જતિન પૃથ્વીરાજ કપૂરઃ વિરાસતને સન્માન આપવા નામ બદલ્યું
- કપૂર ખાનદાનના પડછાયામાં પોતાની આગવી ઓળખ બનાવનાર
- ટેલીવીઝનમાં એવો સમય આવ્યો જ્યારે ગુણવત્તા કરતાં ટીઆરપીને વધુ મહત્વ મળવા લાગ્યું. પ્રોડયુસરો કલાકારો પ્રત્યે સહજ બની ગયા. પરાજિત નહિ પણ નિરાશ થઈને જતિને થોભી જવાનો નિર્ણય કર્યો
ભારતીય સિનેમાના ઈતિહાસને સમાંતર પરિવારી વૃક્ષના સભ્યો પૃથ્વીરાજ કપૂર, રાજ કપૂર, ઋષિ કપૂર, રણધીર કપૂર, કરિશ્માકપૂર, કરીના કપૂર અને રણબીર કપૂર જેવા નામ સાથે એક અન્ય નામ પણ છે, જે ભલે ઓછું જાણીતુ છે, પણ તેની રગોમાં એ જ ખાનદાની લોહી વહે છે, એ નામ છે જતિન પૃથ્વીરાજ કપૂર.
અત્યાર સુધી જતિન સિયાલ તરીકે ઓળખાતા આ કલાકારનો ચહેરો ૧૯૯૦થી ૨૦૦૦ના દાયકામાં ભારતીય ટીવી જોનારા માટે પરિચિત છે, પણ તેનું નામ કદાચિત લોકો ભૂલી ગયા હશે. આ બાબત પણ બે વર્ષ અગાઉ બદલાઈ ગઈ જ્યારે તેણે સત્તાવાર રીતે પોતાનું નામ બદલીને પોતાની વિરાસત અપનાવી અને કપૂર અભિનય વંશવેલાનો પાયો નાખનાર અગ્રણી હસ્તી પોતાના નાના પૃથ્વીરાજ કપૂરને સન્માનિત કર્યા.
જતિનની વાર્તા રાતોરાત સ્ટારડમ મેળવનાર અથવા મીડિયા રચિત ગ્લેમરસ કલાકારની નથી. શાલિનતા, સાતત્ય, પારિવારીક વિરાસત માટે ગાઢ આદર ધરાવનાર અને દાયકાઓના સખત પરિશ્રમ દ્વારા સ્વ-ઓળખ કંડારાયેલી કથા છે.
સિને જગતના દિગ્ગજ કલાકારો રાજકૂપર, શમ્મી કપૂર અને શશિ કપૂરની એકમાત્ર બહેન ઉર્મિલા સિયાલની કૂખે જન્મેલા જતિનનો વંશ ઋષિ કપૂર, રણધીર કપૂર, રાજીવ કપૂર, આદિત્ય રાજ કપૂર અને કુણાલ કપૂર જેવા કલાકારો સાથે જોડાયેલો છે. પણ અટકની લહેર પર સવાર થવાના સ્થાને જતિને કપૂર વિરાસતના ઝમકદાર પ્રકાશથી અળગા રહીને ચૂપચાપ પોતાની ઓળખ બનાવવાનો વિકલ્પ અપનાવ્યો.
પ્રારંભિક વર્ષોઃ કેમેરાની પાછળ અગ્રણીઓની સાથે
જતિને પોતાની કારકિર્દીની શરૂઆત એક એક્ટર તરીકે નહિ પણ સહાયક દિગ્દર્શક તરીકે કરી. તેને પ્રથમ બ્રેક ૧૯૯૧માં શશિ કપૂર દિગ્દર્શિત ઈન્ડો-સોવિયેત સંયુક્ત પ્રોજેક્ટ 'અજૂબા'માં મળ્યો. આ પ્રોજેક્ટ ઉદ્યોગમાં પ્રવેશતા યુવા માટે સ્વપ્ન સમાન હતો કારણ કે તે એક મોટા પાયાનો આંતરરાષ્ટ્રીય સહયોગ હોવા ઉપરાંત તેમાં મુખ્ય ભૂમિકામાં તેનો કઝિન ઋષિ કપૂર હતો. નીચલા સ્તરથી સિનેમાની બારિકીઓ આત્મસાત કરવાના ઈચ્છુક જતિને વળતર વિનાના આસીસ્ટન્ટ તરીકે કામ શરૂ કર્યું. સિનેમેટીક અગ્રણીઓ વચ્ચે ઉછેર થયો હોવાથી જતિન ફિલ્મી દુનિયાની ચમકથી બિલ્કુલ અંજાયો નહોતો.
