Get The App

આરજીવી : સાઉથના વિજયરથને આદિત્ય ધરે એકલા હાથે રોક્યો

Updated: Jan 15th, 2026

GS TEAM

Google News
Google News
આરજીવી : સાઉથના વિજયરથને આદિત્ય ધરે એકલા હાથે રોક્યો 1 - image

- 2025માં મોટાભાગની હિન્દી ફિલ્મો બોક્સ ઓફિસ પર લથડિયાં ખાતી જોવા મળી. વાતો વહેતી થઈ કે બોલિવુડના માઠા દિવસો આવ્યા છે. બરાબર એ વખતે વર્ષના અંત ભાગમાં 'ધુરંધર'એ શાનદાર એન્ટ્રી મારી.

કોરોના કાળથી જ બોલિવુડે દેશના સિનેમાના સામ્રાજ્ય પર પોતાનું અકચક્રી શાસન ગુમાવવાનું શરૂ કરી દીધું હતું. ઓટીટી પ્લેટફોર્મસની કૃપાથી સાઉથની ફિલ્મોને પેન ઇન્ડિયા અપીલ સાંપડી અને હિન્દી સિનેમાની સર્વોપરિતા સામે પહેલી વાર પડકાર ઊભો થયો. ૨૦૨૫ની વાત કરીએ તો અમુક અપવાદને બાદ કરતા મોટાભાગની હિન્દી ફિલ્મો બોક્સ ઓફિસ પર લથડિયા ખાતી જોવા મળી. એને પગલે એવી વાતો વહેતી થઈ કે બોલિવુડના માઠા દિવસો આવ્યા છે. બરાબર એ વખતે વર્ષના અંત ભાગમાં 'ધુરંધર'એ એન્ટ્રી મારી. બોક્સ ઓફિસ પર તડાકો પાડી મૂવીએ રૃા.૧૦૦૦ કરોડની કમાણી કરી અને રુખ પલટાઈ ગયો. બોલિવુડ ફરી ફોર્મમાં ાવી ગયું. એમાં સુર પુરાવતા રામ ગોપાલ વર્માએ હમણાં પોતાની એક્સ પોસ્ટમાં બેધડક લખ્યું, 'બોલિવુડ પર આક્રમણ કરી વિશ્વવિજય મેળવવા નીકળેલા દક્ષિણના રથને આદિત્ય ધરે રોકી લીધો છે. મેં 'ધુરંધર'નો જેટલો ભાગ જોયો છે એના પરથી કહી શકું જો પહેલા ભાગે એમને (સાઉથના મેકર્સને) ડરાવ્યા હતા તો બીજો ભાગ એમને થરથર ધુ્રજતા કરી દેશે.'

રામ ગોપાલ વર્મા (આરજીબી) બેધક મંતવ્યો આપવા માટે જાણીતા છે. મીડિયાને રામુજીની પોસ્ટ વાંચીને લાગ્યું કે ફિલ્મમેકરને મળવામાં માલ છે, એમની પાસેથી ઘણો 'મસાલો' છે. એટલે મીડિયા ટીમ પહોંચી ગઈ આરજીવીની ઓફિસે અને એમને ઇન્ટરએક્શન માટે વિનંતી કરી. વાતચીતના આરંભે જ ફિલ્મમેકરે ખુલાસો કરતા કહ્યું, 'મારી કમેન્ટ પાછળનો હેતુ સાઉથના સિનેમાને ઉતારી પાડવાનો કે બોલિવુડ અને સાઉથ વચ્ચે ભાગલા પડાવવાનો નહોતો. મેં સાઉથની ફિલ્મોનો એટલા માટે ઉલ્લેખ કર્યો કે એની સુપર હિટ ફિલ્મો અમુક ઢાંચામાં જ બને છે. કોરિયન સિનેમા એની અનોખી સ્ટાઈલ માટે જાણીતું છે, એવું જ સાઉથની ફિલ્મોનું છે. આદિત્ય ધરે એ જ મસાલા ફોર્મ્યુલા 'ધુરંધર'માં અપનાવી એને સુંદર માવજતથી એક ઊંચાઈ આપી છે. એનાથી બધા હલી ગયા છે.'

