- 'પતિ-પત્ની વચ્ચે જ્યારે ઊંડી ખાઈ સર્જાય ત્યારે તેઓ સાથે રહે તો સંતાનો પર તેની અસર વધારે ખરાબ પડે છે. તેઓ નાનાં હોવાથી કંઈ બોલી ન શકે તે અલગ વાત થઈ'
અભિનેત્રી ચાહત ખન્ના પડદા પર જેટલી શક્તિશાળી બનીને ઊભરે છે, વાસ્તવિક જીવનમાં તે પડદા કરતાં પણ અનેકગણી સ્ટ્રોન્ગ છે. તેણે બબ્બે વખત છૂટાછેડા લેવામાં ખચકાટ અનુભવ્યો નથી. એ કહે છે કે મારા બીજા પતિ ફરહાન મિર્ઝા થકી હું બે પુત્રીઓની માતા બની છું. પરંતુ મેં એમ વિચારીને મારા ત્રાસદાયક વિવાહિત જીવનને આગળ ધપાવવાનું મુનાસિબ નહોતું માન્યું કે મારી દીકરીઓનું શું થશે? કે પછી તેમના માનસ પર શી અસર થશે? હું દ્રઢપણે માનું છું કે પતિ-પત્ની વચ્ચે જ્યારે ઊંડી ખાઈ સર્જાય ત્યારે તેઓ સાથે રહે તેની અસર સંતાનો પર વધારે ખરાબ પડે. ભલે તેઓ નાના હોય ત્યારે કાંઈ ન કહી શકે. મોટા થયા પછી પણ પોતાનાં માતા-પિતા સામે ચૂપ રહે, પરંતુ મિત્રો પાસે તેઓ દિલ ખોલીને અચૂક વાત કરે. ત્યાર પછી તેમના મનની વાત તેમના મિત્રો દ્વારા જ બહાર આવે. મારામાં સ્વમાન ખાતર અવાજ ઉપાડવાની હિમ્મત છે. માત્ર એક સ્ત્રી તરીકે નહીં, બલ્કે એક ઇન્સાન તરીકે પણ. અને તેનું પરિણામ ભોગવવાની પણ મારી તૈયારી હોય છે.
ચાહત ઉમેરે છે કે મીડિયા અને સોશ્યલ મીડિયામાં મારા વિશે ઘણું-ચત્તું લખાય છે. પરંતુ મારી નાની દીકરીને તેનાથી કોઈ ફરક નથી પડતો. હું પણ આ બાબતે જાડી ચામડીની થઈ ગઈ છું. પરંતુ મારા પૂર્વપતિ સાથે રહેતી મારી મોટી પુત્રી મને પૂછે છે કે મમ્મી આ શું છે? લોકો તારા વિશે કેવી કેવી વાતો કરે છે? તે વખતે મને તેને સમજાવવું પડે છે બેટા, આ બધી મનઘડંત વાતો છે. હું સમજું છું કે વગોવણીનો ભોગ બનેલા કલાકારો ભલે જાડી ચામડીના થઈ ગયા હોય, પણ તેમના પરિવારજનોને લોકોની વાતો વિચલિત કરે છે. બહેતર છે કે મીડિયા તેમની લાગણીઓને માન આપે.


