Get The App

રાકેશ ઓમપ્રકાશ મહેરા: ઈન્ડિયા ગેટ હોય કે લડાખ, પ્રત્યેક સ્થળની આગવી ઓળખ હોય છે

Updated: Oct 9th, 2025

GS TEAM

Google News
Google News
રાકેશ ઓમપ્રકાશ મહેરા: ઈન્ડિયા ગેટ હોય કે લડાખ, પ્રત્યેક સ્થળની આગવી ઓળખ હોય છે 1 - image

- રંગ દે બસંતી

- દિલ્હી 6

- 'દિલ્હીની ભાવનાત્મક પ્રાસંગિકતાથી લઈને લડાખની શારીરિક ક્ષમતા માગી લેતી પરિસ્થિતિ સુધી તેમજ ચાંદની ચોકની સાંસ્કૃતિક વૈવિધ્યતાથી ઈન્ડિયા ગેટની પ્રતીકાત્મકતા સુધી... પ્રત્યેક સ્થળમાં કથાત્મક ધબકાર સામેલ હોય છે.'

- 'હું મારી પટકથામાં  લોકેશન પણ લખુ છું. ત્યાર પછી હું એ સ્થળની મુલાકાત લઉં છું, ત્યાં સમય  વિતાવું છું અને સ્થળે ઉદ્ભવેલી લાગણી મુજબ ફરીથી લખું છું. સ્થળો મારી ફિલ્મોમાં જીવતાં પાત્રો સમાન હોય છે.'

વિશ્વ પ્રવાસન દિવસે લોકપ્રિય ફિલ્મ સર્જક રાકેશ ઓમપ્રકાશ મહેરા તેમની ફિલ્મોને નવી ઓળખ આપનાર તેમજ શાશ્વત સિનેમેટીક લેન્ડમાર્ક બની ગયેલા આઈકોનિક લોકેશનોનું મહત્વ સમજાવે છે. મહેરા માટે સ્થળ માત્ર એક પૃષ્ઠભૂમિ નથી હોતું, પણ તે એક જીવંત પાત્ર હોય છે જે કથાનકમાં પ્રાણ પૂરે છે. મહેરા કહે છે કે લોકેશનો પટકથામાંથી ઉદ્ભવે છે. હું મારી પટકથામાં  લોકેશન પણ લખુ છું. ત્યાર પછી હું એ સ્થળની મુલાકાત લઉ છું, ત્યાં સમય  વિતાવું છું અને સ્થળ ખાતે ઉદ્ભવેલી લાગણી મુજબ ફરી લખું છું. સ્થળો ચોક્કસપણે મારી ફિલ્મોનું ત્રીજું પાત્ર હોય છે.

દિલ્હી 6: જ્યાં વિતાવેલું બાળપણ અવિસ્મરણીય રહ્યું

મહેરાનું 'દિલ્હી ૬' તેમના જૂના દિલ્હીના શરૂઆતના વર્ષોથી પ્રેરિત હતું, ખાસ કરીને ચાંદની ચોકની ધમધમતી ગલીઓથી. તેઓ એવા વિસ્તારમાં ઉછર્યા હતા જ્યાં વિવિધ ધર્મો સાથે રહેતા હતા - હિન્દુ મંદિરો, ચર્ચો, ગુરુદ્વારા, મસ્જિદો અને હોસ્પિટલો સુદ્ધા તમામ લાલ કિલ્લા પર ગર્વથી ફરકતા તિરંગાના પડછાયા હેઠળ  એક જ સ્થળે સ્થિત હતા.

આ અનોખા સાંસ્કૃતિક વણાટથી તેમનું વિઝન ઘડાયું, અને તેમણે આ વિગતોને 'દિલ્હી ૬'ના ઢાંચામાં સમાવિષ્ટ કરી. આ ફિલ્મ ફક્ત એક પરિવાર અને શહેર વિશેની વાર્તા જ નહીં; તે ભારતના સમન્વયાત્મક સ્વભાવનો પણ પુરાવો  હતો, જેનો મહેરાને વ્યક્ગિત અનુભવ હતો.

