Get The App

હું નહીં બોલું, મારું કામ બોલશે : સોનાક્ષી સિંહા

Updated: Sep 5th, 2025

GS TEAM

Google News
Google News
હું નહીં બોલું, મારું કામ બોલશે : સોનાક્ષી સિંહા 1 - image

- સૌથી પતિ મને સતત પરેશાન કરતો રહે છે. મને અકળાયેલી જોઈને તને મોજ પડી જાય છે! મૈત્રી અમારા સંબંધનો મજબૂત પાયો  છે...'  

ફિલ્મી દુનિયામાં તકદીર અત્યાર સુધી જેની પડખે રહ્યું છે તે સોનાક્ષી સિંહા સફળતાને હળવાશથી લેતી નથી. તે એક એકટ્રેસ તરીકે  આજે પણ નવા નવા પડકારો ઝીલવા માટે સુસજ્જ છે. સોનાક્ષી સિંહા કહે છે, 'જ્યારે દબંગ ફિલ્મમાં કામ કર્યું ત્યારે મને ખબર નહોતી કે ફિલ્મનું શું થશે? આ એક ડરામણો પણ ઉત્તેજનાસભર તબક્કો હતો. પણ ફિલ્મ હીટ નીવડી અને હું હિરોઇન બની ગઇ. આ વાતનું વાસ્તવભાન થવામાં મને ખાસો સમય લાગ્યો હતો. દબંગ હીટ થઇ તે પછી પાછું વાળીને જોવાનો સવાલ જ નહોતો. એ પછી તરત જ સન ઓફ સરદાર રજૂ થઇ એ પણ હીટ નીવડી. પછી તો ફિલ્મો મળતી ગઇ અને હું પણ કામ કરતી ગઇ. મારી દરેક ભૂમિકા  મારા માટે સર્જનાત્મક રીતે સંતોષકારક બની રહી છે. ફિલ્મ હીટ હોય કે ન હોય પણ મારા કામ સામે કદી કોઇ સવાલ થયો નથી. જ્યારે તમે સારું કામ કરો ત્યારે ઓડિયન્સને પણ તેમાં મજા આવે છે.' 

હીરામંડી બાદ સંજય લીલા ભણશાળીએ સોનાક્ષીમાં 'નમક હૈ' એમ કહ્યું તે બાબતનો ફોડ પાડતાં સોનાક્ષી સિંહા કહે છે, 'હું ખલનાયિકા કે નકારાત્મક ભૂમિકા ભજવવા માંગતી હતી. સંજય સરે મારામાં ભજવવાની ક્ષમતા જોઇ એ માટે હું તેમની આભારી છું. લોકો પ્રશંસા કરે તે મને ગમે છે પણ હું તેને મારા મગજમાં ભરાઇ જવા દેતી નથી. મારા બદલે મારું કામ બોલે તેમા હુંં માનું છું.' 

તમારામાં આવો  આત્મવિશ્વાસ ક્યાંથી આવે છે તેમ પૂછવામાં આવતાં સોનાક્ષી કહે છે, 'નાની હતી ત્યારે હું સ્કૂલમાં જાડી અને ચરબીદાર હતી. સ્કૂલમાંં બધા મને ચીડવતાં રહેતા હતા. તેને કારણે હું થોડી જાડી ચામડીની બની ગઇ છું. શરૂઆતમાં મને લોકો પજવતા ત્યારે લાગી આવતું પણ પછી તેની મારા પર કોઇ અસર થતી નહોતી. જ્યારે તમારાં માતાપિતા તમારી પડખે હોય ત્યારે તમારો આત્મવિશ્વાસ જબરદસ્ત વિકસે છે. હું આખી દુનિયામાં સૌથી ખૂબસુરત યુવતી છું એમ માનતી હતી અને સાચું પૂછો તો હજી પણ માનું છું!' 

પુત્રીઓ માટે પિતા હંમેશા રોલમોડેલ હોય છે. તમને તારા પતિ ઝહીરમાં એવી કઇ ખાસિયત દેખાઇ જે પિતાની યાદ અપાવે? તેવા સવાલના જવાબમાં સોનાક્ષી કહે છે, 'મારા પાપા અને ઝહીર બંને એકદમ પ્રામાણિક છે. તેઓ બંને એકદમ ઉદાર અને મોટા મનના છે. વળી બંને સેજિટેરિયન્સ પણ છે. બંનેને એકબીજા સાથે સારું બને પણ છે.' 

એમ કહેવાય છે કે વિરોધી ગુણથી આકર્ષણ થાય પણ સમાન ગુણો સાથે રાખે તો ઝહીર અને તમારામાં સમાનતા અને ફરક ક્યાં ક્યાં છે તેવા સવાલના જવાબમાં સોનાક્ષી કહે છે, 'અમે બંને મસ્તીખોર છીએ. સોશિયલ મીડિયા પર અમારી મજાકો ચાલતી રહે છે. અમારા ગમા-અણગમા પણ સમાન છે. મજાની વાત એ છે કે હું બધી જગ્યાએ સમયસર પહોંચી જવામાં માનું છું. જ્યારે ઝહીર અને પાપા બંને લેટ લતિફ છે. ઝહીર ક્યાંય સમયસર પહોંચતા નથી. એક રીતે તે પાપા જેવો છે. ઝહીરની સૌથી મોટી ખાસિયત એ છે કે એ  પારિવારિક માણસ છે. તે ઉત્તમ પુત્ર, ઉત્તમ પતિ, ઉત્તમ  અંકલ અને ઉત્તમ ભાઇ છે. જરૂર પડે ત્યારે ગમે તે સ્થિતિ હોય તે હમેંશા હાજર થઇ જાય છે. તેના માટે પરિવાર પ્રથમ છે. મારા માટે તેનો આ ગુણ ખૂબ મહત્ત્વનો છે. પણ તેની સૌથી મોટી કુટેવ એ છે કે તે મને સતત પરેશાન કરતો રહે છે. હું અકળાઉં તેમાં તેને ખૂબ મજા પડે છે. પણ અમારા સંબંધોમાં સૌથી મહત્વની બાબત વિશ્વાસ અને મૈત્રી છે.' 

સોનાક્ષી સિંહા ઉમેરે છે, 'મારે એક એક્ટર તરીકે પડકારભરી ભૂમિકાઓ કરવી છે. તેમાં પણ હું રાજકુમાર હિરાણી અને ઇમ્તિયાઝ અલી સાથે કામ કરવા આતુર છું. સંજય સર તો ફેવરિટ છે જ. સવાલ મારા લાયક ભૂમિકાઓનો છે.'

વેલ સેઇડ, સોનાક્ષી !