TV TALK .
મોહિત મલિકઃ ડરના જરુરી હૈ
ભારત -પાકિસ્તાન વચ્ચે અશાંતિનોે માહોલ પેદા થયો ત્યારે અભિનેતા મોહિત-મલિક ઉત્તર ભારત ખાતે પત્ની અદિતિ મલિક અને ચાર વર્ષના પુત્ર એકબીર સાથે રજાઓ માણી રહ્યો હતો. અભિનેતાએ પોતાનો આ સમય દરમિયાનનો ડરામણો અનુભવ વર્ણવતા કહ્યું હતું કે તેઓ ભયભર્યા વાતાવરણમાં શી રીતે દિલ્હી પરત ફર્યાં. અભિનેતાએ પોતાનો ગભરાટભર્યો અનુભવ વર્ણવતા જણાવ્યું હતું કે અમે ચંદીગઢથી મુંબઈની ફ્લાઈટ પકડવાના હતાં, પરંતુ એ ફ્લાઈટ રદ્ કરી દેવામાં આવી. છેવટે અમે દિલ્હી પરત ફરવાનું નક્કી કર્યું. દિવસ દરમિયાન મોહાલી (પંજાબ) અને અંબાલા (હરિયાણા) જેવા સંવેદનશીલ વિસ્તારોમાંતી પસાર થતી વખતે પણ અમારા હાંજા ગગડી રહ્યાં હતાં. અમને સર્વત્ર વધારી દેવામાં આવેલી સલામતી વ્યવસ્થા નજરે પડતી હતી. તે વખતે હું કેટલો ચિંતિત હતો તેનું વર્ણન કરવું અસંભવ છે. વળી અમારો ચાર વર્ષનો પુત્ર અમારી સાથે હતો તેથી અમે વધારે ચિંતિત હતાં.
અભિનેતાએ ઉમેર્યું હતું કે અમે ગમે તે ભોગે દિવસ દરમિયાન જ પંજાબમાંથી પસાર થઈને આગળ વધી જવા માગતા હતા. રાતના સમેય અને ત્યાંના ભયભર્યાં માહોલમાંથી પસાર નહોતું થવું, હુંકોઈ પ્રકારનું જોખમ લેવા નહોતો ઈચ્છતો.
મોહિતે ત્યાંના લોકોના ચહેરા પર છવાયેલા ડર વિશે કહ્યું હતું કે રસ્તામાં પુષ્કળ ટ્રાફિક હતો, લોકોના ચહેરા પર ભય-ચિંતા -ડર લીંપાયેલા હતા. સમગ્ર વાતાવરણમાં ભય છવાયેલો હતો. પરંતુ સદનસીબે અમે ઘરે પહોંચી ગયા હતા.
કરણ ટેકર : પડકારો તો હોવાના
વર્તમાન પરિસ્થિતિને કારણે તાજેતરમાં પોતાના જન્મદિવસની ઉજવણીમાં ભાગ લઈ નહીં શકનારા અભિનેતા કરણ ટેકરની કારકિર્દી ખૂબ જ સારી રહી છે. ટેલિવિઝન પર મોહક પ્રેમી તરીકેની અનેકવિધ ભૂમિકા ભજવી કારકિર્દીના પ્રારંભિક દિવસો તો ખૂબ સારી રીતે પસાર કર્યા છે. આ પછી તેણે 'સ્પેશિયલ ઓપ્સ' (૨૦૨૦) વેબ શોમાં ઈન્ટેન્સ રોલ ભજવ્યા તેનું એવું માનવું છે કે આ મહત્ત્વપૂર્ણ છે કારણ કે એક અભિનેતાએ કોઈ પણ પ્રકારની ભૂમિકા સુધી મર્યાદિત ન રહેવું જોઈએ.
