- 'ઘણાં વરસોથી હું કામ નથી કરતો. મારી આ વાતને ફરિયાદ ગણવાની ભૂલ ન કરતા. મેં પોતે જ ઘણી ફિલ્મો રિજેક્ટ કરી છે. એટલે હું એ વિશે રોદણાં નથી રડતો...'
જ્યોતિષશાસ્ત્રમાં અંધશ્રદ્ધાની હદ સુધીનો વિશ્વાસ ધરાવતા ગોવિંદાની હાલ સાડાસાતી ચાલી રહી હોય એવું લાગે છે. છેલ્લા ઘણાં સમયથી એક્ટર માટે કરિઅર જેવું તો કશું રહ્યું નથી પણ એના અંગત જીવનમાય ઉથલપાથલ મચી છે. સુનીતા સાથેનું ગોવિંદાનું ૩૮ વરસનું દાંપત્યજીવન ખરાબે ચડયું છે. મીડિયામાં એમના વિશે જાતજાતની અફવાઓ ચાલી રહી છે. એક્ટરનું એક મરાઠી એકટ્રેસ સાથે સીરિયસ અફેર હોવાની પણ ચર્ચા છે. એમાં સુનીતા પાપરાઝીઓને બેફામ નિવેદનો આપી બળતામાં ઘી હોમી રહી છે.
મહિનાઓના મૌન બાદ હવે ગોવિંદાએ ડિવોર્સની અફવા સહિતની પોતાની પર્સનલ બાબતો વિશે બોલવાનું પસંદ કર્યું છે. ૬૨ વરસના હરફનમૌલા અભિનેતાને પોતાનો પક્ષ રજુ કરવા માટે આ સમય ઉચિત લાગ્યો છે. નોંધવા જેવી વાત એ છે કે ગોવિંદાએ ઇન્ટરવ્યુ આપવા માટે એક પ્રતિષ્ઠિત ન્યુસ એજન્સી પર પસંદગી ઉતારી છે, જેથી વાતનું વતેસર થવાનું ટાળી શકાય. ઇન્ટરવ્યુના આરંભે જ વર્સેટાઈલ એક્ટરે એવો ખુલાસો કર્યો છે કે ચુપ રહેવાથી હું 'નબળો' ન લાગું અને લોકોમાં મારી 'પ્રોબ્લેમિટક' ઇમેજ ન બંધાય એ સારુ મેં બોલવાનું પસંદ કર્યું છે. પડદા પાછળ એક મોટું 'કાવતરું' રચાઈ રહ્યાની આશંકા દર્શાવતા ગોવિંદા ઉમેરે છે કે મારા પોતાના આપ્તજનો (પત્ની સુનીતા એવું વાંચવું) આ કાવતરામાં સંડોવાઈ રહ્યા છે. 'હમણાંથી મેં એવું નોંધ્યું છે કે ક્યારેક આપણે બોલીએ નહિ તો આપણે 'નબળા'માં ખપી જઈએ અથવા તો આપણાં લીધે જ 'પ્રોબ્લેમ' ઊભો થયો હોય એવું લાગે. એટલે આજે હું જવાબ આપું છું. મને એવું કહેવાયું છે કે મારા ફેમિલીના લોકો જ અજાણતા આમાં પડી રહ્યા છે. એમને એ વાતનું ભાન નથી કે એક મોટા કાવતરાના શરૂઆતના તબક્કામાં એમને હાથા બનાવાઈ રહ્યા છે,' એવી કમેંટ્સ બોલિવુડનાં એક સમયના હીરો નંબર વને કરી છે.
'ઘણાં વરસોથી હું કામ નથી કરતો. મારી આ વાતને ફરિયાદ કે રોદણાં નહિ ગણતા. મેં પોતે જ ઘણી ફિલ્મો રિજેક્ટ કરી છે. એટલે હું એ વિશે રોદણાં નથી રોતો,' એમ ગોવિંદા ઇન્ટરવ્યુમાં કહે છે.
બોલિવુડમાં ડેબ્યુ કર્યા બાદ એકી સાથે ડઝનબંધ ફિલ્મો સાઈન કરી ૩-૩ શિફ્ટમાં કામ કરનાર હીરો એવી વાત પણ શેર કરે છે કે મારા પ્રોજક્ટ્સ ઠુકરાવવા વિશે સુનીતાને અવારનવાર ચિંતા થાય છે પણ એને એ નથી દેખાતું કે એને પોતાને જ કાવતરામાં કઈ રીતે ઘસડવામાં આવી રહી છે. 'એ એવું કદી વિચારી પણ ન શકે કે એને એની જાણ વિના મોટા ષડયંત્રમાં સામેલ કરી દેવાઈ છે. એને (સુનીતાને) ઓપનિંગ બેટ્સમેન તરીકે મેદાનમાં ઉતારાઈ છે,' એવી કડવાશ એકટ્રે ઠાલવી છે.
ઈન શોર્ટ, એક્ટરના જીવનમાં સુખ-શાંતિ હણાઈ ગઈ છે. એની સાક્ષી પુરતા ગોવિંદા સમાપનમાં કહે છે, 'કોઈ વ્યક્તિ બહુ જ લોકપ્રિય થઈ જાય છે ત્યારે અમુક લોકો એની પ્રતિષ્ઠાને નામશેષ કરવાનો પ્રયાસ કરે છે.'


