દેવદાસ: 10 દાયકા, 19 ફિલ્મો અને એક નવલકથા
- દાસ્તાન-એ-સિનેમા
દેવદાસ એટલે એવો માણસ જે વસ્તુ જ્યારે હોય ત્યારે તેની કદર ન કરે અને ગુમાવ્યા બાદ તેના વિરહમાં બરબાદ થઈ જાય. દેવદાસનું કિરદાર જાણે કહે છે કે પ્રેમમાં હાર-જીત નથી હોતી. પ્રેમ છે તો જીત છે અને પ્રેમ નથી તો હાર
જે નવલકથા વાંચતાની સાથે જ એક આભાસી દુનિયામાં ખોવાઈ ગયા હોય તેવું લાગે, કોઈ વાક્ય વાંચીને ફરી ફરીને વાંચવાનું મન થાય, થોડાં પાનાં વાંચીને આગળ શું હશે તે જાણવાની તાલાવેલી થાય, નવલકથાનો મુખ્ય વિચાર કે શીખ જીવનનો મહત્ત્વપૂર્ણ ભાગ બની જાય - જો તમારા વાંચવામાં આવું કંઈક આવ્યું છે તો, અભિનંદન! તમે એક પરફેક્ટ નવલકથા વાંચી રહ્યા છો. વાચકોની કલ્પનાશક્તિ આવી સતેજ હોય તો વિચાર કરો કે સર્જકનો ઈમેજીનેશન પાવર કેવો ગજબનાક રહેતો હશે. આ નવલકથાની દુનિયા પણ ગજબની છે. ક્યારે આ ઉથલાવેલાં પાનાં સિનેમાના પડદે પહોચી જાય છે તે ખબર જ નથી રહેતી. ફિલ્મની રિલીઝ બાદ નવલકથાના વેચાણમાં ઉછાળાના અનેક કિસ્સાઓ સામે આવે છે.
નવલકથાથી ફિલ્મ સુધીની સફર અનેક યાદગાર ક્ષણોથી ભરપૂર હોય છે. હોલિવુડની એક ફિલ્મ સિરીઝની જ વાત લઈ લો. લેખિકાની ટ્રેન ચાર કલાક લેટ થાય છે. આ દરમિયાન તેની સામે આભાસી દુનિયા પ્રગટ થાય છે, જેમાં નવલકથાનું મુખ્ય કેરેક્ટર, સપનાનું શહેર અને અન્ય ઘણું બધું નજર સામે દેખાય છે. જોકે કાગળ-પેનના અભાવે લખી શકાતું નથી. છ મહિનાની અંદર જ માતાનું અવસાન અને ત્યારબાદ, અન્ય દેશમાં લગ્ન કે જે થોડા સમયમાં જ તૂટી જાય છે. વિકસિત દેશમાં જેટલા ગરીબ હોઈ શકે તેટલી ગરીબ એવી સિંગલ મોમને આત્મહત્યાના વિચારો આવતા હતા એટલે એક દિવસ એ કેફેમાં બેસીને લખવાનું શરૂ કરે છે. છેવટે, પાંચ વર્ષની મહેનત અને અનેક પ્રકાશકોનો નકાર સાંભળ્યા બાદ એમનું પુસ્તક છપાય છે. આ પુસ્તક એટલે 'હેરી પોટર એન્ડ ધ ફિલોસોફર્સ સ્ટોન' અને એની લેખિકા એટલે જે.કે. રોલિંગ. પુસ્તક ધૂમ મચાવે છે. જે.કે. રોલિંગની બુક સિરીઝના સાત ભાગ અને તેના પર બનેલી આઠ ફિલ્મોએ તરખાટ મચાવ્યો હતો. સહેજે સવાલ થાય કે, શું ભારતમાં કોઈ એવા લેખક-લેખિકા ખરાં કે જેમણે આ હદે સફળતા મેળવી હોય? જે.કે. રોલિંગ જેવી અઢળક કમાણી ભલે ન કરી હોય, પણ તોય એક નામ જરુર સામે આવે છે. એ લેખક છે, સરતચંદ્ર ચટ્ટોપાધ્યાય. તેમની એક-બે નહીં ૧૬ નવલકથાઓ પરથી કુલ ૯૦ ફિલ્મો બની છે. તેમની નવલકથા 'પરિણીતા' પરથી પાંચ ફિલ્મો બની છે, જ્યારે એમની 'દેવદાસ' નવલકથાએ ૧૯ ફિલ્મો અને બે ટીવી સિરીઝને સ્ટોરી રૂપી આત્મા આપ્યો છે. આજે આપણે સરતચંદ્ર ચટ્ટોપાધ્યાય રચિત નવલકથા 'દેવદાસ'ના સાયલન્ટ વર્ઝનથી લઈને અનુરાગ કશ્યપની સિગ્નેચર સ્ટાઈલવાળી ફિલ્મ સુધીની સફર વિશે જાણીશું.
