Get The App

રાધિકા આપ્ટે ફોર્મ્યુલા નહીં, દર્શકોની વિચારશક્તિ પર ભરોસો મૂકો

Updated: Jan 1st, 2026

GS TEAM

Google News
Google News
રાધિકા આપ્ટે ફોર્મ્યુલા નહીં, દર્શકોની વિચારશક્તિ પર ભરોસો મૂકો 1 - image

- 'ઇન્ડસ્ટ્રીની કામ કરવાની પદ્ધતિમાં સુધારો થવો જોઈએ. નિયમિતતા, સમયસર વળતર, યોગ્ય લંચ બ્રેક અને નિર્ધારીત શિફ્ટ એ વૈભવ નથી, પણ મૂળભૂત જરૂરીયાતો છે.' 

'સાલી મહોબ્બત'ના પ્રીમિયર સાથે રાધિકા આપ્ટેએ ફરી એકવાર સાબિત કર્યું છે કે સમકાલીન ભારતીય સિનેમામાં શા માટે તે સૌથી બિનપરંપરાગત અને દમદાર હસ્તી છે. છેલ્લા કેટલાક વર્ષોમાં આપ્ટેએ એવા રોલ કર્યા છે જેને સરળતાથી કોઈપણ વર્ગમાં સમાવિષ્ટ ન કરી શકાય અથવા તેના વિશે કોઈ પૂર્વાનુમાન ન થઈ શકે. ફક્ત મહિલાઓના  ડ્રામા 'પાર્ચ્ડ'(૨૦૧૫)થી લઈને ડાર્ક કોમેડી મોનિકા 'ઓ માય ડાર્લિંગ' (૨૦૨૨) સુધી તેની પસંદગીઓ એવી વાર્તાઓની હેતુપૂર્વકની તલાશ દર્શાવે જે અસ્વસ્થ કરે, ઉશ્કેરણી કરે અથવા ઊંડુ મંથન કરવા પ્રેરે. 'સાલી મહોબ્બત' આ જ કક્ષામાં આવે છે.

આપ્ટે દલીલ કરે છે કે આ ધારી લીધેલો ભય કોઈ કથાનકને અવાજ મળે તે પહેલા જ તેની મૌલિકતાને ગૂંગળાવી નાખે છે. દર્શકો ઉદ્યોગો માને છે તેના કરતા વધુ ખુલ્લા દિલના અને ઉત્સુક હોય છે અને અર્થસભર સિનેમા ત્યારે જ બની શકે જ્યારે સર્જકો અનુમાનિત માર્કેટ પ્રતિસાદોની દ્રષ્ટિએ વાર્તાઓ પર શંકા કરવાનું બંધ કરે.

ક્રિયેટિવ જોખમો ઉપરાંત આપ્ટે ફિલ્મ ઉદ્યોગમાં માળખાકીય અને સાંસ્કૃતિક સુધારણા માટેની જરૂર બાબતે પણ અવાજ ઉઠાવતી રહી છે. આપ્ટેનો આગ્રહ છે કે કાર્ય પ્રણાલીમાં સુધારો થવો જોઈએ. નિયમિતતા, સમયસર વળતર, યોગ્ય લંચ બ્રેક અને નિર્ધારીત શિફ્ટ એ વૈભવ નથી પણ મૂળભૂત જરૂરીયાતો છે. આપ્ટે જણાવે છે કે કેવી રીતે વધુ સમય માગી લેતા આ વ્યવસાયમાં ઘણીવાર અંગત જીવન માટે સમય જ નથી બચતો જેના પરિણામે હતાશા અને અસંતુલન સર્જાય છે. સ્વસ્થ ઉદ્યોગ એટલે માત્ર બહેતર ફિલ્મો જ નહિ, પણ સાથે યોગ્ય કાર્યપદ્ધતિ પણ હોવી જોઈએ, જેમાં કેમેરાની સામે તેમજ તેની પાછળ રહેલા લોકોને આદર મળે. 

જોકે આપ્ટેનું સ્તરીય, નૈતિક રીતે અસ્પષ્ટ પાત્રો પ્રત્યેનું આકર્ષણ બદલાયું નથી. 'સાલી મહોબ્બત'માં ગૃહિણી સ્મિતાનું તેનું પાત્ર તેના પતિની હત્યામાં મુખ્ય શકમંદ છે. સ્મિતા કોઈ લાક્ષણિક પીડિતા તેમજ કોઈ સામાન્ય રીતે સમજાય તેવી નાયિકા નથી. તેના સ્થાને તે એવા અસ્વસ્થ વ્યાપમાં અસ્તિત્વ ધરાવે છે જે આપ્ટેને સૌથી આકર્ષક લાગે છે. આપ્ટે કબૂલ કરે છે કે તે વારંવાર આવી જટિલતા પ્રત્યે આકર્ષાય છે, પણ તેનો આગ્રહ છે કે આ કોઈ સભાનપણે કરાતી વ્યૂહરચના નથી, પણ ચોક્કસ માળખામાં ફિટ થવાનો ઈન્કાર કરતા સારી રીતે લખાયેલા પાત્રો પ્રત્યે તેની સ્વાભાવિક પ્રતિક્રિયા છે.

આપ્ટેના મતે સંવેદના અભિનયનો આધારસ્તંભ છે. કોઈપણ કલાકાર તેમના દ્વારા ચિત્રણ કરાતા પાત્રો વિશે કોઈ નિશ્ચિત અભિપ્રાય ન બાંધી શકે. તેમણે આ પાત્રોની ક્ષતિઓ સ્વીકારીને તેમને સમગ્રપણે ચાહવા જોઈએ. આ પ્રક્રિયાએ તેને વાસ્તવિક જીવનમાં વધુ સંવેદનશીલ બનાવી છે. તેના મતે અભિનય તેને ઉતાવળે નૈતિક નિષ્કર્ષ કરવાના સ્થાને 'શા માટે' તેવું પૂછતા શીખવે છે. જ્યારે તેને સ્ક્રીન પર અથવા સ્ક્રીનની બહાર તેની અસ્વસ્થ કરનારી ક્રિયાઓ વિશે પૂછવામાં આવે છે ત્યારે તેનામાં ઉગ્રતાના સ્થાને ઉત્સુકતા અને કરૂણાના ભાવ આવે છે. તેનું આ ભાવનાત્મક ખુલ્લાપણુ  તેના પરફોર્મન્સમાં મૌલિકતા લાવે છે અને દર્શકોને એવા પાત્રો સાથે જોડે છે જે માનવીય હોય, પછી ભલે તેમાં અનેક ક્ષતિઓ હોય. આખરે 'સાલી મહોબ્બત'માં રાધિકા આપ્ટે જે બાબતોની ભલામણ કરે છે તેનું જ પ્રતિબિંબ પડે છે, નિર્ભિક કથાનક, નૈતિક કાર્ય પદ્ધતિ અને માનવીય જટિલતા માટે ઊંડો આદર. ફોર્મ્યુલા અને ભયના બળ પર ચાલતા ઉદ્યોગમાં રાધિકા આપ્ટે આપણને સતત યાદ અપાવે છે કે સૌથી શક્તિશાળી વાર્તાઓ ત્યારે ઉદ્ભવે છે જ્યારે સર્જકો તેમની સ્ફૂર્ણા અને તેમના દર્શકો બંને પર વિશ્વાસ કરવાની હિંમત રાખે.