ગાંધીના રોલમાં એક વધુ ગુજરાતી - દીપક અંતાણી
- 'મેં પડદા પર માત્ર ગાંધીજીની મિમિક્રી કરી નથી. ભૂતકાળમાં મેં અનેક વાર મહાત્મા ગાંધીનું પાત્ર ભજવ્યું હોવાથી મારામાં પુરતો આત્મવિશ્વાસ તો હતો જ. '
મહાત્મા ગાંધી અને એમના હત્યારા નાથુરામ ગોડસે દાયકાઓથી ભારતમાં વિવાદનો વિષય રહ્યા છે. આ વિવાદને કેન્દ્રમાં રાખી ઘણાં નાટકો ભજવાયાં છે, ફિલ્મો બની છે. કોઈનો બાપુનો પક્ષ લીધો છે તો કોઈએ ગોડસેનો. મોટાભાગની કૃતિઓમાં આ બે પરસ્પર વિરોધાભાસી વ્યક્તિત્વો વચ્ચે સંતુલન નથી જળવાયું. જાણીતા દિગ્દર્શક રાજકુમાર સંતોષી એમની લેટેસ્ટ 'ગાંધી ગોડસે ઃ એક યુદ્ધ'માં ગાંધી અને ગોડસે વચ્ચે સંતુલન જાળવી રાખવામાં ઘણે અંશે સફળ થયા છે.
આ ફલ્મમાં ગોડસેના રોલમાં મરાઠી એક્ટર ચિન્મય માંડલેકર છે, જ્યારે બાપુનું પાત્ર એક ગુજરાતી એક્ટરે ભજવ્યું છે. નામે છે દીપક અંતાણી. ગાંધીજીને પડદા પર સાકાર કરનાર તેઓ બીજા ગુજરાતી અભિનેતા છે. આ પહેલાં દર્શન જરીવાલાએ 'ગાંધી માય ફાધર'માં રાષ્ટ્રપિતાનો રોલ કર્યો હતો. 'ગાંધી ગોડસે : એક યુદ્ધ'ના પ્રમોશનરૂપે અભિનેતા દીપક અંતાણી અને ડિરેક્ટર રાજકુમાર સંતોષીએ ફિલ્મ અને એના વિવાદાસ્પદ વિષય પર મીડિયા સાથે વાર્તાલાપ કર્યો હતો.
પહેલા દીપક અંતાણીએ જુદા જુદા ઇન્ટરવ્યૂમાં શું કહ્યું એ જોઈએ. સૌપ્રથમ મીડિયાએ દીપક પાસેથીએ જાણવા માગ્યું કે એણે મહાત્માનો રોલ કરવા પોતાની શારીરિકતામાં કોઈ ફેરફાર કર્યા હતા કે કેમ? એના જવાબમાં અભિનેતા કહે છે, 'મારે મારા લુકમાં ખાસ કોઈ બદલાવ નથી લાવવો પડયો. હું પહેલેથી દુબળો છું જ એટલે મારે ફક્ત એટલું ધ્યાન રાખવાનું હતું કે હું સ્ક્રીન પર ઓથેન્ટિક લાગું. કોઈને એમ ન લાગવું જોઈએ કે મેં પડદા પર માત્ર ગાંધીજીની મિમિક્રી કરી છે. ભૂતકાળમાં મેં લાંબા અરસા સુધી ગાંધીનું પાત્ર ભજવ્યું હોવાથી મારામાં પુરતો આત્મવિશ્વાસ તો હતો જ, એટલે હું સહેલાઈથી કસોટીમાં પાર ઉતર્યો.'
મહાત્મા ગાંધી જેવું પાત્ર ભજવવાની તક મળી કોઈ પણ એક્ટર માટે એક લહાવો છે. રિચર્ડ એટનબરોની ક્લાસિક 'ગાંધી'માં બેન કિંગસ્લે અને કમલ હાસનની 'હે રામ'માં નસીરુદ્દીન શાહને બાપુુ બનવાનું સૌભાગ્ય મળી ચુક્યું છે. એ જોતા અંતાણી માટે ફિલ્મમાં ગાંધી બનવાનો અનુભવ કેવો રહ્યો? આવા પ્રશ્ન માટે પહેલેથી તૈયાર હોય એમ અભિનેતા કહે છે, 'અનુભવ તો બહુ સરસ રહ્યો, પણ મનમાં થોડો ડર જરૂર હતો, કારણ કે ફિલ્મનું સુકાન રાજકુમાર સંતોષી જેવા સિદ્ધહસ્ત ડિરેક્ટરના હાથમાં હતું. એમની સાથે આવા નાજુક અને સંવેદનશીલ સબ્જેક્ટ પર કામ કરવું એક ભગીરથ કાર્ય હતું. ગાંધીના પાત્ર પડદા પર જીવંત કરવું મારા માટે એટલા માટે પણ એક ચેલેન્જ હતી કે ભૂતકાળમાં ઘણાં પીઢ કલાકારો આ રોલ કરી ચુક્યા છે. એ હકીકતની આ રોલ કરતી વખતે મને જાણ હતી એટલે મારી જવાબદારી વધી ગઈ. સદભાગ્યે, સંતોષજી મારી પડખે હતા એટલે બધું સમુસુતરુ પાર પડયું.'