સરતચંદ્ર અને દેવદાસ
સરતચંદ્ર ચટ્ટોપાધ્યાયનો જન્મ ૧૫ સપ્ટેમ્બર, ૧૮૭૬ના રોજ પશ્ચિમ બંગાળના દેવાનંદપુરમાં થયો હતો. ગરીબીમાં ઉછરેલા સરતને પિતા તરફથી વારસામાં ફક્ત પુસ્તકપ્રેમ મળ્યો હતો. પિતાએ વાર્તાઓ અને નવલકથા લખવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ ક્યારેય હાથમાં લીધેલું કામ પૂરું કરી શક્યા નહતાં. સરત પિતાના અનુભવ પરથી શીખ્યા કે, જે કામ હાથમાં લેવું તેને અંજામ સુધી પહોચાડીને આરામ કરવો. અભ્યાસમાં અવ્વલ સરતને જ્યારે ઘરની ખરાબ આથક પરિસ્થિતિને કારણે એક વર્ષ સુધી સ્કૂલ છોડવી પડી ત્યારે તેમણે મનની શક્તિને કામે લગાડી અને ટૂંકી વાર્તાઓ લખી. ધીરજનાં ફળ મીઠાંની જેમ ૧૭ વર્ષની ઉંમરે લખેલી 'દેવદાસ' તેઓ ૪૧ વર્ષના થયા ત્યારે છેક છપાઈ હતી. તેમના જણાવ્યા અનુસાર, 'દેવદાસ' લખ્યા બાદ તેમને ખાસ ગમી નહોતી. 'દેવદાસ' છાપવા લાયક છે તેવું મનને મનાવતા તેમને ૨૫ વર્ષ લાગ્યાં હતાં! આ વચ્ચે તેમની 'પરિણીતા' જેવી અનેક નવલકથાઓ પ્રકાશિત થઈ હતી. 'દેવદાસ'નાં તમામ પાત્રોને તેમણે પોતાની આસપાસ જોવા મળતી વ્યક્તિઓ પરથી લીધાં હતાં.
દેવદાસ: પલાયનવાદી અને આત્મવિનાશક
'મૈ ભી બહુત અજીબ હૂં. ઈતના અજીબ હૂં કિ બસ, ખુદ કો તબાહ કર લિયા ઔર મલાલ ભી નહીં...' જ્હોન એલિયાનો આ શેર દેવદાસને બંધ બેસતો આવે છે. દેવદાસ એટલે એવો માણસ જે વસ્તુ જ્યારે હોય ત્યારે તેની કદર ન કરે અને ગુમાવ્યા બાદ તેની પાછળ, તેના વિરહમાં બરબાદ થઈ જાય. પોતાના પ્રેમમાં પાગલ પારોને અનેક પીડા આપ્યા બાદ પણ કોઈ રંજ નહીં. પરંતુ, ગુમાવ્યા બાદ સર્વસ્વ ગુમાવી ચૂક્યાની લાગણી દેવદાસને જેન-ઝી(૧૯૯૭થી ૧૯૯૬ની વચ્ચે જન્મેલા) થી લઈને ધ ગ્રેટેસ્ટ જનરેશન (૧૯૦૧થી ૧૯૨૭ની વચ્ચે જન્મેલા) સાથે જોડે છે. તેની દારૂની લતને પલાયનવાદ સાથે જોડવામાં આવી છે, જેમાં, વ્યક્તિ સત્યનો સામનો ન કરીને ગેરમાર્ગે દોરાઈ જાય છે. પગમાં પડેલી પારોને ઠુકરાવવી અને છેવટે તેના આંગણે જ આવેલું મોત બતાવે છે કે, પ્રેમમાં હાર-જીત નથી હોતી. પ્રેમ છે તો જીત છે અને પ્રેમ નથી તો હાર.
