'હેરાફેરી-3'માંથી પરેશ રાવળની એક્ઝિટ : આઘાત અને પ્રત્યાઘાત
વેટરન એક્ટર પરેશ રાવળે બહુચર્ચિત ફિલ્મ 'હેરાફેરી-૩' છોડયાના ગણતરીના દિવસોમાં આ મામલાએ ગંભીર સ્વરૂપ ધારણ કરી લીધું છે. રાવળે ગયા શનિવારે એક્સ પર એક પોસ્ટ મૂકીને ફિલ્મમાંથી ઓચિંતી લેવાની જાહેરાત કરી. અને એના ચોથા દિવસે તો 'હેરાફેરી'ના લીડ એક્ટર અક્ષયકુમારના પ્રોડક્શન હાઉસે પરેશભાઈને ૭ દિવસમાં નુકસાન બરપાઈ કરવા પેટે રૃા. ૨૫ કરોડ ચુકવવા નોટિસ પણ ફટકારી દીધી. પરિણામે હેરાફેરી ફ્રેન્ચાઈસની પહેલી બે ફિલ્મમાં દર્શકોને પેટ પકડીને હસાવનાર 'બાબુરાવ' પોતે ગંભીર પરિસ્થિતિમાં મુકાયા છે.
પરેશભાઈની આકસ્મિક એક્ઝિટ પછી એની પાછળના કારણમાં બે થિયરી વહેતી થઈ હતી. પહેલી થિયરીમાં એવું એ અનુમાન લગાવાયું કે એક્ટરને પૈસામાં અસહમતી થતાં એમણે છેડો ફાડી નાખ્યો. જ્યારે બીજી થિયરી એમ કહેતી હતી કે રાવળને મેકર્સ સાથે ક્રિએટીવ મતભેદો ઊભા થતા એમણે ફિલ્મ છોડી દીધી છે. ક્લાસિક કોમેડી ફિલ્મમાં ફરી એકવાર બાબુરાવના પાત્રને ન્યાય આપવા એક્ટરે રૃા. ૨૫ કરોડની ફી માગી હોવાની ઈન્ડસ્ટ્રીમાં ચર્ચામાં છે. અત્રે નોંધવું ઘટે કે અક્ષયની પ્રોડક્શન કંપની કેપ ઓફ ગુડ ફિલ્મ્સ 'હેરાફેરી-૩'માં મોટું રોેકાણ કર્યું છે. એટલે અક્ષય પોતાનું બિઝનેસ હિત જાળવવા રાવળ સામે કાનૂની પગલાં ભરે એ બહુ સ્વાભાવિક છે.
અક્ષયની પ્રોડક્શન કંપની કેપ ઓફ ગુડ ફિલ્મસે લૉ ફર્મ પરિણામ લૉ એસોસિએશન માફત પરેશ રાવળને નુકસાન ભરપાઈ માટે નોટિસ બજાવી છે. એટલે મિડીયાએ લૉ ફર્મનો સંપર્ક સાધતા એના જોઈન્ટ મેનેજિંગ પાર્ટનર પૂજા તિડકેએ પોતાના ક્લાયન્ટ વતી કેફિયત આપતા કહ્યું, 'મિ. રાવળે ૩૦મી જાન્યુઆરી, ૨૦૨૫ એ પોતે ફિલ્મમાં કામ કરવાના હોવાની જાહેરાતમાં કબુલાત કરી હતી. એમના જાહેર સમર્થન અને એમની સાથે થયેલા કોન્ટ્રાક્ટ પર પુરેપુરો ભરોસો કરી કેપ ઓફ ગુડ ફિલ્મ્સે ફિલ્મના ટીઝર અને શરૂઆતના શૂટીંગ પાછળ સારો એવો ખર્ચ કર્યો. રાવળ પોતે પણ શૂટીંગમાં જોડાયા હતા. એટલું જ નહિ, તેઓ પોતાના સાથી કલાકારો સાથે ફિલ્મના પ્લાનિંગ અને ક્રિએટીવ ડિસ્કશન્સમાં પણ જોડાયા હતા એ દરમિયાન રાવળે ક્રિએટીવ ઈસ્યુઝ હોવાની ક્યારેય વાત નહોતી કરી. ફિલ્મના શૂટિંગ શેડયુલની તૈયારીઓ થઈ ગઈ અને એમાં નોંધપાત્ર ઈન્વેસ્ટમેન્ટ પણ કરી દેવાયું એ પછી ઓચિંતા રાવળે પ્રોજેક્ટમાંથી એક્ઝિટ જાહેર કર્યું એ માટે એમણે પાછળથી ઊભા થયેલા ક્રિએટીવ મતભેદો જેવું અસંદિગ્ધ કારણ આપ્યું. કેપ ઓફ ગુડ ફિલ્મ્સનું એવું દ્રઢપણે માનવું છે કે રાવળે પોતાના આ પગલાને યથાર્થ ઠેરવવા આપેલું આ કારણ પછીથી વિચાર્યું છે અને એની પાછળનો આશય ફિલ્મની પ્રતિષ્ઠિત ફ્રેન્ચાઈઝીને ખોરંભે ચડાવવાનો છે. કેપ ઓફ ગુડ ફિલ્મ્સે મિ. રાવળ પાસેથી ડેમેજિસની ભરપાઈ કરવા રૃા. ૨૫ કરોડ માગ્યા છે. જો સાત દિવસમાં નુકસાન ભરપાઈ નહિ કરાય તો કંનપીને એમની વિરુદ્ધ સિવિલ અને ક્રિમિનલ એક્શન સહિતના કાનૂની પગલાં લેવાની પરજ પડશે.'