ઈન્ડિયા ગેટ: રાષ્ટ્રનું હાર્દ

'રંગ દે બસંતી' માટે મહેરા સહજ રીતે ઈન્ડિયા ગેટ તરફ વળ્યા. 'રંગ દે બસંતી' માટે મહેરાનો પહેલો વિચાર ઈન્ડિયા ગેટ હતો. દિલ્હીના વતની તરીકે, તેમનું માનવું હતું કે ફિલ્મની ભાવનાને વ્યક્ત કરવા માટે આ સ્મારકની હાજરી આવશ્યક છે. ઈન્ડિયા ગેટ પર સલામી આપતા યુવાનો અને ભ્રષ્ટાચાર સામે મીણબત્તી પ્રગટાવીને કરાતો વિરોધ આધુનિક ભારતીય સિનેમાની પ્રતિષ્ઠિત છબીઓ બની ગયા. મહેરા માટે આ કોઈ સંયોગ નહોતો - ઈન્ડિયા ગેટ પ્રથમ વિશ્વયુદ્ધના શહીદોને શ્રદ્ધાંજલિ સાથે બલિદાન અને રાષ્ટ્રીય ગૌરવનું પ્રતીક છે. અહીં પ્રદર્શનના આયોજનનું દ્રશ્ય પ્રમાણિક અને પ્રતીકાત્મક બંને હતું.

આ ફિલ્મમાં સુવર્ણ મંદિરમાં શૂટ કરાયેલા ભાગોનો પણ સમાવેશ થાય છે, જે આ પવિત્ર સ્થળના પ્રથમ સિનેમેટિક ચિત્રણમાંનું એક હતું. તેવી જ રીતે, આનંદી ગીત મસ્તી કી પાઠશાળા નાહરગઢ કિલ્લા ખાતે ફિલ્માવવામાં આવ્યું હતું, જેને ત્યારથી *આરડીબી પોઈન્ટ* ઉપનામ મળ્યું છે, જે દર્શાવે છે કે મહેરાની ફિલ્મોમાં સ્થાનો કેવી રીતે સાંસ્કૃતિક સ્મૃતિ બની જાય છે.

ભાગ મિલખા ભાગ: ઈતિહાસની પુન:રચના

મિલખા સિંઘ વિશેના જીવનચરિત્રાત્મક સ્પોર્ટ્સ ડ્રામા 'ભાગ મિલખા ભાગ'માં મહેરાએ મૌલિકતાનો આગ્રહ રાખ્યો. ૧૯૫૦ના દાયકાના સ્પોર્ટ્સની પૃષ્ઠભૂમિ રચવા તેમણે હરિયાણામાં કાચા ટ્રેક પસંદ કર્યા અને કૃત્રિમ સ્ટેડિયમોના ઉપયોગના પ્રલોભનોથી દૂર જ રહ્યા. મૌલિકતા પ્રત્યે પ્રતિબદ્ધતાની તેમની લગનને કારણે સમગ્ર ક્રૂને લડાખ લઈ જવામાં આવ્યું જ્યાં ઊંચાઈવાળા સ્થળોએ સ્પર્ધકોની શારીરિક ક્ષમતાની ભારે ચકાસણી કરી. 

આજે પણ લડાખમાં એક સ્થળ ભાગ મિલખા ભાગ તરીકે ઓળખાય  છે. ભાગલા પૂર્વેના દ્રશ્યો માટે મહેરાએ પાકિસ્તાનમાં ફતેહપુર નજીકનું ગામ પસંદ કર્યું અને ચિત્રણ ઐતિહાસીક તથ્યો સાથે સુસંગત હોય તેની ખાતરી કરી. આવા લેન્ડસ્કેપને અસલ રૂપમાં ઝડપીને તેમણે મિલખા સિંઘની સફર અને એ સમયની વાસ્તવિકતાનું સન્માન કર્યું.

શાશ્વત પાત્રો તરીકે સ્થળો

મહેરાની ફિલ્મ નિર્માણ કલા સાબિત કરે છે કે સ્થળો માત્ર નિષ્ક્રિય વાતાવરણ નથી હોતા પણ વાર્તાને આકાર આપવામાં મહત્વનો ભાગ ભજવે છે. દિલ્હીની ભાવનાત્મક પ્રાસંગિકતાથી લઈને લડાખની શારીરિક ક્ષમતા માગી લેતી પરિસ્થિતિ સુધી તેમજ ચાંદની ચોકની સાંસ્કૃતિક વૈવિધ્યતાથી ઈન્ડિયા ગેટની પ્રતીકાત્મકતા સુધી... પ્રત્યેક સ્થળમાં કથાત્મક ધબકાર સામેલ હોય છે. દર્શકો માટે આ સ્થળો હવે અમર બની ગયા છે, તે માત્ર પ્રવાસન સ્થળો નથી રહ્યા, પણ ભારતના સિનેમેટીક ઈતિહાસના પ્રકરણો બની ગયા છે. વિશ્વ પ્રવાસન દિવસે મહેરાના નિવેદનો આપણને યાદ અપાવે છે કે સિનેમાના લેન્સ દ્વારા પોતાના પુન:આવિષ્કારની રાહ જોઈ રહેલાં આ સ્થળોમાં સ્મૃતિ, ભાવના અને ઓળખ સામેલ હોય છે.