નવજોતસિંહ સિધ્ધુની 'ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો'માં ઘરવાપસી
- 'ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો'ની નવી સિઝનમાં અર્ચના પૂરણસિંહ પણ હશે, એટલે કે આ શોમાં બબ્બે જજ હશે. નવજોત અને અર્ચના પૂરણસિંહ બન્ને જજની સીટ શેર કરશે
એક સમય હતો જ્યારે 'કપિલ શર્મા કોમેડી શો'માં નવજોતસિંહ સિધ્ધુની વિદાય થઈ અને તેના સ્થાને અર્ચના પૂરણસિંહ આવ્યાં. એમણે પણ ચાહના મેળવી. જોકે હવે આવતી કાલ, ૨૧ જૂનથી 'ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો'ની ત્રીજી સિઝન શરૂ થઈ રહી છે, જેમાં નવજોતસિંહ સિધ્ધુ પુનરાગમન કરી રહ્યા છે. આ અંગે તેઓ કહે છે, 'હું તો મારા ઘરે પાછો ફરી રહ્યો હોય એવી અનુભૂતિ મને થઈ રહી છે.'
બેશક, આ નવી સિઝનમાં અર્ચના પૂરણસિંહ પણ હશે, એટલે કે આ શોમાં બબ્બે જજ હશે. નવજોત અને અર્ચના પૂરણસિંહ જજની સીટ શેર કરશે. નિર્માતાઓએ તાજેતરમાં આ શોનો એક પ્રોમો શેર કર્યો છે, જેમાં કપિલ શર્મા, અર્ચના અને નવજોત સિંહ છે. આ પ્રોમોમાં કપિલ શર્મા અર્ચનાને નવજોતસિંહ સિધ્ધુ સાથે પરિચય કરતો દેખાય છે. જેની ટેગ-લાઈન છે - 'હર ફનીવાર બઢેગા હમારા પરિવાર.'
કોમેડી શોના ત્રીજા શોમાં સિધ્ધુની સિગ્નેચર શાયરી, જોરદાર હાસ્ય અને અર્ચના સાથેની તેમની ટિખળ-ટિપ્પણી સાથે હાસ્યને આંક વધુ ઊંચો જવાની અપેક્ષા છે.
આ સિઝનમાં સુપર ફેન્સ પણ હશે. જેને ફક્ત દર્શકોમાં બેસવાની જ નહીં, પણ સ્ટેજ પર પણ દેખાવાની તક મળશે. તે કપિલ અને તેની ટોળી સાથે નિકટથી હાસ્ય અને અવિસ્મરણીય ક્ષણો સાથે જોડાશે.
કપિલ શર્માએ નવજોતસિંહ સિધ્ધુના પુનરાગમન અંગે પોતાનો ઉત્સાહ વ્યક્ત કરતાં જણાવ્યું, 'હમને પ્રોમિસ કિયા થા કી હર ફનીવાર બઢેગા હમારા પરિવાર અને હું અર્ચનાજી અને સિધ્ધુપાજી સાથે પરિવારનો હિસ્સો બનવા બદલ ખૂબ જ ઉત્સાહિત છું. સિધ્ધુપાજીના તમામ ચિટકુલા, શાયરીઓ અને મસ્તીઓનો આનંદ માણવા માટે ખૂબ જ ઉત્સાહિત છું. આ માટેનો માહોલ તો સેટ થઈ ગયો છે, જેમાં મૌસમી મજાક અને હાસ્ય બંને ત્રિવિધ બની ગયા છે.'
નવજોતસિંહ સિધ્ધુ તો ઉત્સાહથી થનગન થનગન થઈ રહ્યા છે. તેઓ કહે છે, 'ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો'માં આવવાથી એવું લાગી રહ્યું છે કે હું ફરીથી ઘરે આવી રહ્યો છું. મારા માટે આ એક ઘર જેવું જ છે. અમે લોકોની લાગણી અને અવાજ સાંભળ્યો. ઘણા ચાહકો અને શુભેચ્છકોએ અમારી પ્રતિક્રિયાને આવકારી. તેઓ મને વધુ જોવા ઇચ્છતા હતા. મને આનંદ છે કે નેટફ્લિક્સની ટીમે આ ગુલદસ્તો બનાવવામાં સફળ રહ્યું છે. અમે આ સિઝનમાં વિશ્વભરના પ્રેક્ષકો માટે મનોરંજન કરીશું. સ્મિત કરવા માટે તમને એક પૈસાનો પણ ખર્ચ થતો નથી, પરંતુ તે લાખો ડોલરનું મૂલ્ય ધરાવે છે અને 'ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો' માનવજાતને ખુશ કરવા માટે ભગવાનની સદ્ભાવનાનું એક સાધન છે. ફરીથી તેનો ભાગ બનવાનું ગર્વ છે. ગુરુ, હમને મિલકર યે આશિયાના સજાયા હૈ, ગુજરા જમાના ફિર સે લૌટ કર આયા હૈ! મૈં યું હી નહીં પહોંચા હૂં યહાં પર, દોબારા મુઝે ખીંચ કર જનતા કા પ્યાર લાયા હૈ.'