ચોરેને ચૌટે ચર્ચાઈ રહેલા આ વિવાદમાં રાવળ અને અક્ષય ઉપરાંત ત્રીજું મહત્ત્વનું પાત્ર ફિલ્મના ડિરેક્ટર પ્રિયદર્શન છે. પ્રિયદર્શને હેરાફેરીનું ડિરેક્શન કર્યું હતું પણ ફિલ્મના બીજા ભાગનું સુકાન એમણે નહોતું સંભાળ્યું. 'હેરાફેરી-૩'માં તેઓ ફરી મેકર તરીકે પાછા ફર્યાં.
મિડીયાએ પ્રિયદર્શનનો સંપર્ક સાધતા એમણે આ પ્રકરણ વિશે પહેલીવાર મોઢું ખોલ્યું: 'શું બન્યું એ તો ને કોઈ આઈડિયા નથી. રાવળની એક્ઝિટ મારા માટે શૉક સમાન છે. હું માત્ર એટલું કહીશ કે મને આઘાત લાગ્યો છે.'
અત્રે નોંધવું ઘટે કે પ્રિયન સર સાથે પરેશ રાવળના વરસો જૂનાં ના પ્રોફેશનલ સંબંધો છે. એટલે તો એક્રની ઓચિંતી એક્ઝિટથી ડઘાઈ ગયા છે.
'મેં ફિલ્મના ત્રીજા ભાગનું શૂટિંગ શરૂ કર્યું અને ત્યાં અચાનક એણે ફિલ્મ છોડી દીધી. મને બહુ દુખ થયું. પરેશ મારા માટે એક ફેમિલી મેમ્બર જેવો છે. એટલે મને નવાઈ લાગે છે કે એણે મને કોઈ ખુલાસો નથી આપ્યો. પરેશ કહે છે કે મને તમારા પ્રત્યે આદર છે અને તમારી સામે કોઈ ફરિયાદ નથી. તેમ ક્રિએટીવ મતભેદો પણ નથી. એ બધુ ઠીક છે, બટ આય એમ હર્ટ,' એમ અનેક સફળ ફિલ્મો ડિરેક્ટ કરનાર પ્રિયદર્શન કહે છે.
તમે રાવળનો કોન્ટેક્ટ કર્યો છે ખરો એવું પૂછાતા પ્રિયદર્શન કહે છે, 'મેં એકવાર એને કોલ કર્યો પણ એણે ઉપાડયો નહિ. એટલે મેં પછી પડતું મૂકી દીધું.
