Get The App

TV TALK .

Updated: Jan 1st, 2026

GS TEAM

Google News
Google News
TV TALK                                                            . 1 - image

ટીવી શોનું અનોખું પ્રમોશન

સામાન્ય રીતે કોઈપણ હિન્દી ફિલ્મ રજૂ થવાની હોય તેનાથી પહેલા લોકપ્રિય ટીવી સીરિયલો અને રીઆલિટી શોઝમાં તેનું પ્રમોશન કરવામાં આવે છે. તેના સિવાય દેશના જુદાં જુદાં સ્થળોએ પણ વેગવેગળી રીતે જે તે સિનેમાનો પ્રચાર કરવાનું ચલણ હવે નવું નથી રહ્યું. પરંતુ તાજેતરમાં રજૂ થયેલા સુપરનેચરલ કોમેડી ટીવી શો 'ઘરવાલી પેડવાલી'ના અનોખા પ્રમોશને મુંબઈવાસીઓને આશ્ચર્યમાં નાખી દીધાં હતાં. આપણે અહીં તેના પ્રમોશનની વાત કરીએ તો સીરિયલના સર્જકોએ જીતુ પાંડેના લગ્નની બારાત તેની 'પેડવાલી' અને 'ઘરવાલી' ભાવિ પત્નીઓ સહિતના અન્ય કલાકાર-કસબીઓ સાથે મુંબઈના મહત્વના સ્થળોએ કાઢી હતી. વિવાહના વસ્ત્રોમાં સજ્જ કલાકાર-કસબીઓ સરસ રીતે શણગારેલી બસમાં અંધેરી, જૂહુ, વાંદરા, વરલી, અમિતાભ બચ્ચન, શાહરુખ ખાન, સલમાન ખાન, ઈશા અંબાણીના નિવાસસ્થાન ઉપરાંત વાંદરા-વરલી સીલિંક અને હાજીઅલી ખાતેથી પસાર થઈને સર્વત્ર લોકોનું ધ્યાન ખેંચ્યું. ઠેકઠેકાણે લોકોએ આ શોના કલાકારો સાથે સેલ્ફી લેવા પડાપડી કરી હતી. છેવટે બારાતે બેન્ડસ્ટેન્ડ ખાતે નાચી-ગાઈને પ્રોમેનેડને કાર્નિવલ સ્થળમાં ફેરવી નાખ્યું હતું.

સોનાક્ષી બત્રાની પ્રેરણામૂર્તિ પ્રિયંકા ચોપરા

બહુ ઓછા ટીવી શોમાં દર્શકોને અભિનેત્રીઓ દ્વારા કરવામાં આવતાં દિલધડક એક્શન સીન જોવા મળતાં હોય છે. જોકે ધારાવાહિક 'જગધાત્રી' આ બાબતે ચીલો ચાતરીને ચાલે છે. શોમાં ટાઈટયુલર રોલ અદા કરી રહેલી સોનાક્ષી બત્રાના દિલધડક એક્શન દ્રશ્યોએ દર્શકોને અચંબામાં નાખી દીધાં છે. તે તેની માતાના મૃત્યુ પાછળ કોણ જવાબદાર છે તે શોધી કાઢવા અંડરકવર એજન્ટ બની જાય છે. દરમિયાન તે ખતરનાક અપરાધીઓ સાથે લડે છે. અભિનેત્રી કહે છે કે તેના આ એક્શન સિકવન્સની પ્રેરણામૂર્તિ બીજું કોઈ નહીં, પણ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત અભિનેત્રી પ્રિયંકા ચોપરા છે. સોનાક્ષીએ વધુમાં કહ્યું હતું કે પ્રિયંકાની એક્શનમાં જે જોશ-જુસ્સો હોય છે તે માત્ર શારીરિક નથી હોતો, બલ્કે તેના ચહેરા પર તેની ભીતર ચાલતા મંથનનું સ્પષ્ટ પ્રતિબિંબ પડે છે. તેની દરેક મૂવમેન્ટ તેના કિરદારને બખૂબી રજૂ કરે છે. હું જગધાત્રીમાં આ બધું દર્શાવવા માગું છું. જગધાત્રી માત્ર ગુનેગારો સાથે નથી લડતી. તે પોતાના મૂલ્યો માટે લડે છે. અને આ ઈમોશન્સ દર્શાવવાની શ્રેષ્ઠ પ્રેરણા છે અભિનેત્રી પ્રિયંકા ચોપરા.

