અભી ના જાઓ છોડકર...
ધર્મેન્દ્રના નિધન સાથે જ માત્ર ચાહકોની જ નહીં, બલકે સમગ્ર ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સેલિબ્રિટીઓની સ્મરણાંજલિઓથી સોશિયલ મીડિયા છલકાવા માંડયું. મનોજ બાજપાયીએ લખ્યું: 'ધરમજી તો મારાં મા-બાપના ફેવરિટ હતા અને મારા ચાઇલ્ડહૂડ હીરો ેપૈકીના એક હતા. એમનું વ્યક્તિત્ત્વ એવું હતું કે તેઓ એક શબ્દ ઉચ્ચારે તે પહેલાં જ એમની હૂંફ તમને ફીલ થવા માંડે. એમની ગરિમા, એમની રમૂજ, તેઓ જે રીતે પડદા ખુદને પેશ કરતા, એમની સૌમ્ય મર્દાનગી, રોજિંદા જીવનમાં લોકો સાથેને તેમનો વ્યવહાર... આ બધાને કારણે જે કોઈ એમને જોતા કે મળતા તેમના દિલમાં ધરમજીની એક અમીટ છાપ અંકિત થઈ જતી. એમનું મૃત્યુ મને તો અંગત વ્યક્તિની વિદાય જેવું ફીલ થાય છે...'
ધર્મન્દ્રજીની રેન્જ કેટલી વિશાળ હતી અને તેમના હોવા માત્રથી ફિલ્મને કેટલું વજન મળી જતું તેનું લેટેસ્ટ ઉદાહરણ કરણ જોહરની 'રોકી ઔર રાની કી પ્રેમકહાની' છે. કરણ ઇન્સ્ટાગ્રામ પર લખે છે: 'મેઇનસ્ટ્રીમ સિનેમામાં હીરો કોને કહેવાય તે ધર્મેન્દ્રએ ડિફાઇન કર્યું. અત્યંત હેન્ડસમ અને ગજબનાક સ્ક્રીન પ્રેઝન્સ... સાચા અર્થમાં ભારતીય સિનેમાના લેજન્ડ... માણસ તરીકે તેઓ ઉત્તમોત્તમ હતા. બધા માટે એમના દિલમાં ફક્ત પ્રેમ અને પોઝિટિવિટી હતાં. ધર્મેન્દ્ર એકમેવ છે અને રહેશે. અભી ના છોડકર કે દિલ અભી ભરા નહીં...'
કપિલ શર્માએ પોતાના શોમાં કૃષ્ણા અભિષેક પાસે ધર્મેન્દ્રની ખૂબ મિમિક્રી કરાવી છે. ઘણા ચાહકોને આ કોમેડી ક્યારેક ધર્મેન્દ્રનું અપમાનજનક સમાન લાગતી, પણ કપિલ શર્માને ધર્મેન્દ્રના આર્શીવાદ અને પરવાનગી બન્ને મળ્યા હતાં. તેથી જ કપિલની ટીમે ધરમજી અને સની દેઓલના કિરદારોને શોમાં આ રીતે રજૂ કરવાની હિંમત કરી.
ફરહાન અખ્તરના પિતાજી જાવેદ અખ્તરે ધર્મેન્દ્ર સાથે પુષ્કળ કામ કર્યું છે. ફરહાન લખે છે: 'ધરમજીનું મૃત્યુથી બધાને ખોટ પડી છે - ફિલ્મો જોનારા અને ફિલ્મો બનાવનારા, તમામને. એમનું સ્થાન કોઈ લઈ શકવાનું નથી. છ-છ દાયકોએ સુધી એમણે આપણને એન્ટરટેઇન કર્યા. ધરમજી, અમે લકી છીએ કે પડદાની ઉપર અને પડદાની પાછળ પણ તમારી હૂંફ અને પ્રેમ મેળવી શક્યા, તમારી રમૂજ અને ઉદારતા માણી શક્યા. થેન્ક્યુ.'
ધર્મેન્દ્ર માટે આપણા સૌની આ જ લાગણી છે. અમને સતત એન્ટરટેઇન કરવા બદલ, મૃત્યુ સુધી સતત રિલેવન્ટ શી રીતે રહવાય તે શીખવવા બદલ તમને થેન્ક્યુ, ધર્મેન્દ્રજી!


