- હર્ષવર્ધને રોમાન્ટિક ફિલ્મોથી ચૂપચાપ દૂર થઈ ગયેલા સર્જકોને યાદ અપાવી દીધું કે રોમાન્સમાં ગીમિક્સની બિલકુલ આવશ્યક્તા નથી.
પ્રણયગાથાઓ રજૂ કરવા માટે જાણીતા બોલિવુડમાં છેલ્લા કેટલાક વર્ષથી એક્શન ફિલ્મોની બોલબાલા વધી પડી છે. અન્ય દેશી-વિદેશી ફિલ્મોદ્યોગના રવાડે ચડેલા હિન્દી ફિલ્મોદ્યોગે પોતાની મૂળ સુગંધ ખોઈ દીધી હોય એવા માહોલ વચ્ચે અભિનેતા હર્ષવર્ધન રાણેની ફિલ્મ 'એક દીવાને કી દીવાનિયત' એ જાણે કે એ વિતી ગયેલા સમયને પાછો લાવી દીધો.
મિલાપ ઝવેરી જેવા અચ્છા સર્જકની આ લો બજેટ ફિલ્મ હવે કરોડોમાં રમી રહી છે. સાથે સાથે હર્ષવર્દન રાણેનું નામ પણ ટોચના રોમાન્ટિક હીરોમાં સામેલ થઈ ગયું છે. વાસ્તવમાં હર્ષવર્ધને આ ફિલ્મમાં પોતાની ભીતર રહેલી ભાવનાઓ, લાગણીઓ, પ્રણયનું ટીપેટીપું નીચોવી દીધુ છે. તેના પર્ફોર્મન્સે દર્શકોને અગાઉની રોમાન્ટિક ફિલ્મો યાદ તાજી કરાવી દીધી અને દર્શકો આપોઆપ આ સિનેમા તરફ ખેંચાવા લાગ્યાં.
જોકે આ એકમાત્ર ફિલ્મે જ હર્ષવર્ધનને રોમાન્ટિક હીરો તરીકે મોખરાનું સ્થાન આપ્યું છે એમ કહેવું અર્ધસત્ય ગણાશે. આ વર્ષના પ્રારંભમાં અભિનેતાની 'સનમ તેરી કસમ'ની પુનઃરજૂઆતનું પણ તેમાં મોટું યોગદાન છે. મઝાની વાત એ છે કે દક્ષિણ ભારતીય ફિલ્મોદ્યોગ તેમ જ ટીવી પર કામ કર્યા પછી વર્ષ ૨૦૧૬માં હર્ષવર્ધને 'સનમ તેરી કસમ'થી જ હિન્દી ફિલ્મોમાં પદાર્પણ કર્યું હતું. આ સિનેમામાં અભિનેત્રી માવરા હોકેના અને હર્ષવર્ધનની જોડીએ કમાલ કરી બતાવી હતી. દર્શકોએ આ મૂવીમાં અભિનેતાને ખૂબ પસંદ કરેલો. અને આ વર્ષના આરંભમાં આ ફિલ્મને ફરીથી રજૂ કરવામાં આવી ત્યારે પણ રોમાન્ટિક ફિલ્મના ચાહકો મોટી સંખ્યામાં સિનેગૃહોમાં ઉમટી પડયા હતા. આ સિનેમામાં પણ હર્ષવર્ધને તેના રોમાન્ટિક અંદાજથી દર્શકોને આંજી દીધા હતા. તાજેતરમાં આ અભિનેતાએ દીવાનિયત કેવી હોય તે 'એક દીવાને કી દીવાનિયત' માં બતાવી આપ્યુ. તેની સાથે દર્શકોના દિલોદિમાગમાં વિસારે પાડી દેવામાં આવેલી પ્રણયગાથાઓની યાદ તાજી થઈ ગઈ અને અભિનેતા રોમાન્ટિક હીરો તરીકે ઊભરી આવ્યો.
બોલિવુડનાં સૂત્રોએ જણાવ્યું હતું કે હર્ષવર્ધને રોમાન્ટિક ફિલ્મોથી ચૂપચાપ દૂર થઈ ગયેલા સર્જકોને યાદ અપાવી દીધું કે રોમાન્સમાં ગીમિક્સની બિલકુલ આવશ્યક્તા નથી. પ્રેમ-પ્રકરણ શાશ્વત છે અને રહેશે.


