- 'હું રોજની જેમ આજે પણ એમ વિચારી રહી હતી કે તબક્કાવાર બધું ઠીકઠાક થઈ જશે. આજનો દિવસ આથમશે અને કાલે નવો સૂર્યોદય થશે. મને લાગે છે કે ઈશ્વરે મારું અંતરમન વાંચી લીધું છે. મને આવી હૂંફની સખત જરૂર હતી. થેન્ક્યુ!'
સોશિયલ મીડિયા લોકપ્રિય કલાકારોને ક્યારેક તદ્દન અસભ્ય ભાષા વખોડે છે તો ક્યારેક માથે બેસાઢે છે. નવાસવા કલાકારો તો ટ્રોલ થતાં જ ભારે ટેન્શનમાં આવી જાય છે, પરંતુ જો તેમના કામની પ્રશંસા કરવામાં આવે તો એટલા જ પોરસાય પણ છે. અલબત્ત, આ વાત લોકપ્રિય કલાકારોને પણ એટલી જ હદે લાગુ પડે છે. તાજેતરમાં અભિનેત્રી રશ્મિકા મંદાનાને પણ તેના એક ચાહકે સોશિયલ મીડિયા પર મનને પ્રફુલ્લિત કરી દેતો અનુભવ કરાવ્યો હતો.
અદાકારાના પ્રશંસકે તેના મેસેજમાં લખ્યું હતું કે તેં ક્યારેય દુનિયા સામે પોતાને પુરવાર કરવાનો પ્રયાસ નથી કર્યો કે નથી પોતાને તેમની ઇચ્છાનુસાર ઢાળી. તું શાંતિથી પોતાની ઓળખ ઊભી કરતી રહી, શીખતી રહી, પરિવર્તન કરતી રહી અને એવી ચમકી કે લોકોને સ્પષ્ટ સમજાય કે તારી અંદર આવેલો બદલાવ કોઈ દબાણનું પ્રતિબિંબ નથી પાડતું બલ્કે તે સાહજિક છે.
રશ્મિકાના ચાહકે અભિનેત્રીને વખોડવામાં આવે છે એ બાબતે પણ દુઃખ વ્યક્ત કર્યું હતું.
પોતાના પ્રશંસકનો આવો મેસેજ વાંચીને રશ્મિકા ભાવુક થઈ ગઈ હતી. તેણે તેના પ્રશંસકને જવાબ આપતાં લખ્યું કે, 'તેં તો મારા મનની વાત કહી દીધી. તને કદાચ કલ્પના પણ નહીં હોય કે મને આવા હુંફાળા મેસેજની કેટલી જરૂર હતી. હું રોજની જેમ આજે પણ એમ વિચારી રહી હતી કે તબક્કાવાર બધું ઠીકઠાક થઈ જશે. આજનો દિવસ આથમશે અને કાલે નવો સૂર્યોદય થશે. મને લાગે છે કે ઈશ્વરે મારું અંતરમન વાંચી લીધું છે. ભગવાને મને આ રીતે કહ્યું કે સૌ સારાવાના થશે. મને આવી હૂંફની સખત જરૂર હતી. થેન્ક્યુ!'
વાહ!


