મોહિત સુરી : અભિવ્યક્તિમાં ગીતો સૌથી ચડિયાતાં .
- 'મારી સૌપ્રથમ ફિલ્મ 'ઝહર' નું ગીત 'વો લમ્હેં વો બાતે....' લગ્નવિચ્છેદ થયેલા યુગલના સમગ્ર જીવનની કથની ચાર મિનિટમાં અસરકારક રીતે રજૂ કરી દે છે'
હિન્દી ફિલ્મોદ્યોગમાં કેટલાંક દિગ્દર્શકોની ફિલ્મોમાં પ્રણયગાથા જોવાની મઝાજ કંઈક જુદી હોય છે. તેમની લવસ્ટોરીઝ હમેશાં યાદગાર બની રહે છે. દિગ્દર્શક મોહિત સુરીની નામ આવા સર્જકોમાં અચૂક લઈ શકાય. તેમની 'આશિકી-૨' હોય, 'એક વિલન' હોય કે 'હાફ ગર્લફ્રેન્ડ' આ સઘળી મૂવીઝને દર્શકોનો બહોળો પ્રતિસાદ મળ્યો છે, અને હવે ટૂંક સમયમાં તેમની વધુ એક લવ સ્ટોરી 'સૈયારા' રજૂ થઈ રહી છે. આ મૂવી દ્વારા તેઓ બે નવોદિત કલાકારો અહાન પાંડે અને અનીતા પડ્ડાને લોંચ કરી રહ્યા છે.
લવ સ્ટોરીઝને અને ગીતોને ચોલી-દામનો સાત છે. મોહિત સૂરીની ફિલ્મોના ગીતો પણ હમેશાં લોકપ્રિય રહ્યાં છે. પરંતુ છેલ્લાં કેટલાંક વર્ષમાં હિન્દી ફિલ્મોમાંથી ગીતોની બાદબાકી થઈ ગઈ હોય એવો સિનારિયો જોવા મળે છે. નવી પેઢીના દર્શકોને કદાચ તેમાં કંઈ નવું ન લાગે. પણ એક એકથી ચડિયાતા ગીતો ધરાવતી ખોટ અચૂક સાલે. મોહિત સૂરી આ બાબતે કહે છે કે પ્રત્યેક દિગ્દર્શકની કહાણી રજૂ કરવાની આગવી રીત હોય. તેમને પોતાનું કથાનક રજૂ કરવા જે જરૂરી લાગે તે મુજબ તેઓ પોતાના સિનેમાનું ફિલ્માંકન કરે. પરંતુ મારા મતે ફિલ્મનું એક ગીત જે કહી શકે તે ચાર-પાંચ દ્રશ્યો પણ ન કહી શકે. મારી સૌપ્રથમ ફિલ્મ 'ઝહર' નું ગીત 'વો લમ્હેં વો બાતે....' લગ્નવિચ્છેદ થયેલા યુગલના સમગ્ર જીવનની કથની ચાર મિનિટમાં અસરકારક રીતે રજૂ કરી દે છે. તેવી જ રીતે 'તુમ હી હો.....', 'તેરી ગલિયાં....', 'કે 'સૈયારા....' જેવા ગીતો આખી ફિલ્મનો સૂર સમજાવી દે છે. મારા માટે ગીતો સ્ક્રીનપ્લે ટૂલ સમાન છે. વળી હું યશ ચોપડા અને મહેશ ભટ્ટની ફિલ્મો જોઈને મોટો થયો છું. ફિલ્મ સર્જનના પાઠ હું મહેશ ભટ્ટના બેનર હેઠળ શીખ્યો છું. આ ફિલ્મ સર્જકોના સિનેમામાં ગીતોનું આગવું સ્થાન રહ્યું છે. તેથી હું ગીતો વિનાના ફિલ્મની કલ્પના પણ નથી કરી શકતો. ગીતોમાં ભાવનાત્મક રજૂઆત જેટલી અસરકારક રીતે થઈ શકે એટલી અન્ય કોઈ રીતે ભાગ્યે જ કરી શકાય.
મોહિત સૂરી નવી ટેલેન્ટને તક આપવામાં હંમેશાં અગ્રેસર રહ્યાં છે. અત્યાર સુધી તેમણે કુણાલ ખેમૂ, સ્મઈલી, નેહા શર્મા જેવા ઘણાં નવા ચહેરા લોન્ચ કર્યાં છે. હવે 'સૈયારા' તેમણે અહાન પાંડે અને અનીતા પડ્ડાને લીને બનાવી છે. આમ છતાં દિગ્દર્શકને એવું નથી લાગતું કે તેમણે હિન્દી ફિલ્મોદ્યોગને કંઈક નવું આપ્યું છે. તેઓ કહે છે કે હું મારી ફિલ્મની માગ અનુસાર કલાકારો પસંદ કરું છું. ફિલ્મોદ્યોગને બદલવાની ત્રેવડ મારામાં નથી. હું મારી ફિલ્મની કહાણીને અનુરુપ કલાકારો ચૂંટુ છું. જેમ કે 'સૈયારા'માં પહેલા પ્રેમની કહાણી વર્ણવવા ૧૮ થી ૨૦ વર્ષના કલાકારો જોઈએ. કારણ કે પહેલો પ્રેમ મોટાભાગે આ ઉંમરમાં જ થતો હોય છે. સ્વાભાવિક રીતે જ મેં નવા ચહેરા પર પસંદગીનો કળશ ઢોળ્યો. જ્યારે 'હમારી અધૂરી કહાની' જેવી પરિપક્વ પ્રેમ કહાણીમાં તદનુસાર કલાકારોની પસંદગી કરી હતી. અલબત્ત, હું મારી દરેક મૂવીમાં એકાદ નવોદિતનો તક આપવાનો અચૂક પ્રયાસ કરું છું.