- 'મારી લાઈફ અને કરીઅરના આ તબક્કે 'કિંગ'નું ટાઈટલ મને મારી ઓળખ ઓછી અને એક રિમાઇન્ડર વધુ લાગે છે.'
શાહરુખની એક્ટિંગ કરીઅરનું આ ૩૭મું વરસ ચાલે છે. ૧૯૮૯માં એસઆરકેએ 'ફૌજી' નામની ટીવી સીરિયલથી ડેબ્યુ કર્યા બાદ કરી પાછું વળીને જોયું નથી. ભારતીય સિનેમામાં એનું કરીઅર દંતકથારૂપ બની રહ્યું. એક્ટર તરીકે એણે સિલ્વર સ્ક્રીન પર રોમાંસની નવી પરિભાષા લખી. શાહરુખના બંને હાથ પહોળા કરીને રોમાંટિક ગીતો ગાવાની અદા બોલિવુડમાં એક આઇકનિક સ્ટાઈલ બની ગઈ. એક પછી એક બ્લોકબ્લસ્ટર ફિલ્મોનો નાયક બનીને એણે ભારતના સીમાડા વટાવી આખા વિશ્વમાં પોતાનો ફેન બેઝ ઊભો કર્યો. આખી દુનિયાના કરોડો ચાહકોએ એકીઅવાજે એને 'કિંગ ખાન'નું બિરુદ આપી દીધું. પૃથ્વી પર કરોડો ખાન વસે છે પણ 'કિંગ ખાન' એક જ છે.
આ ટાઈટલ શાહરુખે પોતાની અભૂતપુર્વ બોક્સ ઓફિસ સકસેસથી નથી મેળવ્યું. એ એના દાયકાઓના સુસંસ્કૃત અને વિનમ્ર વ્યવહારનો ઉપહાર છે. એણે સફળતાને કદી પોતાના પર હાવી નથી થવા દીધી. એક યોગાનુયોગ જુઓ કે એસઆરકેની નેકસ્ટ ફિલ્મનું ટાઈટલ પર 'કિંગ' છે. છતાં ખાને પોતાની અંદર કદી પોતે કોઈ રાજવી કે મોટી ઓથોરિટી હોવાનો ભાવ જાગવા નથી દેતો. એ કિંગ ખાન બનીને પણ ખુદને લાક્ષણિક અહંકારને અળગો રાખી શક્યો છે. એ વાત સ્વયં એક મોટી સિદ્ધિ છે.
હમણાં એક ન્યુઝ એજન્સીને આપેલા ઇન્ટરવ્યુમાં શાહરુખે એવો ખુલાસો કર્યો છે કે 'કિંગ' શબ્દને કદી મંઅ પાવર (સત્તા)ના અર્થમાં લીધો નથી. મારા માટે એ ટાઈટલ પહેલેથી મારા પર ભરોસો કરતા અને મારી ફિલ્મોને ઉમળકાથી વધાવી લેતા લોકો પ્રત્યેની મારી જવાબદારી જ બની રહ્યું છે. એ જવાબદારી પર ખરો ઉતરતો રહું તો ઘણું છે.
કિંગ ખાનનું બિરૂદ પડછાયો બનીને એની સાથે રહ્યું છે, પરંતુ શાહરુખની એવી ફિલસૂફી છે કે સમય જતા મોટામા મોટો બિરુદ પણ નવો અર્થ ધારણ કરી લે છે. બોલિવુડનો આ લેજન્ડ એક્ટર કહે છે, 'સમયાંતરે તમને સમજાય છે કે ખરું મહત્ત્વ બિરુદનું નહિ પણ તમારા કામ પાછળના તમારા ઉદ્દેશનું છે. મારી લાઈફ અને મારા કરીઅરના આ તબક્કે કિંગનું ટાઈટલ મને મારી ઓળખ ઓછી અને એક રિમાઇન્ડર વધુ લાગે છે. એ મને વિનમ્રતા અને શુભ ઉદ્દેશ સાથે ખરા દિલથી જીવવાનું યાદ દેવડાવતું રહે છે. એટલે જ કહું છું કે કિંગ ખાનનું ટાઈટલ મારે મન એક રિમાઇન્ડર છે. હું બધામાં એકતા લાવે અને એમના જીવન ખુશહાલ બનાવે એવું કામ કરતો રહું એ મારે મન ઘણું છે.'


