Get The App

2026માં હિન્દી સિનેમામાં રોમાંસનું રાજ પાછું આવશે

Updated: Mar 5th, 2026

GS TEAM

Google News
Google News
2026માં હિન્દી સિનેમામાં રોમાંસનું રાજ પાછું આવશે 1 - image

- દર્શકોએ રોમાંસને રિજેક્ટ નથી કર્યો, એમણે ફોર્મ્યુલા બેઝડ આઉટડેટેડ રોમાંસને જાકારો આપ્યો છે. રિલેવન્ટ હોવું તે રોમેન્ટિક ફિલ્મો સામે મોટો પડકાર છે 

આમિર ખાનના પુત્ર જુનૈદની નૈયા હાલક-ડોલક છે. 'મહારાજ' જેવી વિવાદાસ્પદ અને વૈષ્ણવોની લાગણી દુભવે એવી ફિલ્મથી ડેબ્યુ કરનાર જુનૈદ ખાનની આજસુધી એક પણ ફિલ્મ ચાલી નથી. અમુક ફિલ્મ તો પ્રોફિટની વાત છોડો, કોસ્ટ પણ કવર નથી કરી શકી. કદાચ એ જુનિયર કાનના વધુ પડતા આત્મવિશ્વાસનું પરિણામ હોઈ શકે. આમિર ઘણાં ઇન્ટરવ્યુઝમાં કહી ચુક્યો છે કે મારા બાળકો મારી વાત સાંભળવા જ તૈયાર નથી. કદાચ જુનૈદને પોતાની એ ભૂલ સમજાઈ છે અને એ હવે સફળતા માટે ડેડીના શરણે આવ્યો છે. આમિર પણ એક પ્રેમાળ પિતા બનીને પુત્રની વહારે આવ્યો છે. ૨૦૨૬માં આમિર ખાન પ્રોડક્શનની એક મૂવી 'એક દિન' આવી રહી છે. 'એક દિન'માં જુનેદ અને સાઈ પલ્લવી લીડ રોલમાં છે અને એનું ડિરેક્શન સુનીલ પાંડે કરી રહ્યા છે. નોંધવા જેવી વાત એ છે કે ફિલ્મ એક લવસ્ટોરી છે. આમિર જુહી ચાવલા સાથે 'કયામત સે કયામત તક' જેવી ક્લાસિક પ્રેમ કથાથી ડેબ્યુ કરીને છવાઈ ગયો હતો. હવે એ મનોમન એવું ઇચ્છતો હોય એ સ્વાભાવિક છે કે મારી જેમ મારા પુત્રને પણ લવસ્ટોરી ફળે. એકલો 'મિસ્ટર પરફેક્શનિસ્ટ' જ નહિ, બોલિવુડના બીજા મેકર્સ પણ આ વરસે રોમાંટિક ફિલ્મો પર મોટો મદાર રાખીને બેઠાં છે. કદાચ એટલા માટે કે ૨૦૨૫માં ત્રણ રોમાંટિક પિલ્મો 'સૈયારા', 'એક દિવાને કી દિવાનિયત' અને 'તેરે ઇશ્ક મેં' સુપર હિટ પુરવાર થઈ હતી. છેલ્લા થોડા વરસોમાં એક્શન અને ફ્રેન્ચાઈસની બ્લોકબ્લસ્ટર મૂવી જ બોક્સ ઓફિસ પર રાજ કરતી રહી છે. એમાં હિન્દી સિનેમાની ઓળખ ગણાતી લવ સ્ટોરીઝની ઘોર ઉપેક્ષા થઈ. 'કોવિડ મહામારી બાદ બોલિવુડમાં રોમાંટિક ફિલ્મોનો દુકાળ પડયો હતો,' એવું ડિરેક્ટર અનુરાગ બાસુ સ્વીકારે છે. પરંતુ ઉક્ત ત્રણ લવ સ્ટોરીઝની સરપ્રાઈઝ સકસેસે પાસુ પલટી નાખ્યું છે. 'સૈયારા', 'તેરે ઇશ્ક મેં' અને 'એક દિવાને કી દિવાનિયત'ની સફળતા એવું સૂચવે છે કે સારી રીતે લખાયેલી નવીનતાસભર લવસ્ટોરીઝમાં કર્ણપ્રિય સંગીત અને દર્શકોને અપીલ કરે એવી લાગણી હોય તો સિનેમાપ્રેમીઓ એ જોવા આપોઆપ થિયેટરોમાં આવશે- તો શું બોલિવુડમાં પ્રણય કથાનો ટ્રેન્ડ પાછો શરૂ થયો છે?