ઐતિહાસિક પાત્ર ભજવતી વખતે એક્ટરે ખાસ્સી તૈયારી કરવી પડતી હોય છે. પોતાના હોમવર્ક વિશે મીડિયાને બ્રીફિંગ આપતા દીપક અંતાણી કહે છે, 'એક્ટર તરીકે મારે ગાંધીજીના મેનરિઝમ, એમના હાવભાવ, બેસવાની અને ચાલવાની રીત વિશે બહુ કાળજી રાખવી પડી. બીજુ, મેં એમના વિશે ઘણું બધું વાંચી એમની પર્સનાલિટી અને સાયકોલોજી સમજી લીધી. એ ઉપરાંત મેં રાઇટર અને ડિરેક્ટર સાથે સંવાદ કરી મારો રોલ પૂરેપૂરો સમજી લીધો.'
છેલ્લે મીડિયા સાથેના સેશનના સમાપનમાં દીપક અંતાણીએ એક બહુ અગત્યની વાત કરી કે સંતોષીએ એક ફિલ્મમેકર તરીકે ગાંધી કે ગોડસે- કોઈનો પક્ષ નથી લીધો. પોતે ડિરેક્ટર તરીકે એકદમ ઓબ્જેક્ટિવ રહીને એમણે બેમાંથી કોણ સાચું છે એનો નિર્મય દર્શકો પર છોડી દીધો છે.
હવે રાજકુમાર સંતોષી પર આવીએ. મીડિયાએ એમને સીધેસીધું એવું પૂછ્યું કે તમે ગાંધી-ગોડસે પર ફિલ્મ તો બનાવી પણ તમે પોતે ગાંધીજીના આદર્શોમાં માનો છો? ડિરેક્ટર સંતોષીનો જવાબ ડિપ્લોમેટિક લાગે એવો છે, 'હું હમેશાથી બાપુના આદર્શોમાં માનતો આવ્યો છું, પરંતુ મારે હિંસા અને કાયરતામાંથી કોઈ એકની પસંદગી કરવાની આવે તો હું હિંસા પસંદ કરું. ગાંધીજી પોતે કહેતા કે અહિંસા કા મતલબ ઐસા નહીં હૈ કિ આદમી બુઝદિલ હો જાય. ઘણા લોકો પોતાની કાયરતાને અહિંસાના ઓઠા હેઠળ છુપાવી લે છે. તમે બાપુના વિચારોની ઉપેક્ષા ન કરી શકો, પરંતુ સાથોસાથ એ પણ સાચું છું કે તેઓ ૧૦૦ ટકા સંપૂર્ણ માનવી નહોતા, એમણે પણ ભૂલો કરી છે, એ તમને મારી ફિલ્મમાં જોવા મળશે.'
ફિલ્મના કાસ્ટિંગ વિશે વાત કરતા અનુભવી દિગ્દર્શક કહે છે, 'અમે ગાંધીના રોલ માટે કોઈ નવા ગુજરાતી એક્ટરને લેવાનું વિચારી રાખ્યું હતું. એ રોલ માટે અમારે કોઈ સ્ટાર નહોતો જોઈતો. જ્યારે ગોડસેની ભૂમિકા માટે મારે મરાઠી એક્ટર જ જોઈતો હતો. હું ચિન્મય માંડલેકરને ઓળખતો નહોતો. કાસ્ટિંગ ડિરેક્ટરે એનું નામ સુચવ્યું હતું. એણે એનએસડીમાં અભિનયની તાલિમ લીધી છે અને એની આંખોમાં એક પ્રકારનું જનૂન છે. મારા બંને એક્ટરોએ સરસ પરફોર્મન્સ આપ્યું છે.'