નવી ઊંચાઈ સુધી લઈ જઈ શકે છે. એઆઈ એક એવા મિત્ર જેવું છે જે તમને ગાઈડ કરી શકે છે અને તમને એક ચોક્કસ દિશામાં લઈ જઈ મદદરૂપ થાય છે. એટલે જ હું એવું દ્રઢપણે માનું છું કે એઆઈનો મુકામ કાયમી છે.
ગ્રેમી એવોર્ડ વિજેતા મ્યુઝિક કમ્પોઝર અને સિંગરે પોતાના મૌલિક વિચારો મુક્યા હતા. 'એઆઈ, આર્ટિસ્ટને તેના ક્રિએટીવ આઈડિયાઝનો એક રફ સ્કેચ બનાવવામાં સહાય કરી શકે છે. એ આર્ટિસ્ટને એક ફાઉન્ડેશન બતાવી એને આગળ વિકસાવવા પ્રેરે છે. દરેક મ્યુઝિશ્યન, આર્ટિસ્ટ, ડાન્સર, દરેક મ્યુઝિશ્યન, આર્ટિસ્ટ ડાન્સર, એક્ટર કે ડિરેક્ટરને પોતાના સર્જન માટે એક બેઝિક સ્કેચની જરૂર પડે છે. એઆઈ ખરેખર તમને એે સ્કેચ બનાવવામાં મદદરૂપ થાય છે. એ તમારો યાર-દોસ્ત બની તમને સૂચનો કરે છે. તમે એમાં થોડા સુધારા-વધારા કરો પછી એ તમને બીજું સૂચન કરશે અને તમે એમાં તમારું ઈનપુટ નાખી તમારા કલ્પનાને સાકાર કરી શકો છો.'
કલાકારોને એમની થોટ પ્રોસેસ અને ક્રિએટિવિટીને ઊંચાઈ પર લઈ જવા એઆઈનો એક સાધન તરીકે ઉપયોગ કરવાની સલાહ આપતા વર્સેટાઈલ સિંગર કહે છે, 'જો તમે એનો યોગ્ય રીતે ઉપયોગ કરશો તો એ તમારા મસ્તિષ્કમાં સર્જનના નવા દ્વાર ઉઘાડી દેશે. એ તમારી વધુને વધુ પ્રગતિ કરતું રહેશે. તમારી ક્રિએટીવિટી અને એડ પ્રોસેસને વધારવા એઆઈનો ઉપયોગ કરો પરંતુ એક વાત યાદ રાખજો કે પહેલો અને છેલ્લો નિર્ણય તમારો હોવો જોઈએ, આર્ટિફિશ્યલ ઈન્ટેલીજન્સનો નહિ. એ આઈ અદ્ભૂત રિઝલ્ટ્સ આપી શકે છે એની ના નહિ પરંતુ માનવીની અંતઃસ્ફુરણા અને એની ક્રિએટિવિટીના મહત્ત્વને નજર અંદાજ કરવાની નથી. 'દાખલા તરીકે, કોઈ આર્કિટેક્ટ એક રૂમની થ્રી ડી ઈમેજ દર્શાવવા લેટેસ્ટ ટેક્નોલોજીનો ઉપયોગ કરે. એ સારું છે પરંતુ ફાઈનલ નિર્ણય તો આર્કિટેક્ટનું ક્રિએટીવ મગજ જ કરશે.