આરજીવીની એવી આગાહી છે કે 'ધુરંધર'ની સુપર સકસેસ સાઉથના ફિલ્મમેકર્સને એમના સ્ટોરીટેલિંગ અને સ્ક્રીપ્ટ્સ પ્રત્યેના અભિગમ વિશે ફેરવિચાર કરવાની ફરજ પાડશે. ફિલ્મ બહુ મેચ્યોર છે અને એના મેકિંગમાં સૂક્ષ્મ વાતોનું ધ્યાન રખાયું છે. બીજી ફિલ્મોમાં જોવા મળતી લોકોને ઉડતા કે ઉંચેથી પછડાતા અતિશયોક્તિભરી એક્શનને બદલે આપણને 'ધુરંધર'ના એક્શન શીન્સ માન્યામાં આવે એવા લાગે છે. ટ્રેડીશનલ મસાલા ફિલ્મોમાં આવી મેચ્યોરિટી અને કેરેક્ટર કલેરિટી બહુ ભાગ્યે જ જોવા મળે છે.

'ધુરંધર'ની વાસ્તવિક લાગતી સ્ટોરી વિશેની ચર્ચા આગળ ચલાવતા વર્માજી હીરો વર્શિપ (નાયકને સર્વગુણ સંપન્ન અને સર્વશક્તિમાન ચીતરવાના)ના કન્સેપ્ટથી કન્સેપ્ટથી અંતર જાળવવાના 'ધુરંધર'ના મેકર્સના વલણને બિરદાવતા કહે છે, 'ફિલ્મમાં રણવીર સિંહની એન્ટ્રી દર્શકોની તાળીઓ મેળવવા નથી કરાવાઈ. એને એક કેરેક્ટર (પાત્ર) જ ગણાવાયો છે. એવું પાત્ર જે સ્ટોરીમાં બીજા પાત્રો સાથે ઓગળી જાય છે. મૂવીમાં દરેક કેરેક્ટરનું પોતાનું મહત્ત્વ છે. તમને માત્ર રણવીર યાદ નથી રહેતો, બધા જ યાદ રહે છે. ફિલ્મમાં દરેક પાત્રને એનું સ્થાન અપાતું બહુ ભાગ્યે જ જોવા મળે છે.'

સિનેમા ઈતિહાસના અધ્યાયો ઉખેળતા રામુજી એક વિસરાઈ ગયેલી હકીકત પર પ્રકાશ પાડે છે, 'તમને કદાચ યાદ નહીં હોય કે રજનીકાંત અને એન. ટી. રામારાવ જેવા દક્ષિણના સ્ટાર્સ સિત્તેર અને એંસીના દશકમાં હિન્દી ફિલ્મોની રિમેક્સના જોરે સુપરસ્ટાર બન્યા હતા. એમાં અમિતાભ બચ્ચનની ફિલ્મો મુખ્ય હતી. એક દાખલો આપુ તમને. ૧૯૭૮માં રિલિઝ થયેલી અમિતજીની 'ડોન' ફિલ્મની જ ૧૯૮૦માં તમિળ રિમેક 'બિલ્લા' આવી હતી. આ ફિલ્મ રજનીકાંતના કરિઅરમાં બહુ મહત્ત્વની પુરવાર થઈ. તેઓ એના પછી સોલો સુપરસ્ટાર તરીકે ઊભર્યા.'

મુંબઈની ફિલ્મ ઇન્ડસ્ટ્રી અને સાઉથના સિનેમા વચ્ચેની કશ્મકશ વિશે પોતાનો આગતો મત મૂકતા 'સત્યા' અને 'રંગીલા' જેવી ફિલ્મોના મેકર કહે છે, 'લોકો કહે છે કે બોલિવુડના દિવસો પુરા થયા કારણ કે એણે લોકોને ગમે એવી ફિલ્મો બનાવવાનું બંધ કરી દીધું છે. સાઉથની ફિલ્મોએ હવે પ્રભુત્વ મેળવી લીધું છે. પરંતુ મારે એ પૂછવું છે કે સાઉથની એ હિટ મસાલા ફિલ્મો 'ધુરંધર' પછી આજે આવે તો એ ચાલે ખરી? સાઉથના સિનેમાનું કહેવાતુ પરફેક્શન અંતે તો અવાસ્તવિક બની રહે છે.'