આશકા ગોરડિયા ફરી મમ્મી બનશે

એક સમયે 'કુસુમ', 'સિંદૂર તેરે નામ કા', 'ભારત કા વીર પુત્ર મહારાણા પ્રતાપ', 'નાગિન-૨' તેમ જ 'ખતરોં કે ખિલાડી' અને 'બિગ બોસ' જેવા રીઆલિટી શોઝ દ્વારા દર્શકોના દિલમાં ખાસ જગ્યા બનાવનાર અભિનેત્રી આશકા ગોરડિયા હવે ભલે એન્ટ્રપ્રેન્યર બની ગઈ છે. પરંતુ તેના વિશેની કોઈપણ વાતમાં તેના ચાહકોને આજે પણ એટલો જ રસ પડે છે. અને તેની નવી વાત એ છે કે આશકા ફરીથી મમ્મી બનવાના માર્ગે છે. આશકાએ યોગ શિક્ષક બ્રેન્ટ ગોબલે સાથે સંસાર માંડયો ત્યાર પછી તેના ઘરે પુત્ર વિલિયમ એલેકઝાન્ડરનો જન્મ થયો. હમણાં તેમનો દીકરો બે વર્ષનો છે ત્યારે આશકા ફરીથી ગર્ભવતી બની છે. પતિ-પત્ની તેમના પરિવારને વિસ્તારવા અત્યંત ઉત્સુક છે અને નવા મહેમાનના અવતરવાની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યાં છે. અભિનેત્રીએ ઉત્સાહપૂર્વક કહ્યું હતું કે અમે અમારા બીજા સંતાનને આવકારવા ઉત્સુક છીએ. અમે ફરીથી માતા-પિતા બનવાના છીએ, જ્યારે વિલિયમ મોટો ભાઈ બનવાનો છે તેથી અમારા આનંદનો પાર નથી. આશકાએ વધુમાં કહ્યું હતું કે અમે અમારા કામ અને ગૃહકાર્યની પ્રાથમિકતાઓને ધ્યાનમાં લઈને રોજની દૈનંદિની નક્કી કરીએ છીએ. મારા માટે માતૃત્વ સૌથી મોટો પુરસ્કાર છે. ખરૃં કહું તો માતા બન્યા પછી હું પૂર્ણતા અનુભવું છું.

સૌમ્યા ટંડનને રણવીર સિંહ વહાલો

અભિનેત્રી સૌમ્યા ટંડને લોકપ્રિય કોમેડી શો 'ભાભીજી ઘર પર હૈ'માં 'ગોરી મેડમ'ની ભૂમિકા ભજવીને ગજબની ખ્યાતિ પ્રાપ્ત કરી. લાંબા સમય સુધી આ પાત્ર ભજવ્યા પછી એકવિધતાથી કંટાળળેલી સૌમ્યાએ અન્યત્ર હાથ અજમાવવા આ શો છોડી દીધો. તાજેતરમાં રજૂ થયેલી 'ધૂરંધર'માં અભિનેત્રીએ 'રહમાન ડકૈત'ની પત્નીની ભૂમિકા ભજવી છે. તેણે કહ્યું હતું કે 'ધૂરંધર' રજૂ થયા  પછી ચોરેને ચૌટે અક્ષય ખન્નાના કામની પ્રશંસા થઈ રહી છે. જ્યારે મને રણવીર સિંહ વધુ ગમે છે. વાસ્તવમાં રણવીર સિંહનું સાઇલન્ટ પરફોર્મન્સ મને સ્પર્શી ગયું છે. તે એક પરિપક્વ કલાકાર છે.