પારોનો પ્રેમ
નિસ્વાર્થ પ્રેમ એટલે પારો. જ્યારે આ જ નિસ્વાર્થ પ્રેમને સ્વાર્થ માની લેવામાં આવે ત્યારે મનમાં થતી પીડા એ જ પારોની પીડા. પારોએ જીવનમાં ઘણું બધું હસતા મોઢે સહન કર્યું પરંતુ, બાળપણથી જેને પ્રેમ કર્યો તે વ્યક્તિ જ પ્રેમને ઢોંગ ગણાવ્યો એટલે એણે પોતાનો અલગ રસ્તો પસંદ કર્યો. આ રસ્તે પણ મનમાં તો પ્રેમીનું જ નામ અને તેની જ ચિંતા. પારોના કેરેક્ટરમાં બદલાની ભાવનાને લગ્ન સાથે જોડવામાં આવી છે. દેવદાસની સાથે લગ્ન કરીને હવેલીમાં ન રહી શકનારી પારો મોટા દીકરાઓના બીજવર બાપ સાથે લગ્ન કરે છે અને હવેલીની માલકિન બને છે. પરંતુ, હવેલી ભરેલી છે અને મનમાં કેવળ દેવદાસના જ વિચાર.
ચંદ્રમુખીનો પહેલો પ્રેમ
ચંદ્રમુખી એટલે જેને જીવનભર કોઈએ માન ન આપ્યું તે. કોઈ વ્યક્તિએ તેને અલગ નજરથી સન્માન સાથે જોઈ ત્યારે મનમાં બદલાવની ઈચ્છા તેને યોગ્ય પ્રેમિકા બનાવે છે. આત્મચિંતન કોઈ સામાન્ય માણસને પણ મહાન બનાવવા માટે સક્ષમ કરી દે છે. બંગાળની સૌથી ધનવાન રુપજીવિની ચંદ્રમુખીને પ્રેમ તો નથી મળતો, પણ સાચા રસ્તે જવા માટે ખોટાનો ત્યાગ એેને આવનાર સંભવિત મુશ્કેલીમાંથી બચાવે છે.
દેવદાસ - એક સાયલન્ટ ફિલ્મ
નરેશ મિત્રા દ્વારા ૧૯૨૮માં દિગ્દશત ફિલ્મ 'દેવદાસ' સરતચંદ્ર ચટ્ટોપાધ્યાયની નવલકથા પરથી બનાવવામાં આવેલી પહેલી ફિલ્મ હતી, જેમાં દમદાર અભિનય અને ડાયલોગના ટાઈટલ્સ દ્વારા દેવદાસની વાર્તાને રૂપેરી પડદે ઉતારવામાં આવી હતી. ઈસ્ટર્ન ફિલ્મ્સ સિન્ડિકેટ દ્વારા નિમત ફિલ્મમાં ફણી બર્માએ દેવદાસની ભૂમિકા ભજવી હતી. તારકબાલાએ પારો અને પારુલબાલાએ ચંદ્રમુખીનું પાત્ર ભજવ્યું હતું. બંગાળી સિનેમાના જાણીતા ચહેરાઓ સાથે આ ફિલ્મનું શૂટિંગ કલકત્તામાં કરવામાં આવ્યું હતું.
દેવદાસ - બિમલ રોયની નજરે
દિલીપકુમાર દ્વારા હારી ગયેલા પ્રેમીનું ચિત્રણ, સુચિત્રા સેનની ઘણું બઘું કહી જતી આંખો અને ધુ્રજતો અવાજ, વૈજયંતિમાલા દ્વારા ભજવાયેલું તવાયફનું પાત્ર ૧૯૫૫ની આ બ્લેક એન્ડ વ્હાઈટ ફિલ્મને ખાસ બનાવે છે. બિમલ રોયની 'દેવદાસ'ને નવલકથાની સૌથી નિકટ માનવામાં આવે છે. દેવદાસ અને પારોના બાળપણના પ્રસંગોને ખૂબ સુંદર રીતે દર્શાવવામાં આવ્યા છે. એસ. ડી. બર્મનનું મ્યુઝિક અને સાહિર લુધિયાનવી દ્વારા લખવામાં આવેલાં ગીતો વાર્તાનો અતૂટ ભાગ છે. 'આન મિલો શ્યામ સાંવરે, આન મિલો, બ્રિજ મે અકેલી રાધે ખોઈ ખોઈ ફિરે..' દ્વારા પ્રેમીને જોવાની તલબને બતાવવામાં આવી છે. જ્યારે, 'સીને મે મોહબ્બત કે જ્ઝબાત કા તૂફાન હૈ, જીને કી ભી હસરત હૈ, મરને કા ભી અરમાન હૈ, અબ આગે તેરી મર્ઝી...આગે તેરી મર્ઝી...હો મોરે સૈયા હો મોરે બલમા બેદર્દી....' દ્વારા પ્રેમીને સંદેશ આપવામાં આવે છે કે, પ્રેમની આગમાં તો આપણે બંને બરબાદ થવાના છીએ, હવે આગળ તારી મરજી. આ ફિલ્મ દ્વારા સમાજ કે પરિવારના ભાર નીચે પ્રેમને કચડી નાખનારાઓને બિલમ રોયે આડકતરો સંદેશ આપ્યો છે.