આજે આપણી પાસે ત્રણ પ્લેટફોર્મ- ફિલ્મ, ટીવી અને ઓટીટી છે. દરેક વ્યક્તિની પોતાની વ્યક્તિગત અને પોતાની અન્ય સમસ્યા હોય છે. તાજેતરમાં જ અનુપમ ખેરના દિગ્દર્શન હેઠળની ફિલ્મ 'તન્વી-ધ ગ્રેટ'ના કલાકારોની યાદીમાં આ અભિનેતા પણ જોડાયા. કરણ કહે છે, 'કલાકારોના સ્લોટની એક સમસ્યા છે અને તે બધા જ ક્ષેત્રોમાં જોવા મળે છે,' આ સંદર્ભે કરણ ઉમેરે છે, 'ખાકી : ધ બિહાર ચેપ્ટર-૨' (૨૦૨૨) પછી મને તરત જ ઘણા બધા પોલીસ અધિકારીઓની ભૂમિકા ઓફર થવા માંડી. આવું તો હજુ પણ બની રહ્યું છે, પણ એક કલાકાર તરીકે હું હજુ પણ એવું વિચારી રહ્યો છું કે તે તમારા પર નિર્ભર છે કે તમે તમારી કારકિર્દીને કેવી રીતે આગળ વધારવા માગો છો. પોતાનું ઉદાહરણ આપતા કરણ વિગતવાર જણાવે છે, 'હું ટીવી પર રોમેન્ટિક હીરો તરીકે અભિનય કરવા આવ્યો હતો. મેં જે કંઈ કર્યું તેને કારણે મને એવી સશક્ત ભૂમિકા વધુ મળી. આનું કારણ એ કે મેં તાજેતરના સમયમાં આ બધી માચો ભૂમિકા ભજવવાનું શરૂ કર્યું છે. મને હવે રોમાન્સની ભૂમિકા ઓફર કરાતી નથી. એક અભિનેતા તરીકે મને તે થોડી યાદ આવે છે. મને લાગે છે કે હું ગંભીર તમામ પ્રકારની ભૂમિકા કરું છું. રોમેન્ટિક પાત્ર માટે કોઈ હવે મારી પાસે નથી આવતું. તેમને (નિર્માતા) લાગે છે કે અથવા કદાચ માનતા નથી કે હું કોઈ મહિલાને પ્રેમ કરી શકતો નથી.'
હીના ખાન બની બ્રાન્ડ એમ્બેસડર
તાજેતરમાં અભિનેત્રી હીના ખાને તેના સોશ્યલ મીડિયા અકાઉન્ટ પર એક ખુશખબર જાહેર કરતાં કહ્યું હતું કે તેને કોરિયા ટુરિઝમની બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવી છે. સતત આઠ વર્ષ સુધી 'યે રિશ્તા ક્યા કહલાતા હૈ'માં મુખ્ય ભૂમિકા ભજવ્યા પછી રીઆલિટી શો 'બિગ બૉસ'માં પણ પોતાના કૌવતનો પરચો આપનાર આ અદાકારાએ દક્ષિણ કોરિયાના સમુદ્ર તટે બૉય ફ્રેન્ડ રૉકી જયસ્વાલ સાથેની પોતાની તસવીર પોસ્ટ કરવા સાથે લખ્યું હતું કે કોરિયા પ્રવાસનના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્તિ પામવી એ મારા માટે ગૌરવની વાત છે. આમેય મને કોરિયાની અદ્ભૂત પ્રકૃતિ, ત્યાંની સમૃધ્ધ પરંપરાો, કે-ડ્રામ અને કે-પૉપ હમેશાંથી આકર્ષતા આવ્યાં છે. હવે હું ભારતીયોને કોરિયાના સુંદર પ્રવાસન સ્થળોની જાણકારી આપીને તેમને ત્યાં જવા માટે પ્રોત્સાહિત કરીશ. અત્રે ઉલ્લેખનીય છે કે હીનાને 'કોરિયા ટુરિઝમ ઑર્ગેનાઇજેશન' (કેટીઓ)એ હીના ખાનને મે ૨૦૨૫થી એપ્રિલ ૨૦૨૬ માટે ભારતમાંથી કોરિયા ટુરિઝમની માનદ્ એમ્બેસેડર નીમી છે.