કિયારા અડવાણીઃ કોણે કહ્યું કરણ જોહર નેપોટિઝમને ઉત્તેજન આપે છે?
- 'કરણ જોહર પર જે આળ મુકવામાં આવે છે તે સાવ ખોટું છે! હું જ્યારે સંઘર્ષરત કલાકાર હતી અને અનેક ડિરેક્ટરોએ મને રિજેક્ટ કરી દીધી હતી ત્યારે કરણ જોહરે જ મારો હાથ પકડયો હતો. '
કિ યારા અડવાણીની તાજેતરમાં જ રિલીઝ થયેલી ફિલ્મ 'ભૂલભુલૈયા-૨'ને જબરદસ્ત સફળતા મળી છે અને કિયારાની ગાડી ઝડપભેર આગળ વધી રહી છે. હવે તેની બે ફિલ્મો 'જુગ જુગ જિયો' અને 'ગોવિંદા નામ હૈ મેરા' તથા એક તેલુગુ ફિલ્મ પણ આવી રહી છે. બીજું, બોયફ્રેન્ડ સિદ્ધાર્થ મલ્હોત્રા સાથેનો એનો સંબંધ પણ સુધરી ગયાની જાણ તો બધાને છે જ! જો કે હવે કિયારાની વધુ એક વાત બહાર આવી છે. સોશિયલ મીડિયા પર બોલીવૂડના ફેમસ ફેમિલીના સંતાનોને ફિલ્મ સર્જક કરણ જોહર તક આપતા હોવાની વાતને કારણે તેમની જોરદાર ટીકા કરવામાં આવે છે. કિયારા અડવાણી કરણનો બચાવ કરવા મેદાનમાં ઉતરી પડી છે અને ટ્રોલ કરનારા તોફાની તત્ત્વોના કાન પકડી તેમને સાચી વાત કરી છે. દેખીતી રીતે આને કારણે કરણ તો ખુશખુશાલ થાય એ તો સાવ સ્વાભાવિક જ છે. કિયારાએ નેપોટિઝમ અંગે શું કહ્યું એ વાંચવા જેવું છે.
કિયારાએ સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધું છે કે, 'હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કરણ જોહર પર જે આળ મુકી તેમની જે ટીકા કરવામાં આવી છે તે સાવ ખોટું છે! આમ કહી કિયારાએ એમ પણ જણાવ્યું છે કે બોલિવૂડના સ્ટાર કિડ્સની કેરિયર લોન્ચ કરવામાં અને તેમની સાથે કામ કરવા બદલ ફિલ્મસર્જક કરણ જોહર પર જે ટીકાસ્ત્રો છોડવામાં આવી રહ્યા તે તમામ ખોટાં છે કેમ કે હું જ્યારે સંઘર્ષરત કલાકાર હતી અને અનેક ડિરેક્ટરોએ મને રિજેક્ટ કરી દીધી હતી ત્યારે કરણ જોહરે જ મારો હાથ પકડયો હતો. તે વેળા હું નોબડી છું એવું કહી મને ધૂતકારી કાઢવામાં આવી હતી ત્યારે કરણ જોહરે જ મને સધિયારો આપ્યો. તેઓ ધારત તો અન્ય કોઈ કલાકારને રાખી શક્યા હોત છતાં તેમણે મારી પસંદગી કરી, મને કામ આપ્યું. તેમની આ વર્તણૂક અને સાથને મારો આત્મવિશ્વાસ ઘણો બધો વધી ગયો હતો. મારા જીવનમાં એવી પળ પણ આવી હતી જ્યારે મને લાગ્યું હતું કે હું કશું જ નથી. તે વખતે કરણસરની હિંમતે મને આત્મવિશ્વાસથી ધબકતી બનાવી દીધી હતી.' એક મુલાકાતમાં કિયારા અડવાણીએ જણાવ્યું હતું કે, 'ફિલ્મ સર્જક કરણ જોહર અને ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રાએ પ્રશંસાને પાત્ર છે. હું આત્મવિશ્વાસથી સભર બની તેનું શ્રેય હું આ બંને મહારથીને આપું છું.'
કિયારાએ એમ પણ જણાવ્યું હતું કે બોલીવૂડમાં મારા પ્રારંભિક વર્ષોમાં કરણ જોહરે તેમની શોર્ટ ફિલ્મ 'લસ્ટ'માં કામ આપ્યું હતું. શરૂઆતમાં મને ઘણા લોકોએ રિજેક્ટ કરી હતી. કરણની જેમ મનીષ મલ્હોત્રાએ પણ મને ટેકો આપ્યો હતો અને મારા આત્મવિશ્વાસમાં વૃદ્ધિ કરી હતી.
એક સમય હતો જ્યારે મનીષ એવા લોકોમાંના એક હતા, જેમણે ક્યારેય તેની સામે જોયું નહોતું. એ કહે છે, 'મને ખબર છે કે કરણ જોહરને નેપોટિઝમ સામે જબરદસ્ત નફરત છે, અને હું જ્યારે કશું જ નહોતી ત્યારે તેમણે મને તક આપી મારા પર વિશ્વાસ રાખ્યો હતો. આખરે તો બધા આ જ લાઈનના લોકો છે. આ એક બિઝનેસ જ છે. ઘણાં લોકો તેમના ક્ષેત્રોમાં જબરદસ્ત ઊંચાઈ પર પહોંચે છે.'