અર્જિત તનેજાએ 'ઝનક' કેમ છોડી?
ધારાવાહિક 'ઝનક'માં ઋષિની ભૂમિકા ભજવી રહેલા અભિનેતા અર્જિત તનેજાએ અચાનક શો છોડી દેતાં દર્શકોને ભારે આશ્ચર્ય થયું હતું. તેના સ્થાને ભલે એક નવો ચહેરો ગોઠવાઈ ગયો છે. આમ છતાં અર્જિતના ચાહકો માટે આ મોટો આંચકો છે. તેઓ પૂછી રહ્યાં છે કે અર્જિતે આ શો શા માટે છોડયો? જો સૂત્રોની વાત સાચી માનીએ તો અર્જિતે 'ઝનક' છોડી તેનું કારણ એકતા કપૂરના અત્યંત લોકપ્રિય શોની સાતમી સીઝન છે. કહેવાનો અર્થ એ છે કે અર્જિતને એકતા કપૂરની લોકપ્રિય ધારાવાહિક 'નાગિન-૭' છે. આ ધારાવાહિકમાં અભિનેતા મુખ્ય ભૂમિકામાં આવી શકે. જોકે આ વાત જાણ્યા પછી અર્જિતના પ્રશંસકો ઘેલમાં આવી ગયા છે. અલબત્ત, એકતા કપૂર તરફથી આ બાબતે કોઈ નિવેદન નથી આવ્યું. પરંતુ એમ પણ કહેવાઈ રહ્યું છે કે 'નાગિન-૭'માં મુખ્ય નાયિકાની ભૂમિકા 'બિગ બોસ-૧૬'ની સ્પર્ધક પ્રિયંકા ચાહર ચૌધરી નિભાવી શકે. જોકે મેલ લીડમાં અર્જિત ઉપરાંત નમિક પોલ અને પારસ કલનાવતના નામ ચર્ચાઈ રહ્યાં છે. અહીં એ વાતની નોંધ લેવી રહી કે અર્જિત તનેજાએ 'નાગિન-૫ અને ૬'માં કેમિયો કર્યો હતો. 'નાગિન-૭' આવવાની હોવાની અધિકૃત જાહેરાત થઈ ગઈ છે. પરંતુ શો ક્યારે અને ક્યા સ્લોટમાં આવશે તેની જાણકારી આપવામાં નથી આવી.
એક્સ ગર્લ ફ્રેન્ડના આરોપો પર ભડક્યો કરણ કુન્દ્રા
એ વાત સર્વવિદિત છે કે 'બિગ બોસ-૧૫'માં ભાગ લેનાર કરણ કુન્દ્રા અને તેજસ્વી પ્રકાશ પરસ્પર પ્રેમમાં પડયાં હતાં. અને આજે પણ તેઓ એકબીજાના ગળાડૂબ પ્રેમમાં છે. પરંતુ કરણ કુન્દ્રાની એક્સ ગર્લ ફ્રેન્ડ અનુષા દાંડેકર તેના પર અવારનવાર ચીટિંગના આરોપો મૂકવાનું નથી ચૂકતી. વર્ષ ૨૦૨૦માં છૂટા પડયાં પછી પણ અનુષા કરણને આડકતરી રીતે હેરાન કરતી રહે છે. તાજેતરમાં વધુ એક વખત તેણે કરણનું નામ આપ્યા વિના એક વીડિયો મૂક્યો હતો જેમાં અનુષાએ કહ્યું હતું કે તે એક તબક્કે જેને ડેટ કરતી હતી તે યુવક ડેટિંગ એપના માધ્યમથી અલગ-અલગ છોકરીઓ સાથે પ્રણયના ફાગ ખેલતો હતો. નેટિઝનો અનુષાનો ઈશારો કોના તરફ છે તે સમજી ગયા હતાં. પરંતુ મોટાભાગે ચૂપકીદી સેવનાર કરણે આ વખતે પોતાની ઇન્સ્ટા સ્ટોરી પર લખ્યું હતું કે 'ત્રણ કલાકમાં ૮૭ આર્ટિકલ શા માટે? એક પોડકાસ્ટ વેંચવા ખાતર? શું આપણા દેશના યુવાનો અને યુવતીઓ પર આવી ભૂરી છાંટવામાં આવી રહી છે? કેટલા અફસોસની વાત છે કે આજે આ ક્રૂર એલીટ મહિલાઓ ગમે તેમ બોલે છે. આમ છતાં તેમની પ્રશંસા પણ થશે. જ્યારે પુરૂષો પાસે જવા માટે કોઈ જગ્યા જ નથી. અમારા જેવા યુવાનો નાના શહેરોમાંથી મુંબઈ આવીને દિવસ-રાત એક કરીને કામ કરે છે, પોતાના પરિવારથી દૂર રહીને પોતાની જાતને નીચોવી નાખે છે. અને બોલીવૂડ સાથે સંકળાયેલા પરિવાર સાથે સંબંધ ધરાવતી યુવતીઓ તેમના પર ખોટાં આરોપો મઢે છે. ખરેખર તો આ વ્યવસ્થિત રીતે કરાતું ઉત્પીડન છે. તે સંબંધિત યુવકને ભીતરથી ભાંગી નાખી શકે.'
