- 'નેપાળમાં મારા અમુક મિત્રો અને ચાહકો પણ છે. હું મારા ચાહકોને રૂબરૂ મળ્યો. મારાં ચાહકોએ નેપાળમાં ફેન ક્લબ શરૂ કરી છે તેનો આંનંદ છે.'
હિન્દી ફિલ્મ જગતનાં ઘણાં કલાકારો અવારનવાર દેશનાં વિવિધ ધર્મસ્થળોનાં દર્શને જાય છે. અમુક કલાકારો બદ્રીનાથ, કેદારનાથ, મહાકાલેશ્વર, શિર્ડી સાઇબાબા, સોમનાથ વગેરે પવિત્ર મંદિરોનાં દર્શન કરે છે.
તાજેતરમાં બોલિવુડના ખલનાયક એટલે સંજય દત્ત તેના જીગરી દોસ્ત રાહુલ મિત્રા સાથે નેપાળના પ્રસિદ્ધ ભગવાન પશુપતિનાથજીનાં દર્શને જઈ આવ્યા. સંજય દત્તના કહેવા મુજબ મને બે દિવસની યાત્રા દરમિયાન ઘણી માનસિક શાંતિનો અનુભવ થઈ. હું ફિલ્મી દુનિયાનો ઝળહળાટ અને શૂટિંગની ભારે વ્યસ્તતાથી શારીરિક અને માનસિક થાકનો અનુભવ કરું તો તે સ્વાભાવિક છે. રાહુલ મિત્રાના કહેવા મુજબ આમ તો સંજુ બાબા (સંજય દત્ત બોલીવુડમાં સંજુ બાબાના હુલામણા નામે જાણીતો છે)ને ઘણા લાંબા સમયથી નેપાળના પરમ પવિત્ર યાત્રાધામ પશુપતિનાથ મહાદેવજીનાં દર્શન કરવાની ઇચ્છા હતી. જોકે નેપાળમાં ૨૦૨૫ની ૮, સપ્ટેબરે જે રાજકીય તોફાનો થયાં હોવાથી અને નેપાળનું સમગ્ર વાતાવરણ ડહોળાઇ ગયું હોવાથી સંજય દત્તે તેની યાત્રા મોકૂફ રાખી હતી. હવે જોકે નેપાળનો માહોલ શાંત અને સલામત હોવાથી અમે પશુપતિનાથ દાદાનાં ચરણોમાં શીશ ઝૂકાવવા અને આશીર્વાદ લેવા જવાનો નિર્ણય કર્યો . મને ખ્યાલ છે કે સંજય દત્ત દેવાધિદેવ મહાદેવજીનો પરમ ભક્ત છે. સંજય દત્ત કહે છે, અમે નેપાળ યાત્રાનું બે દિવસનું આયોજન કર્યું . નેપાળમાં મારા અમુક મિત્રો અને ચાહકો પણ છે. હું મારા ચાહકોને રૂબરૂ મળ્યો. મારાં ચાહકોએ નેપાળમાં ફેન ક્લબ શરૂ કરી છે તેનો આંનંદ છે. મેં તેમની સાથે મજેદાર વાતો કરી. અમે ગામ ગપાટાં માર્યા. ભરપૂર આનંદ કર્યો. સંજય દત્ત સાથે તોરબાઝ (૨૦૨૦) અને સાહેબ, બીવી ઔર ગેંગસ્ટર (૨૦૧૧) વગેરે ફિલ્મોમાં કામ કરનારો રાહુલ મિત્રા કહે છે, અમે કાઠમંડુમાંના કસીનોની પણ મુલાકાત લેવાનું આયોજન કર્યું હતું. સાથોસાથ અમે નેપાળી વાનગીઓનો પણ ભરપેટ સ્વાદ માણ્યો. ખરું કહું તો અમે બંને જાતજાતની અને સ્વાદિષ્ટ વાનગીઓ ખાવાના જબરા શોખીન છીએ. અમે ભારતના કોઇપણ રાજ્યની મુલાકાતે જઇએ તો ત્યાંની વાનગીઓ જરૂર આરોગીએ છીએ.'


