Get The App

દીપિકાની જેમ આશુતોષ રાણાનો પણ આઠ કલાકની શિફ્ટનો આગ્રહ

Updated: Feb 12th, 2026

GS TEAM

Google News
Google News
દીપિકાની જેમ આશુતોષ રાણાનો પણ આઠ કલાકની શિફ્ટનો આગ્રહ 1 - image

આશુતોષ રાણા એક બહુમુખી વ્યક્તિત્વ ધરાવતો એક્ટર છે. અભિનેતા હોવા ઉપરાંત એ એક સારો કવિ, લેખક અને વિચારક છે. અમિતાભ બચ્ચની જેમ આશુતોષની હિન્દી પણ મધ જેવી મીઠી છે. મધ્ય પ્રદેશના એક સુશિક્ષિત બ્રાહ્મણ પરિવારમાંથી આવતો હોવાથી વર્સેટાઈલ એક્ટરને ધર્મગ્રંથો વિશે ઊંડુ જ્ઞાાન છે. એ કોઈ પણ સમકાલીન વિષય પર પોતાના મૌલિક વિચારો મુકી જાણે છે. હાલમાં રાણાએ અભિનેત્રી દીપિકા પદુકોણની આઠ કલાકની શિફ્ટમાં કામ કરવાની માગણીને તર્કસંગત ટેકો આપીને ઇન્ડસ્ટ્રીમાં ઘણાંને આશ્ચર્યમાં મૂકી દીધા છે.

અત્રે યાદ અપાવવું ઘટે કે દીપિકાએ બાળકીને જન્મ આપ્યા બાદ 'એનિમલ' ફેમ ડિરેક્ટર સંદીપ રેડ્ડી વાંગાની ફિલ્મમાં કામ કરવા આઠ કલાકની શિફ્ટની શરત મૂકી હતી. એને પગલે છંછેડાયેલા વાંગાએ સોશ્યલ મીડિયા પર દીપિકા સામે આક્રોશ ઠાલવતા મોટો વિવાદ છેડાયો હતો. ઘણાં એકટર્સ અને ટેકનિશિયન્સે અભિનેત્રીની ડિમાંડને સપોર્ટ કરી એવો મત દર્શાવ્યો કે હેલ્ધી વર્ક કલ્ચર માટે આવું પગલું લેવું જરૂરી છે. જ્યારે ફિલ્મમેકર્સે એની વ્યવહારુતા સામે સવાલ ઉઠાવ્યો. દીપિકાએ પોતાની આઠ કલાક કામ કરવાની શરતમાં કોઈ બાંધછોડ ન કરતા ફિલ્મ ઇન્ડસ્ટ્રી બે ભાગમાં વહેંચાઈ ગઈ અને મુદ્દો એકદમ ગંભીર બની ગયો.

હવે આશુતોષ જેવા વેટરન એક્ટરે આઠ કલાક કામની ફોર્મ્યુલાને ટેકો આપી સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે આર્ટિસ્ટને એની શારીરિક અને માનસિક મર્યાદની ઉપરવટ જઈને કામ કરવાની ફરજ પડાય તો એમની ક્રિયેટિવિટી, પરફોર્મન્સની ગુણવત્તા અને કામ પ્રત્યેની નિષ્ઠા પર અસર થાય છે. 'મારું માનવું છે કે ક્રિયેટીવ કામ આઠ કલાકથી વધુ ન થવું જોઈએ. જો તમારે કલાકાર પાસેથી સર્વોત્તમ કામ જોઈતું હોય તો તમારે સમજી લેવું પડે કે આઠ કલાક પર્યાપ્ત સમય છે, આઠ કલાકમાં કામ પુરું થઈ શકે છે. જો તમારું શુટિંગ પૂર્વેનું પ્રિ-પ્રોકશન મજબુત હોય, તમારી બધી તૈયારીઓ વ્યવસ્થિત હોય અને તમારે શું શુટ કરવું છે એ વિશે તમે એકદમ ક્લિયર હો તો તમે આઠ કલાકમાં જાદુ કરી શકો છો,' એવું આશુતોષ એક ઇંગ્લીશ મીડિયાને આપેલા ઇન્ટરવ્યુમાં કહે છે.

કામના કલાકો લંબાવાથી પરફોર્મન્સ પર કેટલી માઠી અસર થાય છે એ વિશે વાત કરતા રાણા એની પાછળનું કારણ સમજાવે છે, 'જુઓ, એનર્જી (ઉર્જા) એક મર્યાદિત સંસાધન છે. તમે એનર્જીને વાપરતા જાવ એમ એ ખૂટતી જાય. એટલે તમે આઠ કલાકથી વધુ ખેંચો તો તમારી કામની ક્વોલિટી બગડશે. આ બધો એનર્જી અને સ્ટ્રેન્થનો ખેલ છે. એકધારા ૨૦ કલાક કામ કરીને બાકીના ચાર કલાકમાં ફરી તાજામાજા થઈ જવાની દરેકમાં કેપેસિટી નથી હોતી. તમે આ રીતે એકાદ બે દિવસ ખેંચો તો ઠીક છે પણ રોજ લાંબા કલાકો કામ કરવાની ટેવ કેળવો તો તમારે માની લેવાનું કે તમે કામમાં લોચા મારશો. મારું એવું મક્કમપણે માનવું છે કે દરેકે આઠ કલાકમાં શ્રેષ્ઠ કામગિરી બજાવવાની કળા શીખવી જોઈએ.'

પૂર્વ તૈયારીના મહત્ત્વ પર ભાર મુકતા ૫૮ વરસનો અભિનેતા ઉમેરે છે, 'લાંબાલચક કામના કલાકો જરૂરિયાત કરતા વધુ નબળા પ્લાનિંગનું પરિણામ હોય છે. સ્ક્રીપ્ટ, સીન બ્લોકિંગ અને પ્લાનિંગની ચર્ચા ઓફિસમાં જ પુરી થઈ જવી જોઈએ. તમે સેટ પર જઈને એમ કહો કે સીન સ્ક્રીપ્ટમાં નથી તો એ ઉમેરવા ચલો સ્ક્રીપ્ટમાં થોડો ફેરફાર કરી દઈએ તો એ ન ચાલે. જો શિપનો કેપ્ટન (ડિરેક્ટર) પોતાના કામ બાબતમાં ક્લિયર હોય કો આઠ કલાકથી વધુ કામ કરવાની જરૂર જ ન પડે.'

ઇન્ટરવ્યુના સમાપનમાં માણસના શરીરને મેનટ્લ, ફિજિકલ અને ઇમોશનલ રિક્વરીની કેટલી આવશ્યકતા છે એ સમજાવતા રાણા કહે છે, 'તમે કોઈ હાર્ડકોર ફિટનેસ ફ્રીકને જઈને કહેશો કે તમે રોજ ત્રણ કલાક વર્કઆઉટ કરો છો, ચલો આજે ૧૦ કલાક કરો. વ્યક્તિ એ નહિ કરી શકે. એટલે જ અનુભવી લોકો એવી સલાહ આપે છે કે ફિજિકલી ફિટ રહેવા માટે તમે સપ્તાહમાં ચાર દિવસ વર્ક આઉટ કરો અને બાકીના ત્રણ દિવસ તમારા શરીરને આરામ આપો.'