જતિને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે મેં ફિલ્મ ઉદ્યોગના ગ્લેમરથી અંજાઈને તેમાં પ્રવેશ નહોતો કર્યો કારણ કે મને શ્રેષ્ઠ પાર્ટીઓ અને અગ્રણીઓનો અનુભવ છે. મને ફિલ્મ સર્જનની પ્રક્રિયા, કલાત્મકતા અને સખત પરિશ્રમે આકર્ષિત કર્યો.
ફિલ્મનો કમર્શિયલ પરફોર્મન્સ અપેક્ષાથી ઉણો ઉતર્યો હોવા છતાં જતિન અજૂબાને નિષ્ફળ નથી ગણતો. જતિન હજી પણ શશિ કપૂરના અતૂટ આશાવાદ અને ઉત્કૃષ્ટ કથાશૈલીને યાદ કરે છે. જતિન કાકાની ઉદારતા અને નમ્રતાને હજી પણ યાદ કરે છે જે કાયમ કહેતા કે બેટા, કામ બોલતા હૈ.
કેેમેરાની સામે પદાર્પણ
૧૯૯૦ના પાછલા દાયકામાં જતિને અભિનય કરવાનું શરૂ કરી દીધું. અભિનય ક્ષેત્રમાં તેને ઋષિ કપૂર દિગ્દર્શિત ડેબ્યુ પ્રોજેક્ટ 'આ અબ લૌટ ચલે' (૧૯૯૯)માં પ્રથમ બ્રેક મળ્યો. બંને પિતરાઈ હોવા છતાં જતિને પ્રોટોકોલનું પાલન કર્યું અને ઋષિના સેક્રેટરી દ્વારા સત્તાવાર મીટિંગની માગણી કરી. પછીની ઘટના તેના માટે અંગત અને વ્યાવસાયિક બંને રીતે મહત્વનો વળાંક હતી. ઋષિએ જતિનને કાસ્ટ કરવા ઉપરાંત ફિલ્મના અમેરિકી શેડયુલ માટે તેને સહાયક બનવા પણ જણાવ્યું.
અમેરિકાના ૪૫ દિવસના શૂટ દરમ્યાન જતિનને વધુ એક તક મળી. નીના ગુપ્તાની ઓફિસમાંથી તેને ફોન આવ્યો અને તેના ટીવી ડ્રામા 'સાંસ'માં રોલની ઓફર થઈ. આ ઓફર જતિન માટે મુખ્ય પ્રવાહની લોકપ્રિયતાની ટિકિટ સાબિત થઈ. સાંસમાં તેના પરફોર્મન્સની પ્રશંસા થઈ અને ટૂંક સમયમાં 'દર્દ', 'સંજીવની', 'પરંપરા' તેમજ 'રિશ્તે' જેવી હિટ સીરીયલોમાં પોતાના પરફોર્મન્સથી તે ટીવીનો જાણીતો ચહેરો બની ગયો.
વિરાસત સાથે જોડાવાનો નિર્ણયઃ જતિન પૃથ્વીરાજ કપૂર નામ શા માટે?
જતિને વર્ષો સુધી પોતાના ગૌરવશાળી વંશને જાહેર કરવાનું ટાળ્યું. તેને ભય હતો કે લોકો તેની કળાના સ્થાને તેના સંબંધને વધુ મહત્વ આપશે. જો કે પોતાની પૃષ્ઠભૂમિની જાણ થતા સહયોગીઓ દ્વારા સતત આશ્ચર્ય પામવું અને તેની ચૂપકીદી બાબતે નારાજગી દર્શાવવાને કારણે તેણે આખરે પોતાના નામમાં ફેરફાર કર્યો.
જતિન કહે છે કે હું આ કલાકારો વચ્ચે ઉછર્યો, પણ મારા માટે તો તેઓ માત્ર પરિવારના સભ્યો જ હતા. મેં જ્યારે ફિલ્મ ઉદ્યોગમાં પ્રવેશ કર્યો ત્યારે મને અહેસાસ થયો કે બાકીના વિશ્વ માટે તેઓ કેટલાક આઈકોનિક હતા. આથી ભારે મંથન પછી અને નાનાને તેમજ માતાને સન્માન આપવા જતિને સત્તાવાર રીતે પોતાનું નામ બદલીને જતિન પૃથ્વીરાજ કપૂર કર્યું.
