- 'હા, સાચી વાત છે. મેં 'હૈદર' માટે વિશાલ ભારદ્વાજ પાસેથી ફી લીધી નહોતી. તે એક પ્રયોગશીલ ફિલ્મ છે. જો મેં ફી લીધી હોત તો 'હૈદર' બની શકી જ ન હોત...'
- 'બોલિવુડ મને લવર બોય તરીક જ જોવા ઇચ્છતું હતું. હું ખુદ આવી ચોક્કસ ઇમેજમાંથી બહાર આવવા ઇચ્છતો હતો અને...'
હિન્દી ફિલ્મ જગતના હેન્ડસમ એક્ટર શાહિદ કપૂરની કારકિર્દી બે હિસ્સામાં વહેંચાયેલી છે. એક રોમેન્ટિક પાત્રો અને બે, ગ્રે ભૂમિકાઓ. શાહિદ કપૂર આમ તો રોમેન્ટિક ભૂમિકાઓમાં દર્શકોને ગમ્યો છે. આમ છતાં શાહિદે છેલ્લાં થોડાં વર્ષ દરમિયાન ગ્રે એટલે કે સમાજ સમક્ષ પોતાની વિચારધારા કે માન્યતાને બહુ આક્રમક રીતે વ્યક્ત કરતી વ્યક્તિની ભૂમિકાઓ વધુ પસંદ કરી છે. ઉદાહરણરૂપે 'કમીને', 'કબીર સિંહ', 'ઉડતા પંજાબ' વગેરે ફિલ્મોમાં શાહિદ કપૂરે આવાં ગ્રે પાત્રો ભજવ્યાં છે.
એ વાત અલગ છે કે એની લેટેસ્ટ ફિલ્મ 'ઓ રોમિયો'ને ઓડિયન્સ તરફથી તદ્દન વિરોધાભાસી પ્રતિભાવ મળી રહ્યો છે ફલ્મફેર એવોર્ડનું સન્માન પણ મળ્યું છે. શાહિદ કપૂર કહે છે, 'જુઓ, હું બહુ સ્પષ્ટપણે માનું છું કે અભિનેતાએ બધાં પ્રકારનાં પાત્રો ભજવવા તૈયાર રહેવું જોઇએ. પોતાની અભિનય પ્રતિભાને વિવિધ પ્રકારની ભૂમિકાઓમાં વહાવવી જોઇએ. ઉપરાંત, હું વર્ષમાં એક જ ફિલ્મ કરવામાં પણ ભારપૂર્વક માનું છું. કોઇ અભિનેતા કે અભિનેત્રી એક સાથે પાંચ-છ ફિલ્મોમાં કામ કરે તો તે ફિલ્મની ભૂમિકાને કદાચ પૂરતો ન્યાય ન પણ આપી શકે એવું પણ બની શકે. આજે મારો આ જ વિચાર કે સિદ્ધાંત બોલિવુડને સમજાયો છે તેનો મને આનંદ છે.'
છેલ્લાં થોડાં વર્ષથી ગ્રે કહી શકાય તેવી ભૂમિકાઓ ભજવતો શાહિદ કપૂર કહે છે, 'હું પોતે પણ આવા જ ચોક્કસ વર્તુળમાં ઘેરાઇ ગયો હતો. બોલિવુડ મને લવર બોય તરીક જ જોવા ઇચ્છતું હતું. હું આવી ચોક્કસ ઇમેજમાંથી બહાર આવવા ઇચ્છતો હતો. મારા હૃદયનો સંકલ્પ જાણે કે બોલિવુડના પ્રયોગશીલ અને બુદ્ધિશાળી નિર્માતા -દિગ્દર્શક વિશાલ ભારદ્વાજ સર સુધી પહોંચ્યો હોય તેમ તેમણે મને પેલા ચકરાવામાંથી બહાર કાઢ્યો. વિશાલ સરે મને તેમની મજેદાર ફિલ્મ 'કમીને' (૨૦૦૯) માં મને પહેલી જ વખત તક આપી. કમીને બ્લેક કોમેડી થ્રીલર ફિલ્મ છે. મેં આ પ્રકારની ફિલ્મ પહેલી જ વખત કરી છે. મારી કારકિર્દી માટે મોટા પરિવર્તનરૂપ હોવાથી પડકાર સ્વીકારી લીધો. મારી અભિનય પ્રતિભા વિશાલ સરના કુશળ દિગ્દર્શનમાં ખીલી. ફિલ્મને દર્શકોએ બહોળો પ્રતિસાદ આપ્યો અને સુપરહિટ થઇ ગઇ. મને ભરપૂર આનંદ અને સંતોષ થયો. ખરું કહું તો વિશાલ સરનો જેટલો આભાર માનું એટલો ઓછો છે. '
એક ખાસ બાબત. બોલિવુડમાં એવી ચર્ચા છે કે શાહિદ કપૂરે 'હૈદર' ફિલ્મમાં કામ કરવા માટે એક પણ પૈસો લીધો નહોતો. કોઇ ફી લીધી નહોતી. શાહિદ કપૂરે કહ્યું , 'હા, સાચી વાત છે. મેં મારી ફી લીધી હોત તો 'હૈદર' બની જ ન હોત કારણ કે તે ફિલ્મ પ્રયોગશીલ છે. વિશાલ સરે મને 'હૈદર' માટે ઓફર કરી ત્યારે મેં વિચાર કર્યા હતો કે આ ફિલ્મ બનશે અને તેમાં હું મારા પાત્રને ન્યાય આપી શકીશ તો આ ફિલ્મ મારી સમગ્ર કારકિર્દી માટે સોનેરી બની રહેશે. ખરેખર એમ જ થયું. હું તો કહું છું કે દરેક અભિનેતાએ અને અભિનેત્રીએ આવી એકાદ યાદગાર ફિલ્મમાં કામ કરવું જ જોઇએ.'