અક્ષય દ્વારા રાવળ વિરુદ્ધ ૨૫ કરોડનો દાવો માંડવા વિશે પૂછાતા ફિલ્મમેકરે એને સ્વાભાવિક પગલું ગણાવ્યું. એટલે મીડિયાએ બીજો સવાલ કર્યો કે શું રાવળ અને અક્ષય વચ્ચે કોઈ કજિયો થયો છે? જવાબમાં પ્રિયદર્શન નિખાલસપણે કહે છે, 'મને એ વિશે કોઈ ખબર નથી. હું ચેન્નાઈમાં રહું છું અને બોલિવુડના પોલિટિક્સ વિશે બહુ જાણતો નથી. તમને જાણીને નવાઈ લાગશે કે મેં હજુ હમણાં જ અક્ષય અને રાવળ સાથે મારી ફિલ્મ 'ભૂત બંગલા'નું શૂટિંગ પુરુ કર્યું . મેં સેટ પર એમની વચ્ચે કોઈ પ્રકારનું ટેન્શન જોયું નહોતું. મારે અહીં કહેવું જોઈએ કે પરેશની પૈસા સહિતની તમામ માગણી મેકર્સે માન્ય રાખી હતી.'
છેલ્લા સમાચાર પ્રમાણે પરેશ રાવલે એક ઈન્ટરવ્યુ માં એમ કહ્યું કે હું બાબુરાવની ઈમેજમાંથી બહાર નિકળવા માંગતો હતો. લોકો મને મારા નામથી નહીં પણ બાબુભૈયા તરીકે જ ઓળખતાં હતા. તેથી મારે આ ફિલ્મ છોડવી જ પડી.
તો શું પરેશ રાવળને સ્થાને પંકજ ત્રિપાઠી ગોઠવાશે?
પરેશ રાવળે પ્રિયદર્શનની ફિલ્મ 'હેરાફેરી-૩' માંથી ખસી જવાનો નિર્ણય કરતાં સમગ્ર બોલિવુડમાં તેના ઘેરા પ્રત્યાઘાત પડયા છે અને અક્ષયકુમારે તો રૂ. ૨૫ કરોડો દાવો ઠોકવાનો સુદ્ધાં આક્ષેપ કર્યો છે. જોકે હજુ સુધી પરેશ રાવલે આ અંગે કશું સ્પષ્ટ કર્યું નથી. જોકે આવી બધી ઘટના વચ્ચે એવા અહેવાલ પણ આવ્યા છે કે પરેશ રાવલની ભૂમિકા બોલિવુડના પ્રતિભાશાળી અભિનેતા પંકજ ત્રિપાઠીને આપી શકાય.
જોકે આ અંગે પંકજ ત્રિપાઠીએ કોઈ ખુલાસો કર્યો નથી. કેમ કે પરેશ રાવલે બાબુરાવ ગણપતરાવ આપ્ટેનું ભજવેલું પાત્ર અત્યાર સુધીના સૌથી પ્રિય કોમિક પાત્રમાંનું એક છે. આ ભૂમિકા ભજવવાનો ઈનકાર કરવાતી પંકજ ત્રિપાઠીના ચાહકોએ ચર્ચા કરી અને પ્રિયદર્શનની બહુપ્રતિષ્ઠિત 'હેરાફેરી-૩'માં પરેશ રાવલની જગ્યાએ તેમને (પંકજ ત્રિપાઠી)ને લેવાની શક્યતા અંગે અનુમાન લગાવ્યું છે. જોકે પંકજ ત્રિપાઠીના એક ઈન્ટરવ્યુમાં તેમણે અફવાને રદિયો આપ્યો છે. અને પરેશ રાવલને 'અસાધારણ' ગણાવ્યા. આ અંગે એવા પણ અહેવાલ મળ્યા છે કે ચાહકો મને તે ભૂમિકા ભજવવા કહે છે. મને નથી લાગતું કે હું તે કરી શકું. પરેશ સર તો એક અસાધારણ અભિનેતા છે અને હું તો તેમની સામે કંઈ જ નથી. હું તેમનો ખૂબ આદર કરું છું. મને નથી લાગતું કે હું આ કામ માટે યોગ્ય વ્યક્તિ છું,' એમ પંકજ ત્રિપાઠીએ કહ્યું હતું.
અગાઉ નોંધ્યું તેમ, બાબુરાવ જેને પ્રેમથી બાબુભૈયા તરીકે ઓળખવામાં આવે છે તે બોલિવુડના સૌથી પ્રતિષ્ઠિત કોમિક પાત્રોમાંનું એક છે. 'હેરાફેરી' (૨૦૦૦)માં પરેશ રાવલે ભજવેલા તેમના વિચિત્ર વ્યક્તિત્વ, 'ઉઠા લે રે દેવા' જેવા અવિસ્મરણીય સંવાદો અને સાવ નિર્દોષ ચાર્મ દાયકા પછી પણ ચાહકોમાં પ્રિય બનાવ્યા છે.