દેવદાસ - સંજય લીલા ભણસાલીની નજરે
સંજય લીલા ભણસાલીએ એટલે દરેક વસ્તુમાં પરફેક્શન. સેટ, લાઈટિંગ, કોસ્ચ્યુમ, ડાયલોગ કે પછી ગીતો. ફિલ્મમાં ભવ્યતા એટલી કે ગરીબ ઘરની પારો પણ અમીર કરતાં પણ વધારે અમીર લાગે. ૨૦૦ૈમાં રિલીઝ થયેલી આ ફિલ્મમાં પારોના પ્રેમને અખંડ જ્યોત સાથે સરખાવવામાં આવ્યો છે, જે દીવાના સ્વરૂપમાં હરહંમેશ તેની સાથે રહે છે. આ પ્રેમની અખંડ જ્યોતને નુસરત બદ્રના બોલ, ઈસ્માઈલ દરબારના મ્યુઝિક અને શ્રેયા ઘોષાલના કર્ણ પ્રિય અવાજ સાથે દર્શાવાઈ છે. 'સિલસિલા યે ચાહત કા ના મૈંને બુઝને દિયા... ઓ પિયા... મેરે પિયા...' ક્યારેય ખતમ ન થાય તેવા પ્રેમનું વર્ણન કરે છે. મૂળ નવલકથામાં નથી તેવી ચંદ્રમુખી અને પારોની મુલાકાત સહિષ્ણુતા અને સામેના વ્યક્તિને ઓળખ્યા વિના જજ ન કરવાનો સંદેશો આપે છે. દેવદાસના દુ:ખને પણ જાજરમાન બતાવવામાં આવ્યું છે. 'બાબુજીને કહા ગાંવ છોડ દો, સબને કહા પારો કો છોડ દો. પારોને કહા શરાબ છોડ દો... આજ તુમને કહા હવેલી છોડ દો... એક દિન ઐસા આયેગા જબ વો કહેંગે દુનિયા હી છોડ દો...' આ સંવાદ દેવદાસના અસહ્ય દુખને દર્શાવે છે. દેવદાસના પારો માટેના પ્રેમના એકરારને આ ડાયલોગમાં વર્ણવાયો છે જ્યારે દેવદાસ કહે છે...'એક બાત હોતી થી તબ તુમ બહુત યાદ આતી થી...જબ જબ મેં સાંસ લેતા થા તબ તબ....'
દેવદાસ - અનુરાગ કશ્યપની નજરે
અનુરાગ કશ્યપની સ્ટાઈલમાં 'દેવદાસ' એટલે કે, દરેક વસ્તુનો ઓવરડોઝ લઈને બેઠેલો દેવ. પ્રેમ દેવ સાથે અને લગ્ન અન્ય સાથે કરનારી પારો અને પેઇડ ફોન-સેક્સની જાળમાં ફસાયેલી ચંદ્રમુખી. અનુરાગ કશ્યપે 'દેવ-ડી' (૨૦૦૯) રિમેકમાં નવો ટ્વિસ્ટ ઉમેર્યો છે. 'ઈમોશનલ અત્યાચાર' જેવાં ગીતો, 'કઈ ચીઝે ઈતની અચ્છી લગને લગતી હૈ કી બાકી સબ બુરી લગને લગતી હૈ...' જેવા ડાયલોગ્સ સાથેેની મોડર્ન થીમ દર્શકોને જકડીને રાખે છે. આ વર્ઝનને જોઈને સરતચંદ્ર ચટ્ટોપાધ્યાય પણ ચોંકી જાય કે, તેમણે લખેલી નવલકથા પરથી આ પ્રકારની ફિલ્મ પણ બની શકે છે!