૨૦૨૬માં થિયેટરોમાં રિલિઝ થનારી સાત મોટી રોમાંટિક મૂવીજ જોતા કોઈને પણ આવું માનવાનું મન થાય. આ સાત મૂવીજમાં ડિરેક્ટર હોમી અડજાણિયાની 'કોકટેલ-૨' (શાહિદ કપૂર, ક્રીતિ સેનન અને રશ્મિકા મંદાના), અનુરાગ બાસુની 'તુ મેરી ઝિન્દગી હૈ' (કાર્તિક આર્યન, શ્રીલાલા), ડેવિડ ધવનની 'હૈ જવાની તો ઈશ્ક હોના હૈ' (વરુણ ધવન, મૃણાલ ઠાકુર, પૂજા હેગડે), ડિરેક્ટર રવિ ઉદયાવારની 'દો દિવાને શહેર મેં' (મૃણાલ ઠાકુર, સિદ્ધાંત ચતુર્વેદી), મુદ્દસર અઝીઝની 'પતિ, પત્ની ઔર વો દો' (આયુષ્માન ખુરાના, સારા અલી ખાન), સુનીલ પાંડેની 'એક દિન' (સાઈ પલ્લવી, જુનૈદ ખાન) અને વિવેક સોનીની 'ચાંદ મેરા દિલ' (અનન્યા પાંડે, લક્ષ્ય)નો સમાવેશ છે.

સવાલ એ છે કે ટ્રેડ એનાલિસ્ટો ૨૦૨૬માં આવનારી આ રોમાંટિક ફિલ્મો માટે કેવા પ્રકારનું ભાવિ ભાખે છે? પીવીઆર સિનેમાઝના સીઈઓ કમલ જ્ઞાાનચંદાની પોતાનો ઓપિનિયન આપે છે, ૨૦૨૬માં આપણને બહુ જ સંતુલિત મિશ્રણ ધરાવતી લવસ્ટોરીઝ જોવા મળવાની છે, જેમાં રોમ-કોમ્સ હશે, રોમાંટિક ડ્રામા હશે અને ટ્રેજિક રોમાંટિક સ્ટોરીઝ પણ હશે.

અલબત્ત, કરણ જોહરની રોમાંટિક ફિલ્મ 'તુ મેરી મૈં તેરા મૈં તેરા, તુ મેરી' કાર્તિક આર્યન જેવો હીરો હોવા છતાં અપેક્ષા પર ખરી નહોતી ઉતરી. એ દાખલો તાજો જ છે છતાં ઇન્ડસ્ટ્રીનો લવસ્ટોરીના જોનર પરનો વિશ્વાસ ડગમગ્યો નથી. એકાદ મૂવીની નિષ્ફળતાથી કશો ફરક નથી પડતો. અમારી ઇન્ડસ્ટ્રીનો બિઝનેસ આ જ રીતે ચાલે છે. 'સૈયારા' જેવી ફિલ્મ આવે જે બોક્સ ઓફિસ પર સીધી સિકસર ફટકારી દે અને અમુક ફિલ્મો ધારી સફળતા ન મેળવી શકે. પરંતુ અમે એક્ઝિબિટર્સ (સિનેમા માલિકો) તરીકે એકદમ ઉત્સાહમાં છીએ. આ વરસે રોમાંટિક ફિલ્મો ધાર્યું નિશાન પાર પાડશે એવો અમને વિશ્વાસ છે, એવી કમેન્ટ જ્ઞાાનચંદાની કરે છે.

હમણાં ૧૪ ફેબુ્રઆરીએ વેલેન્ટાઈન્સ ડે ઉજવાયો. પ્રેમીપંખીડા એ દિવસે સારી રોમાંટિક મૂવી જોવા ઝંખે છે. પરંતુ એ અરસામાં કોઈ મોટી સ્ટારકાસ્ટ સાથેની લવસ્ટોરી રિલિઝ નહોતી થઈ. પરંતુ જુવાનિયાઓએ રોમાંટિક ડ્રામા માણવા લાંબી વાટ જોવી નહિ પડે. ૨૦૨૬માં એમને એક પછી એક પ્રણયકથાઓ જોવા મળવાની છે. અમુક ફિલ્મમેકર્સ અને ટ્રેડ એકસપર્ટ્સ એવું પ્રામાણિકપણે માને છે કે હિન્દી સિનેમામાંથી રોમાંસ ક્યારેય ગાયબ થયો જ નથી અને થશે પણ નહિ. નવું વરસ એમાં અપવાદ નથી.