અદિતી ગુપ્તા જોડિયા શિશુઓની માતા બની
ધારાવાહિક 'ઇશ્કબાજ' અને અન્ય સીરિયલોને પગલે ઘર ઘરમાં જાણીતી બનેલી અભિનેત્રી અદિતિ ગુપ્તાએ આ મહિનાના આરંભમાં જ પોતાના પ્રશંસકોને સાનંદાશ્ચર્યમાં મૂકી દીધાં હતાં. પોતાની વ્યક્તિગત અને વ્યાવસાયિક જિંદગીને પગલે હમેશાં ચર્ચામાં રહેતી અદિતિ જોકે છેલ્લા કેટલાક સમયથી સીરિયલોમાં નથી દેખાી. પણ તેણે તાજેતરમાં ઇન્સ્ટાગ્રામ પર પતિ કબીર સાથેની તસવીર મૂકવા સાથે જણાવ્યું હતું કે તેઓ જોડિયા બાળકોના માતાપિતા બન્યાં છે ત્યારે તેના ચાહકો ઉછળી પડયાં હતાં. નેટિઝનોએ યુગલ પર વધામણાંની વર્ષા કરી હતી.
રીઆલિટી શોમાં મલાઈકા અરોરાના હાંજા ગગડી ગયા
ટચૂકડા પડદે ચાલી રહેલા રીઆલિટી શો 'ઇન્ડિયાઝ ગોટ ટેલેન્ટ'માં એક સ્પર્ધકે આપેલા પરર્ફોર્મન્સને પગલે માત્ર દર્શકો જ નહીં, શોની નિર્ણાયક મલાઈકા અરોરાના પણ હાંજા ગગડી ગયા હતા. શોના યુવાન સ્પર્ધક જગલર જોએલની ટેલેન્ટની પ્રશંસા નવજોત સિંહ સિધ્ધુ પણ કરી ચૂક્યો છે. જોએલ જ્યારે પરફોર્મ કરે છે ત્યારે બધાના શ્વાસ અધ્ધર થઈ જાય છે. પરંતુ તેણે આંખે પાટા બાંધીને પરફોર્મ કર્યું ત્યારે મલાઈકાના રુંવાડાં ખડાં થઈ ગયા હતા. વાસ્તવમાં જોએલનું પરફોર્મન્સ આપ્યું જેની કલ્પના પણ ન કરી શકાય. આ જોઈને મલાઈકા અરોરાના જાણે કે હાંજા ગગડી ગયાં. તે પગથી માથા સુધી કાંપી ઉઠી. મલાઈકાએ કહ્યું હતું કે તેણે જે કર્યું તે કદાચ તેને માટે જીવલેણ બની શકત. તેની નાનીસરખા ભૂલ જોએલને મોતના મુખમાં ધકેલી દેત. સામાન્ય રીતે શાંત-સ્થિર રહેતી મલાઈકા આ પરફોર્મન્સ જોઈને હચમચી ઉઠી હતી. તેના રુંવાડાં ખડાં થઈ ગયા હતા. મહત્વની વાત એ છે કે જોએલ પણ મલાઈકાનું રીએક્શન જોઈને અવાચક્ થઈ ગયો હતો.