જતિનનો આ નિર્ણય પ્રસિદ્ધિ અથવા માન્યતા માટે નહોતો. પોતાની વિરાસતને તેની અંગત સલામી હતી જેનો તેણે કાયમ આદર તો કર્યો હતો પણ ઓળખ છુપાવી હતી. નામમાં પરિવર્તનથી તેણે પોતાની ખરી ઓળખનો સ્વીકાર કર્યો છે, તેનાથી દૂર નથી ગયો.
ટેલીવીઝન લેન્ડસ્કેપ અને ત્યાર પછીનો સમય
૨૦૦૦ના દાયકામાં જતિને સ્થિર કારકિર્દી ભોગવી. તેની કાર્યશૈલી અને પરફોર્મન્સને કારણે પ્રોડક્શન હાઉસ તેને વારંવાર કાસ્ટ કરતા. છતાં જ્યારે સર્જકતા પર આર્થિક માપદંડ હાવી થવા લાગ્યા ત્યારે જતિને એક ફેરફારનો અનુભવ કર્યો.
જતિન કહે છે કે ટેલીવીઝનમાં એવો સમય આવ્યો જ્યારે પાત્ર કરતા કિંમતને વધુ મહત્વ મળવા લાગ્યું. પ્રોડયુસરો કલાકારો પ્રત્યે સહજ બની ગયા. પરાજિત નહિ પણ નિરાશ થઈને જતિને થોભી જવાનો નિર્ણય કર્યો અને એવા સમયની રાહ જોઈ જેમાં સ્ક્રીન ટાઈમ અથવા સ્ટારડમ કરતા કથાનકને મહત્વ મળે.
આવો સમય આખરે ઓટીટી બૂમ સાથે આવ્યો. ડિજિટલ મંચોએ તેને ફરી અભિનયમાં એક નવા આયામ સાથે પ્રવેશવાની તક આપી. ઓટીટી પર શો 'મિસમેચ'માં તેનો પ્રથમ મહત્વનો પરફોર્મન્સ હતો. ત્યાર પછી 'પોટલક' અને અન્ય સીરીઝ આવી. ફિલ્મી નાયકો કરતા પાત્ર આધારીત વાર્તાને પસંદ કરતા જતિન જેવા કલાકાર માટે આ પરિવર્તન આવકારદાયક હતું.
જતિન કહે છે કે ઓટીટીની સારી બાબત એ છે કે હીરો કોણ છે તે મહત્વનું નથી,પણ તેમાં અનેક શક્તિશાળી પાત્રો હોવાથી મને મારી જગ્યા મળી ગઈ.
કલાકાર પાછળનું વ્યક્તિત્વ
જતિન પૃથ્વીરાજ કપૂરને અન્યોથી અલગ કરતી બાબત તેના વંશ ઉપરાંત કલા પ્રત્યે તેની ગાઢ પ્રતિબદ્ધતા છે. કાકા પાસેથી સર્જનની બારીકી શીખતો આસીસ્ટન્ટ ડાયરેક્ટર હોય કે સમાન પ્રતિબદ્ધતા સાથે સકારાત્મક અને નકારાત્મક બંને પ્રકારના રોલને નિભાવતો એક કલાકાર હોય, તે કાયમ વાસ્તવિકતા સાથે જોડાયેલો રહ્યો છે.
જતિનની વિચારધારા સાદી પણ ગાઢ છે. તેના મતે રોલ સારા અથવા ખરાબ નથી હોતા, પણ કલાકાર તેને કેવા બનાવે છે તેના પર તેનો આધાર છે. જતિન કહે છે તેમ પોઝિટિવ અને નેગટિવ માત્ર બેટરીઓ હોય છે, ભૂમિકા નહિ. આમ કહીને જતિન ટાઈપકાસ્ટીંગ પ્રત્યે પોતાનો અણગમો જાહેર કરે છે. આ તમામ વચ્ચે જતિને ચમકદાર સ્પોટલાઈટથી દૂર રહીને ચૂપચાપ કલા પ્રત્યે પોતાની ધગશને અનુસરીને એવો પથ પસંદ કર્યો છે જેની તેના સ્થાને રહીને બહુ ઓછા લોકોેએ હિંમત કરી હોય. હવે જ્યારે તેણે પોતાના નામમાં પરિવર્તન કર્યું છે અને તેની સાથે દંતકથા સમી અટકનું વજન પણ છે ત્યારે જતિન હજી પણ અન્યોની અપેક્ષા પૂર્ણ કરવા નહિ પણ પોતાની ધગશ સંતોષવા કામ કરી રહ્યો છે.