પાપારાઝી કલ્ચરને ચાહો કે ધિક્કારો, પણ અવગણી ન શકો
સેલિબ્રિટીઓના બર્થ-ડેની પાર્ટી હોય, તેમની સગાઈ કે વિવાહ જેવા પ્રસંગો હોય, તેમની ફિલ્મોના મૂહુર્ત શોર્ટ હોય તેમણે પત્રકાર પરિષદ બોલાવી હોય ત્યારે તેમના સેંકડો ફોટા ક્લિક કરવામાં આવે, વિડીયો બનાવવામાં આવે તે તદ્ન સ્વાભાવિક છે, પણ છેલ્લાં કેટલાંક વર્ષથી એરપોર્ટ પર તેમ જ જિમની બહાર પણ ફોટોજર્નાલિસ્ટોની ફોજ તૈયાર જ હોય છે.
જો કે પાપારાઝીઓ સેલિબ્રિટીઓની પબ્લિસિટીની ભૂખને હવા પણ આપે છે. તેઓ તેમોન અંગત સમય પણ કેમેરામાં કેદ કરીને સોશ્યસ મીડિયા પર પોસ્ટ કરી દે છે ત્યારે ઘણાં લોકો તેમના સામે નારાજગી પણ બતાવે છે. થોડા સમય પહેલા જ અભિનેત્રી શેફાલી જરીવાલાનું શંકાસ્પદ સ્થિતિમાં મૃત્યુ થયું ત્યારે પાપારાઝીઓએ જે રીતે ફોટા વીડિયો લીધાં તે ઘણાં લોકો માટે આંચકાજનક બનીગયું હતું. વાસ્તવમાં શેફાલીના નિધનના સમાચાર મળતાં જ સંખ્યાબંધ પાપારાઝીઓએ તેના ઘરની બહારથી લાઈવ ફૂટેજ અને ફોટા સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરવા માંડયાં હતાં. હદ તો ત્યારે થઈ ગઈ જ્યારે કેટલાંક પાપારાજીઓ અને નેટિઝનોઓ શોકમાં ડૂબેલા પરિવારના વિડીયો શેર કરીને અસંવેદનશીલ દાવાઓ કરવાનું શરૂ કરી દીદું. આ વાત સેલિબ્રિટીઓ સહિલ સામાન્ય લોકોને પણ અસંવેદનશીલ લાગી હતી.
આ વાત જાણ્યા પછી એવો પ્રશ્ન થવો સહજ છે કે પ્રસાર માધ્યમો તો હમેશાંથી કલાકાર-કસબીઓના સારાં-નરસાં પ્રસંગો અને ઘટનાઓ કવર કરતાં આવ્યાં છે. ફોટોજર્નાલિસ્ટોએ હમેસાં મૃત્યુનો મલાજો પણ જાળવ્યો છે તો હવે એવું શું થઈ ગયું છે કે પાપારાઝીઓ કલાકારોને અસંવેદનશીલ લાગવા માંડયા છે. શેફાલી જરીવાલાના નિધન વખતે અભિનેતા વરુણ ધવને પાપારાઝીઓને રોક્યા-ટોક્યાં હતાં. એ વાતની નોંધ પણ લેવી રહી કે એક તબક્કે ફિલ્મી સિતારાઓ ખરેખર આસમાન પર રહેતાં હો એવો માહોલ હતો. જ્યારે આજે સિતારાઓ સ્વયં જમીન પર આવવા થનગનતા હોય એવી સ્થિતિ જોવા મળે છે. કેટલાંક પાપારાઝીઓ પણ આ વાતને સમર્થન આપે છે.
કેટલાંક ફોટોજર્નાલિસ્ટો કહે છે કે અમે આગઉ પણ ફિલ્મી હસ્તીઓની કરુણ-મધુર ઘટનઓ કેમેરામાં કંડારી છે. અને તે પણ જે તે પ્રસંગ અથવા ઘટનાને છાજે એ રીતે. પરંતુ આજે જે સ્થિતિ જોવા મળે છે તેમા ં ફિલ્મી હસ્તીઓનો પણ હાથ છે. તેઓ આ વાત સમજાવતાં કહે છે કે લોકોને એમ લાગતું હશે કે અમનેશી રીતે ખબર પડતી હશે કે કયો કલાકાર ક્યારે એરપોર્ટ પર, જિમની બહાર, રેસ્ટોરાં કે ઈવેન્ટમાં જોવા મળશે. વાસ્તવમાં તેની ટીપ જે તે કલાકારની ટીમ જ પાપારાઝીઓને આપી દે છે. જેથી તેઓ તેમને કવર કરવા પહોંચી જાય અને સંબંધિત કલાકાર સતત પબ્લિસિટીમાં રહે. પાપારાઝીઓની દુનિયામાં તેને 'ટિપ ઓફ' કહેવામાં આવે છે.
