- એક ઉદયપુરમાં અને અઠવાડિયા બાદ કોઇ ટાપુ પર!
- અનન્યાની માતા ભાવના પાંડેએ એક ટીવી કાર્યક્રમમાં પુત્રીના લગ્નનું મેનુ જણાવ્યું
ફિલ્મી દુનિયામાં કામ કરનારી દરેક વ્યક્તિની ઓળખમાં તેના પરિવારની ભૂમિકા મહત્ત્વની હોય છે. અનન્યા પાંડે આ મામલે નસીબદાર છે. તેનાં માતાપિતા ચંકી પાંડે અને ભાવના પાંડે તથા તેની બહેન રાઇસા પાંડેનો પરિવાર નાનો અને સુખી પરિવાર છે. તાજેતરમાં માસ્ટરશેફ ઇન્ડિયા નામના કૂકરી શોમાં શાદી સ્પેશિયલ વીકમાં અનન્યાનાં માતાપિતા ચંકી અને ભાવનાએ ભાગ લીધો હતો. તેમાં ભાવનાએ અનન્યાના લગ્ન પ્રસંગે તે કેવી ભવ્ય મિજબાની આપવા માંગે છે તેનો ચિતાર આપ્યો હતો.
ધ ગ્રેટ ઇન્ડિયન વેડિંગ બુફે નામના આ શોમાં સ્પર્ધકોને સાત વેડિંગ ડિશ તૈયાર કરવાની ટાસ્ક અપાઈ હતી. આ શોમાં જ્યારે ભાવનાને પૂછવામાં આવ્યું કે તે અનન્યાના લગ્નમાં કેવું મેનુ બનાવશે ત્યારે એણે જણાવ્યું હતું કે મારી પુત્રીનાં લગ્નમાં જાતજાતના વ્યંજનો મહેમાનોને પીરસવામાં આવશે. મારી પસંદગીની ડિશીસમાં ઇન્ડિયન સ્ટાઇલ તિરામિસુ, લસણનું અથાણું અને પરપલ પરાઠાનો સમાવેશ થાય છે.
અનન્યા પાંડેએ પણ અગાઉ આપેલી એક મુલાકાતમાં પોતાના લગ્ન વિશે વિગતે વાત કરતાં જણાવ્યું હતું કે હું એક નહીં પણ બે લગ્નવિધિ કરવા માગું છું. પ્રથમ લગ્ન વિધિ 'યે જવાની હૈ દિવાની' ફિલ્મના સીનની જેમ ભવ્ય હશે. ઉદયપુરમાં યોજાનારી આ લગ્નવિધિમાં મિત્રો, પરિવાર અને ફિલ્મ ઉદ્યોગના આમંત્રિતો હાજર રહેશે. જ્યારે બીજી લગ્ન વિધિ અંગત હશે જે એક અઠવાડિયા બાદ બહામા કે માલદીવના કોઇ ટાપુ પર યોજાશે, જમાં માત્ર નજીકના મિત્રો અને પરિવારજનો જ હાજર રહેશે.
અનન્યા પાંડે રોમાન્સના મામલે પાછી સહેજ જૂનવાણી છે. એ કહે છે, મનેે પ્રેમ, રિલેશનશિપ અને પારંપારિક લવ સ્ટોરીમાં વિશ્વાસ છે. આ જ કારણે 'મૈં તેરા તૂ મેરી તૂ મેરી મૈં તેરા' ફિલ્મમાં રૂમીનું પાત્ર મારું પ્રિય બની રહ્યું હતું. મને આજકાલના હૂક- અપ કલ્ચરમાં જરાય રસ નથી. હું મારા પરિવારને બેહદ પ્યાર કરું છું. મારી ઇચ્છા છે કે મારો જીવનસાથીનો પરિવાર પણ અમારા જેવો જ હોય. અનન્યાએ ઉમેર્યું હતું કે મને જુઠ્ઠું બોલનારા જરાય પસંદ નથી. મારા માટે જુઠ્ઠું બોલનારા રેડ ફ્લેગ સમાન બની રહે છે.
અનન્યા પાંડેની આગામી ફિલ્મ 'ચાંદ મેરા દિલ' છે જેમાં તે લક્ષ્ય સાથે રોમાન્સ કરતી જોવા મળશે. 'કોલ મી બૅ' નામની સિરીઝમાં અનન્યાએ સૌને હસાવ્યા હતા. અનન્યા કહે છે કે હું તમામ પ્રકારની ભૂમિકાઓ કરી લોકોનું ભરપૂર મનોરંજન કરવા માંગું છું. 'કોલ મી બૅ' માટે બેસ્ટ ફિમેલ કોમેડી એક્ટરનો ઓટીટી એવોર્ડ મળતાં અનન્યા ખૂબ ખુશ છે. હાલ મીરાં નાયરે તેના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ 'અમરી' માટે અનન્યા પાંડેનો સંપર્ક કર્યો હોવાની પણ ગુસપુસ થઇ રહી છે. ચિત્રકાર અમૃતા શેરગિલની આ બાયોપિક કરવા મળી તો અનન્યાનો હરખનો પર રહેવાનો નથી એ તો નક્કી.
કીપ ઇટ અપ, અનન્યા.


