હુમા કુરેશી વર્ણવે છે જમ્મુના સુચેતગઢની યાદગાર મુલાકાત
- 'આપણે નફરતને જીતવા નથી દેવાની. ભારતીયો તરીકે નફરત પણ આપણી ઓળખ ન બનવી જોઈએ. દુશ્મનો આપણી અંદર ભય અને નફરતનું વિષ ઘોળીને આપણી વચ્ચે તિરાડ પાડવા માગે છે'
૨૮મી મેના દિવસે જમ્મુ-કાશ્મીર પર્યટન વિભાગે બૉર્ડર સિક્યુરિટી ફૉર્સ (બીએસએફ) સાથે મળીને સુચેતગઢ સ્થિત ઑકટ્રોય જનરલ વિસ્તારમાં એક ખાસ કાર્યક્રમનું આયોજન કરીને સીમાડાના પ્રવાસનને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. અભિનેત્રી હુમા કુરેશીએ આ કાર્યક્રમમાં ભાગ લેવા સાથે સીમાપરથી થયેલા ગોળીબારમાં અસર પામેલા પરિવારોની મુલાકાત લીધી હતી. ભારત-પાકના તીવ્ર સંઘર્ષ દરમિયાન સીમાડાની સુરક્ષામાં તૈનાત ટ્રૂપ સાથે વાતચીત કરી હતી અને પર્યટકોને જમ્મુ-કાશ્મીરની મુલાકાત લેવાનું આહ્વાન કર્યું હતું.
અદાકારાએ કહ્યું હતું કે ભારત-પાક વચ્ચે હમણાં ચાલી રહેલી અત્યંત તાણભરી સ્થિતિ દરમિયાન મને જમ્મુની, ખાસ કરીને સુચેતગઢ પોસ્ટની મુલાકાત લેવાનું, બીએસએફના જવાનોને મળવાનું નિમંત્રણ આપવામાં આવ્યું ત્યારે મેં પળનોય વિલંબ કર્યા વિના તે સ્વીકારી લીધું હતું. આ જવાનોએ આપણા દેશ માટે, ભારતની સલામતી અને સુરક્ષા માટે શું કર્યું છે તેની કદર કરવાનો સમય છે. તેમણે પોતાની જાનની પરવા કર્યા વિના ખડેપગે આપણા દેશના સીમાડાઓને સાચવ્યા એ વાતની નોંધ ન લઈએ તો આપણે નગુણા કહેવાઈએ.
હુમાએ જમ્મુ-કાશ્મીરના પર્યટનને ફરીથી બળ આપવા કહ્યું હતું કે આપણે નફરતને જીતવા નથી દેવાની. ભય આપણી ઓળખ ન બનવી જોઈએ. ભારતીયો તરીકે નફરત પણ આપણી ઓળખ ન બનવી જોઈએ. તેઓ આપણી અંદર ભય અને નફરતનું વિષ ઘોળીને આપણી વચ્ચે તિરાડ પાડવા માગે છે. પરંતુ આપણે નફરતને વિજેતા નથી બનાવવાની. ભારતીયો તરીકે આપણને હળીમળીને આપણા સૈનિકોના મનોબળ-હિમ્મતને વધારવાના છે. નફરતને જડમૂળમાંથી ઉખેડીને ફેંકી દેવાની છે.
હુમાએ દરેક ભારતીયને વિનંતી કરી હતી કે અહીં આવો અને આપણા સશસ્ત્ર દળોને મળો, તેમની સાથે વાતચીત કરો. જો આપણે જમ્મુ અને કાશ્મીરમાં સહેલગાહે આવવાનું બંધ કરી દઈશું તો નફરતની જીત થશે. સઘળા ભારતીયોએ એકીસ્વરે કહેવું પડશે કે અમે કોઈનાથી ડરતા નથી. અમે નાચીશું, ગાઈશું, સાથે મળીને ખુશી મનાવીશું. અમારી ખુશીઓ અમારાથી કોઈ નહીં છીનવી શકે.
જોકે હુમા જ્યારે બીએસએફના જવાનોના પરિવારજનોને મળી ત્યારે તેની છાતી ગજ ગજ ફૂલી હતી. તેણે કહ્યું હતું કે હું ભારત-પાક બોર્ડર પર આવેલા સુચેતગઢ ખાતે પહોંચી ત્યારે મારા આશ્ચર્યનો પાર નહોતો રહ્યો. ત્યાંના વાતાવરણમાં ભયનું નામોનિશાન નહોતું. મારા જીવનમાં આટલી સલામતી મેં અગાઉ ક્યારેય નથી અનુભવી. ત્યાંની મહિલા સેનાનીઓનો જુસ્સો કાબિલેતારીફ હતો. હુમા જવાનોના પરિવારજનોને મળી ત્યારે તેનું હૃદય દ્રવી ઉઠયું હતું. તેણે કહ્યું હતું કે તેઓ જે બલિદાન આપી રહ્યાં છે તેની આપણે કલ્પના પણ કરી શકીએ તેમ નથી. અને તેઓ સઘળું બલિદાન હસતા મુખે આપે છે.
અદાકારા એક મહિના પહેલા પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા શેલિંગમાં વીરમરણ પામેલા રાજૌરીના વધારાના જિલ્લા વિકાસ કમિશનર રાજકુમાર થાપાના કુટુંબીજનોને પણ મળી હતી. તે કહે છે કે હું તેમને મળીને હચમચી ગઈ હતી. તેમને સાંત્વન આપવાના શબ્દો મને હાથતાળી આપી રહ્યાં હતાં. હું ત્યાં બેસીને તેમના દુ:ખમાં ભાગીદાર બની હતી. તેમણે એક પુત્ર, પિતા, પતિને ગુમાવ્યો છે તે આપણે હમેશાં યાદ રાખીશું.