પહેલા જ બોલમાં કેસરીયા સિક્સર
- સિનેમા એક્સપ્રેસ- શિશિર રામાવત
'હું ભલે હાર્વર્ડમાં ભણીને વકીલ બન્યો, પણ જો હું સિનેમાના ક્ષેત્રમાં મારી જાતને અજમાવત નહીં તો આખી જિંદગી અફસોસ રહી જાત...'
- કરણસિંહ ત્યાગી
આને કહેવાય પહેલા જ બોલમાં સિક્સર ફટકારવી. 'કેસરી ચેપ્ટર ટુ: ધ અનટોલ્ડ સ્ટોરી ઓફ જલિયાંવાલા બાગ' ફિલ્મના ડિરેક્ટર એટલે કરણસિંહ ત્યાગી. મજબૂત, પ્રવાહી અને ટાઇટ સ્ક્રિપ્ટ, એક પણ સીન ન વધારાનો કે ન ઓછો, અક્ષયકુમાર સહિત તમામ મુખ્ય પાત્રોનો ઉત્તમ અભિનય, ઉત્તમ પ્રોડક્શન ડિઝાઇન, સુંદર સિનેમેટોગ્રાફી અને દ્રશ્યોની અસરકારકતાને તીવ્ર બનાવી મૂકતું બેકગ્રાઉન્ડ મ્યુઝિક. ફિલ્મ જોઈને એવું લાગે કે નક્કી આ ફિલ્મ કોઈ ઘડાયેલા અને અનુભવી ડિરેક્ટરે બનાવી હશે. સચ્ચાઈ એ છે કે કરણસિંહ ત્યાગીની દિગ્દર્શક તરીકે આ પહેલી જ ફિલ્મ છે. તેઓ ફિલ્મના સહલેખક પણ છે. બોલિવુડમાં ખાસ કરીને અત્યારે જ્યારે સારી ફિલ્મોનો દુકાળ પડયો છે ત્યારે 'કેસરી-ટુ' રીતસર તાજગીની લહેરખી બનીને આવી છે. આ ફિલ્મ દર્શકો અને સમીક્ષકો સૌને એકસરખી ગમી ગઈ છે. બોક્સ ઓફિસ પર તે સફળ નિવડી છે. નિ:સંદેહપણે ૨૦૨૫ના વર્ષની અત્યાર સુધીની આ બેસ્ટ ફિલ્મ છે.
મજા જુઓ. 'કેસરી-ટુ' પહેલાં કરણસિંહ ત્યાગીને ફિલ્મમેકિંગનો કોઈ અનુભવ નહોતો. ન તેઓ કોઈ ફિલ્મ સ્કૂલમાં ગયેલા કે ન કોઈ ડિરેક્ટરના આસિસ્ટન્ટ બનેલા. તેઓ માત્ર ફિલ્મો જોઈ જોઈને ફિલ્મ બનાવતાં શીખ્યા છે. કરણસિંહ ત્યાગીનો બાયોડેટા ધ્યાન ખેંચેં એવો છે. ૨૦૦૯માં મુંબઈની ગવર્મેન્ટ લા કોલેજથી ગ્રેજ્યુએટ થયા બાદ એમણે વિશ્વની શ્રેષ્ઠતમ ગણાતી હાર્વર્ડ યુનિર્વસિટીની લા સ્કૂલમાં એડમિશન લીધું, એલએલએમની ડિગ્રી મેળવી. પેરિસ અને ન્યુ યોર્કની ઇન્ટરનેશનલ લા ફર્મ્સમાં કામ કર્યું, ન્યુ યોર્ક સ્ટેટ બારના (અને પછી બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના) સભ્ય બન્યા. પણ એમનો જીવ ફિલ્મી. વિદેશમાં વસવાટ ખરો, પણ બોલિવુડની એકેય ફિલ્મ છોડે નહીં. બહાર જોરદાર બરફ પડતો હોય તો પણ હિન્દી ફિલ્મ જોવા જવાનું એટલે જવાનું. એક એડવોકેટ તરીકે એમની કરીઅર સફળ અને જામેલી હતી તો પણ એક વાત એમને બરાબર સમજાઈ રહી હતી: જો હું ફિલ્મોના ક્ષેત્રમાં મારી જાતને અજમાવીશ નહીં તો આખી જિંદગી અફસોસ રહી જશે.
એમણે નક્કી કર્યુ: હું એક વર્ષ સબાટિકલ લઈશ (એટલે કે એક વર્ષ હું કોઈ જોબ નહીં કરું) અને ફિલ્મોમાં નસીબ અજમાવીશ. જો કશુંય થયું તો ઠીક છે નહીં તો વકીલાત તો છે જ. પ્રોફેશનલ લાઇફમાંથી આ રીતે એક વર્ષનો બ્રેક લેવો જરાય આસાન નથી. પરિવારનો પૂરેપૂરો સપોર્ટ હતો. કરણસિંહ ત્યાગી મુંબઈ આવી ગયા. સદભાગ્યે એમનું વર્ષ એળે ન ગયું. એમણે 'ઓફિશિયલ ભૂતિયાગીરી' (૨૦૨૦) નામનો વેબ શો લખ્યો, 'કાલકૂટ' (૨૦૨૩) અને પછી ખૂબ વખણાયેલા 'બંદિશ બેન્ડિટ્સ' શોની બીજી સિઝન (૨૦૨૪) લખી. દરમિયાન 'ધ કેસ ધેટ શૂક ધ એમ્પાયર' વાંચવામાં આવી. તેનાં લેખકો હતા, સર સી. શંકર નૈયરના પૌત્ર રઘુ પલટ અને તેમનાં પત્ની પુષ્પા પલટ. કરણસિંહને આ પુસ્તકમાં ફાંકડી ફિલ્મ દેખાઈ. એમણે રીસર્ચ અને પછી સ્ક્રિપ્ટ લખવાનું કામ કર્યું, જે કુલ ચાર વર્ષ ચાલ્યું.
