રશ્મિકા મંદાના જીવનમાં કશું શાશ્વત નથી .
- રશ્મિકાની ફિલ્મોએ છેલ્લાં ત્રણ વર્ષો દરમિયાન કુલ 2000થી 3000 કરોડનો બિઝનેસ કર્યો છે. એ કહે છે, 'દરેક વ્યક્તિ એમ જ ઇચ્છે કે જે સફળતા માટે દિવસ-રાત પરિશ્રમ કર્યો છે તે કાયમ જળવાઈ રહે, પણ વાસ્તવમાં એવું બનતું નથી. મારા સ્વજનોએ આ વાત સારી પેઠે સમજાવી દીધી છે, તેથી જ હું સફળતામાં છકી નથી.'
અભિનેત્રી રશ્મિકા મંદાનાને ફિલ્મોદ્યોગમાં આવ્યે આઠ વર્ષ થયાં. તાજેતરમાં એની એક બ્રાન્ડન્યુ ફિલ્મ રિલીઝ થઈ - 'કબીરા'. આ ફિલ્મ તમિળ અને તેલુગુમાં રિલીઝ થઈ છે ને એમાં ધનુષ અને નાગાર્જુન જેવા કલાકારો છે. આ ત્રણેય કલાકારો હિન્દી ફિલ્મોના રસિયાઓ માટે જાણીતા છે. વહેલીમોડી આ ફિલ્મ ઓટીટી પર હિન્દીમાં જોવા મળશે એ તો નક્કી.
રશ્મિકાની કરીઅર છેલ્લાં ઘણાં વર્ષોથી ચડતી કળાએ છે. ગયા વર્ષે તેની 'પુષ્પા-૨' અને 'એનિમલ' સુપરહિટ થઈ. દર્શકો - સમીક્ષકોએ તે ખૂબ વખાણી. આવું જ કાંઈક આ વર્ષે આવેલી વિકી કૌશલ સાથેની 'છાવા'માં જોવા મળ્યું.
તાજેતરમાં જ રશ્મિકા વિશે નાગાર્જુને કહ્યું કે તેની છેલ્લા ત્રણ વર્ષની તેની ફિલ્મોગ્રાફી ઉત્તમ રહી છે. તેની ફિલ્મોએ કુલ બેથી ત્રણ હજાર કરોડનો બિઝનેસ કર્યો છે. નાગાર્જુને રશ્મિકાની મહેનતની પ્રશંસા કરી. એણે કહ્યું કે રશ્મિકા તો ટેલેન્ટનું પાવરહાઉસ છે.
સામાન્ય રીતે સફળતા મળતાં જ લોકો જમીનથી અધ્ધર ચાલવા લાગે છે, પરંતુ રશ્મિકા સંઘર્ષમાં નિરાશ નથી થઈ અને સફળતામાં છકી નથી. એ કહે છે, 'મને એક વાત બહુ જલદી સમજાઈ ગઈ હતી કે જીવનમાં કશું શાશ્વત નથી. આજે આપણી પાસે જે છે તે કાલે હશે પણ પરમ દિવસે ન હોય. સુખ-દુ:ખનું આવન-જાવન જીવનમાં થતું રહેવાનું છે. અલબત્ત, દરેક વ્યક્તિ એમ જ ઇચ્છે કે જે સફળતા માટે આપણે દિન-રાત પરિશ્રમ કરતાં હોઈએ છીએ તે કાયમ જળવાઈ રહે, પણ વાસ્તવમાં એવું બનતું નથી. મારા સ્વજનો અને મિત્રોએ મને આ વાત સારી પેઠે સમજાવી દીધી છે તેથી હું સફળતામાં છકી નથી.'
કોઈપણ હસ્તીને પ્રશંસા સાથે ટીકાઓનો સામનો પણ કરવો જ પડે છે. રશ્મિકા પણ તેમાંથી બાકાત નથી. તેને 'એનિમલ' અને 'સિકંદર' માટે ખાસ્સી ટીકાઓનો સામનો કરવો પડયો છે, પરંતુ તેણે નકારાત્મકતાને અવગણવાનું શીખી લીધું છે. અદાકારા કહે છે, 'સમય સાથે મેં સર્જનાત્મક ટીકા અને શોરબકોર વચ્ચેનો તફાવત સમજી લીધો છે. ખાસ કરીને જ્યારે મારા અભિનય વિશેની વાત આવે ત્યારે. હા, એક તબક્કે હું નકારાત્મક ટિપ્પણીઓથી વિચલિત થઈ જતી હતી, પણ ધીમે ધીમે હું તેનાથી અલિપ્ત થતાં શીખી ગઈ. હું એમ પણ વિચારતી થઈ ગઈ કે મુઠ્ઠીભર લોકો મારી નીંદા કરે છે, સામે છેડે તેનાથી અનેકગણા વધુ લોકો મારી પ્રશંસા કરે છે, મારા કામની કદર છે. તેમના કારણે જ મેં આ મુકામ હાંસલ કર્યો છે. મેં ક્યારેય કલ્પના પણ નહોતી કરી કે હું આટલા ઓછા સમયમાં આટલી લાંબી સફર સફળતાપૂર્વક ખેડી શકીશ. મને એ કરવા મળશે જે મને પ્રિય છે. મેં જરૂર કંઈક સાચું-સારું-યોગ્ય કર્યું હશે, તેથી જ હું આ મુકામ સુધી પહોંચી છું!'
જોકે રશ્મિકાને હજી લાંબા મજલ કાપવી છે. એ કહે છે, 'હજી મારે ઘણી સિદ્ધિઓ મેેળવવી છે, ઘણું બધું કરવું છે. અત્યાર સુધી હું મારા મનને, હૃદયને અનુસરી છું. ભવિષ્યમાં પણ એમ જ કરીશ. અનુભવે મને ઘણું શીખવ્યું છે. પોતાની જાત સાથે ઈમાનદાર રહેવાના મૂળભૂત સંસ્કાર
હું હમેશાં જાળવી રાખીશ.'
બહોત અચ્છે.