એ વાતને બહોળા સંદર્ભમાં મુકતા ટ્રેડ એનાલિસ્ટ તરન આદર્શ કહે છે, ફિલ્મ ઇન્ડસ્ટ્રી એક ચક્રમાં કામ કરતી રહે છે. એન્ટરટેઈનમેન્ટ પીરસતી લાઉડ એક્શન ફિલ્મોના ઓવરડોઝ બાદ લોકોને કુદરતી રીતે સોફ્ટ ઈમોશનલ મૂવીજ જોવાની ઇચ્છા થાય છે. સિનેમાના ઈતિહાસના પાના ઉથલાવતા અનુરાગ બાસુ ઉમેરે છે, 'સિત્તેરના દશકમાં એન્ગ્રી યંગ મેનની ફિલ્મોએ ધુમ મચાવી હતી ત્યારે પણ રોમાંટિક ફિલ્મો બોક્સ ઓફિસ પર સારો બિઝનેસ કરી લેતી હતી. પહેલેથી આવું જ બનતું આવ્યું છે.'

બીજી તરફ, 'એક દિવાને કી દિવાનિયત'ના ડિરેક્ટર મિલાપ ઝવેરી સિનેમામાં રોમાંસનો મોસમી ટ્રેન્ડ આવ્યો હોવાનો ઇન્કાર કરતા કહે છે, રોમાંસ સિનેમાના સ્ક્રીન પરથી ક્યારેય ગયો જ નથી. 'બોબી', 'બેતાબ', 'કયામત સે કયામત તક'થી લઈ 'દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે' સુધીની ફિલ્મો અને હમણાં છેલ્લે 'સૈયરા' -  લવસ્ટોરીઝ કાયમ સુપરડુપર હિટ્સ પુરવાર થઈ છે. ઝવેરીના મુદ્દાનું સમર્થન કરતા 'લવયપ્પા' (૨૦૨૫) અને 'લાલસિંહ ચડ્ઢા' (૨૦૨૨)ના ડિરેક્ટર અદ્વેત ચંદન ઉમેરે છે, મારું એવું માનવું છે કે બીજી જોનર્સ સિજનલ (મોસમી) છે પણ રોમાંસ સમયાતીત છે. 'સૈયારા'એ ચોક્કસપણે બિગ સ્ક્રીન પર રોમાંસની મોટી વાપસી કરાવી. આપણે બધા હીરો લોકોના એકસરખા પરાક્રમો જોઈને બોર થઈ ગયા હતા. એ સંજોગોમાં 'સૈયારા' જેવી ફિલ્મ રિલીફ બનીને આવે છે. આપણે બધા પહેલા ક્યારેય નહોતા એટલા એકલા પડી ગયા છીએ. એ સંજોગોમાં એક પ્રણય કથા તમને એવો અહેસાસ કરાવે છે કે આ દુનિયામાં તમને ખરા દિલથી ચાહનારી એક વ્યક્તિ છે. હું તો માનું છું કે લવસ્ટોરીઝ વિના બોલિવુડ બોલિવુડ જ નથી. 'શોલે' જેવી ફિલ્મમાં પણ બે મહત્ત્વની લવસ્ટોરીજ હતી. 'લગાન' અને 'ગદર'નું પણ એવું જ હતું. ઈન શોર્ટ, લવ સ્ટોરીઝ અહીંથી ક્યાંય જવાની નથી.

તરણ આદર્શ ડિબેટમાં ચેતવણીનો સુર ઉમેરતા કહે છે, રોમાંસના જોનર સામે આજે સૌથી મોટો પડકાર ડિમાંડ નહિ પણ રેલેવન્સ (પ્રસ્તુતતા) છે. યાદ રહે કે દર્શકોએ રોમાંસને રિજેક્ટ નથી કર્યો, એમણે ફોર્મ્યુલા બેઝડ આઉટડેટેડ રોમાંસને જાકોરો આપ્યો છે. આજે પ્રેક્ષકોને એવા રોમાંટિક સંબંધો જોઈએ છે જે એકદમ વાસ્તવિક, રિયલ લાગે. ફિલ્મમાં પાત્રોની લાગણીઓ એકદમ સાચુકલી હોય, એમાં કોઈ પ્રકારની બનાવટ ન વર્તાય.