મૂળ પુસ્તકના કેન્દ્રમાં છે, સર સી. શંકરન નૈયર નામના બાહોશ ભારતીય વકીલ પર પંજાબના તત્કાલીન લેફ્ટનન્ટ ગર્વનર સર માઇકલ ઓ'ડ્વારે કરેલો ડિફેમેશન કેસ. શંકરન નૈયરે પોતાના એક પુસ્તકમાં જલિયાવાલા બાગના હત્યાકાંડને બ્રિટિશ રાજનું કરતૂત ગણાવ્યું હતું એટલે ગર્વનર સાહેબે તેમની વિરુદ્ધ કેસ ઠોકી દીધો હતો. આ કોર્ટ કેસ લંડનમાં ચાલ્યો હતો. જે વિગતો બહાર આવી હતી તેે જાણીને આખી દુનિયા ચોંકી ગઈ હતી. કરણસિંહ ત્યાગીએ પુસ્તક પરથી ફિલ્મ બનાવતી વખતે ખાસ્સી એવી સર્જનાત્મક છૂટછાટ લીધી છે. એમણે વિગતો યથાવત્ રાખીને આ કેસ શંકરન નૈયર અને જનરલ ડાયર (કે જેણે જલિયાવાલા હત્યાકાંડને અંજામ આપ્યો હતો) વચ્ચે આકાર લેતો દેખાડયો છે, અદાલતને લંડનથી પંજાબ શિફ્ટ કરી દીધી છે. વાસ્તવમાં જનરલ ડાયર સામે કોઈ કાનૂની કાર્યવાહી થઈ નહોતી. ખેર, ફિલ્મ ઉત્તમ બની છે, તેથી કરણસિંહ ત્યાગીએ લીધેલી ક્રિયેટિવ લિબર્ટી સામે કોઈને વાંધો પડયો નથી. કમસે કમ ભારતીયોને તો નહીં જ.
જબ જડ ચેતન મેં માતમ થા...
૧૩ એપ્રિલ ૧૯૧૯ના રોજ અમૃતસરમાં થયેલા જલિયાંવાલા બાગના જઘન્ય હત્યાકાંડમાં બચી ગયેલા નાનક સિંહ નામના કવિએ એક શક્તિશાળી કવિતા લખી હતી. તેનું શીર્ષક છે, 'ખૂની બૈસાખી'. આ કવિતા પર એ જમાનામાં તત્કાલીન સરકાર દ્વારા પ્રતિબંધ મૂકી દીધો હતો. 'કેસરી-ટુ'માં આ કવિતાનો કોઈક રીતે ઉપયોગ થયો હોત તો વાત ઔર જામત. એની વે, આ કવિતાના હિંદીમાં અનૂદિત થયેલા થોડા અંશ આપણે અહીં માણીએ:
સોલહ સૌ પચાસ ગોલિયાં, ચલી હમારી સીને પર.
પૈરોં મેં બેડી ડાલ, બંદિશેં લગી હમારે જીને પર.
રક્તપાત કરૂણા ક્રંદન, બસ ચારોં હોર યહીં થા.
પત્ની કે કંધે લાશ પતિ કી, જડ ચેતન મેં માતમ થા.
ઇન્કિલાબ કા ઊંચા સ્વર, ઇસ પર ભી યારોં દબા નહીં.
ભારતમાતા કા જયકારા, બંદૂકો સે ડરા નહીં.
કવિતાનો બીજો અંશ જુઓ:
જંગલ સે જૈસે પક્ષી ઉડતે હૈં, વૈસે હી વે ઇકટ્વે હુએ,
તાકિ બાજ અપની ભૂખ મિટા સકે,
ઔર ડાયર કી પ્યાસ ખૂન સે બૂઝ સકે.
હે માતાઓં, અપને બેટોં કો દેખો,
વે અપને જીવન કા બલિદાન દેને જા રહે હૈં.
હે બહનોં, અપનો ભાઈઓં કો રોકો,
વે અબ લૌટકર નહીં આએંગે.
હે પત્નીયોં, અપને પ્રિયજનોં કો થામ લો,
વરના વિધવા હો કર જીવન બિતાના પડેગા.
હે બચ્ચોં, અપને પિતા કો ગલે લગાઓ,
ક્યોંકિ વે અબ લૌટકર નહીં આએંગે.
ઇન્હેં રોકો, થામ લો, જો ભી કર સકો,
વે અબ લોટકર નહીં આએંગે...
'કેસરી-ટુ' ઓટીટી રિલીઝની રાહ જોયા વગર મોટા પડદે માણવા જેવી છે.