એક જાણીતો પાપારાઝી કહે છે કે મારા હાથ નીચે પાપારાઝીઓની આખી ટીમ કામ કરે છે. પરંતુ સંપૂર્ણ શાલીનતાથી. તેમની ટીમનો એક ફોટોગ્રાફર કહે છે કે કલાકારોને પોતાની સગવડ અનુસાર દેખાવું કે સંતાવું હોય છે. જો એક સ્ટારને ફૂટેજ મળે તે બીજાના પેટમાં ચૂંક ઉપડે છે. મોટા ભાગે તોઅમને જે તે કલાકાર અથવા તેની ટીમ પીઆર પાસેથી જ 'ટિપ ઓફ' મળે છે. હકીકતમાં પહેલા માત્ર મુઠ્ઠીભર ફોટોજર્નાલિસ્ટો હતાં. આજે તેમની સંખ્યા સેંકડોમાં છે. અને હવે તેમાં યુ-ટયુબર્સ પણ સામેલ થઈ ગયાં છે. તેઓ પ્રમોશનલ ઈવેન્ટ્સથી લઈને વિવાહ, અંતિમક્રિયા સુધીના સઘળાં સારા- માઠાં પ્રસંગો- ઘટનાઓ કવર કરે છે. અને તે પણ સ્ટાર્સની ઈચ્છાને અનુસરીને. ઘણી વખત એવું પણ બને છે કે અમે કોઈ સ્ટારના ફોટા પાડવા કલાકોના કલાકો સુધી ફિલ્ડિંગ ભરતાં ઊભા હોઈએ. પરંતુ જો સબંધિત કલાકાર અમને ફોટા પાડવાની ના પાડે તો અમે તેની વાતનું માન રાખીએ. પરંતુ કેટલાંક લોકો ઘરમાં ઘૂસી જઈને અથવા સંવેદનશીલ પળો શૂટ કરતાં પણ નથી ખચકાતા. આવા ગણતરીના લોકોને કારણે સઘળાં પાપારાઝીઓની છબિ ખરડાય છે.
અન્ય એક પાપારાઝી કહે છે કે આ વિવાદ એક પોર્ટલને કારણે શરૂ થયો છે, જે ન તો પ્રસાર માધ્યમ છે કે ન પાપારાઝી. આવા લોકો જ અમારા પ્રોફેશનને બદનામ કરે છે. વળી આજે બધાના હાથમાં સારી ગુણવત્તા ધરાવતાં કેમેરાવાલા મોબાઈલ હોવાથી બધા જ ફોટોગ્રાફર બની ગયા છે. અનેક લોકો ચૂપચાપ ફોટા કે વિડીયો તૈયાર કરીને થોડાં હજાર રૂપિયામાં પોર્ટલ્સને વેંચી દે છે. તે શેફાલી જરીવાલાના નિધન વખતે થયેલા વિવાદ વિશે કહે છેકે અમારી જમાતમાંથી કોઈએ ફોટા નહોતા લીધાં. અમારી નીંદા કરનારા કલાકારોને એ સચ્ચાઈની જાણ નથી કે બીજી બિલ્ડિંગમાંથી કેટલીક તસવીરો ખોટી રીતે લેવામાં આવી હતી. જો કે તે પોસ્ટ કરવામાં નહોતા આવ્યાં.
એક પીઢ ફોટોજર્નાલિસ્ટ કહે છે કે ૭૦-૮૦ના દશકમાં આઠથી દસ પ્રોફેશનલ ફોટોગ્રાફર હતાં. પરંતુ પેપ કલ્ચર આવ્યા પછી કેટલાંક જાણીતા લોકોએ થોડાં સસ્તા લોકોને નોકરીએ રાખી લીધાં. તેઓ કલાકારોની પળેપળની જાણકારી રાખે છે. અને અભિનેતા, અભિનેત્રીઓને પણ પોતાના બ્રાન્ડિંગમાટે આ સિસ્ટમ માફક આવી ગઈ છે. વળી હવે સોશ્યલ મીડિયા બધા માટે હાથવગું બની ગયું છે. અને તેમાં કન્ટેન્ટ ન ઉમેરાય એવું શી રીતે બને? વળી આજની તારીખમાં દરેક પ્રકારનું કન્ટેન્ટ જોતજોતામાં જંગલની આગની જેમ ફેલાઈ જાય છે.
એક જાણીતો પાપારાઝી કહે છે કે ઘણી વખત અમને ઘૂસણખોર કહીને ઉતારી પાડવામાં આવે છે. હકીકતમાં દરેક સેલિબ્રિટીને પેપ્સની જરૂર હોય છે. સેલિબ્રિટીઓનો અને અમારો સંબંધ 'એક હાથ દે, એક હાથ લે' જેવો હોય છે. અમે તેમણે કરેલી દરેક વિનંતીને માન આપીએ છીએ. પરંતુ કેટલાંક યુ-ટયુબર્સ વ્યુઝ અને પૈસા માટે અસંવેદશીલ કન્ટેન્ટ બનાવે છે. તેમાં પીઆરનો હાથ પણ હોય છે. તેઓ ઈરાદાપૂર્વક ભીડ એકઠી કરે છે. અમને કલાકારોની અંતિમ યાત્રા કવર કરતાં પણ સંકોચ થાય છે. આવા અસાઈનમેન્ટ અમે અત્યંત કાળજીપૂર્વક કવર કરીએ છીએ.
બોલીવૂડના કેટલાંક કલાકારો હમેશાંથી પાપારાઝીઓથી નારાજ જ રહે છે. આમાં જયા બચ્ચનનું નામ ટોચ પર છે. કાજોલ પણ પેપ્સ કલ્ચરને વગોવી ચૂકી છે. આમ છતાં એક વાત માનવી રહી કે કોઈપણ કલાકારને પાપારાઝીઓ ગમે કે ન ગમે, પરંતુ તેઓ તેમને અવગણી શકે તેમ નથી.