સુહોલિવુડની સૌથી પ્રસિદ્ધ અભિનેત્રીઓ પૈકીની એક અને એકેડમી એવોર્ડ વિજેતા ગ્વીનીથ પેલ્ટ્રોએ તેને એક સમયે ફિલ્મ ઉદ્યોગથી દૂર ધકેલનાર લાગણીના સંઘર્ષ વિશે ખુલીને વાત કરી છે. એ કહે છે કે 'સેવન', 'એમ્મા' અને 'સ્લાઈડિંગ ડોર્સ' જેવી મહત્ત્વની ફિલ્મો સાથે પ્રારંભિક સફળતા હાંસલ કરી હોવા છતાં એની જીંદગીની વીસીનો દાયકો દુઃખ અને એકલતાથી છવાયો હતો. તેની કારકિર્દી તો ઊંચે ચડી રહી હતી, પણ આંતરિક રીતે તે કંઈક વધુ ઝંખી રહી હતી - માનસિક સ્પષ્ટતા, એક ઓળખ.
ગ્વીનીથે કબૂલ કર્યું કે તેને પ્રસિદ્ધિ એવા સમયે મળી જ્યારે હજી તે ખુદને બરોબર ઓળખતી નહોતી. તેના નિવેદનથી સ્પષ્ટ થાય છે કે કેવી રીતે હોલિવુડની ગ્લેમરસ સપાટીની નીચે કલાકારની વાસ્તવિકતા કંઈક જુદી જ હોય છે. ગ્વીનીથને અહેસાસ થયો કે તેને વિકસવા માટે થોડા અવકાશની જરૂર છે. સ્વ-ઓળખની આ તમન્નાએ તેને આખરે હોલિવુડથી દૂર કરી.
વિરામના આ સમય દરમ્યાન એણે આત્મમંથન કર્યું, પરિવાર સાથે સમય વીતાવ્યો. એણે અલબત્ત, મનથી પૂર્ણપણે હોલિવુડ નહોતું છોડયું. સ્પોર્ટ્સ કોમેડી-ડ્રામા 'માર્ટી સુપ્રીમ' સાથે એની ફિલ્મ ઉદ્યોગમાં વાપસી અનપેક્ષિત હતી. આ સમયે તેના બાળકો કોલેજ જતાં થયાં હતાં. ગ્વીનીથ સમક્ષ અચાનક સમયનો અવકાશ સર્જાયો હતો. પેલ્ટ્રો યાદ કરે છે કે અચાનક મને અવિશ્વાસની લાગણી થઈ કે હું કોણ છું? ફિલ્મ ઉપરાંત થિયેટર પણ પેલ્ટ્રોનું પેશન રહ્યું છે. એના મતે ઓડિયન્સ સામે લાઇવ પરફોર્મન્સ હજી પણ તેના દિલમાં વિશેષ સ્થાન ધરાવે છે. ૨૬ વર્ષની ઉંમરે ઓસ્કર જીતનાર ગ્વીનીથ કબૂલ કરે છે કે એની મોટાભાગની અભિનય અંગેની મહત્વાકાંક્ષા ૩૦ વર્ષની વય પહેલાં જ પૂરી કરી લીધી હતી!


