બ્રિટિશ અભિનેત્રી એલેક્ઝેન્ડ્રા રોચ ઓટીટી પર ઉપલબ્ધ મિસ્ટ્રી થ્રિલર 'લાઝારસ'માં મુખ્ય ભૂમિકામાં છે. એ કહે છે કે હાર્લન કોબેન જેવા સર્જક સાથે કામ કરવું તેમજ આવા અદ્ભૂત કલાકારો સાથે ડાર્ક, રોમાંચક અને રહસ્યમય વેબ શોનો હિસ્સો બનવું ગૌરવની વાત છે.
લાઝારસમાં એલેક્ઝેન્ડ્રા રોચ જૅનાનું પાત્ર ભજવે છે જે એક અત્યંત આધ્યાત્મિક અને જિજ્ઞાાસુ છે. આ કિરદાર પારલૌકિક વિશ્વમાં રસપ્રદ માનવીય તત્વ ઉમેરે છે. રોચ સ્પષ્ટતા કરે છે કે કથાનકમાં આવતા વળાંકોએ જ એને આ પ્રોજેક્ટ પ્રત્યે આકર્ષિત કરી. આ એક આશ્ચર્ય સર્જનારી વાર્તા છે જેમાં દર્શકો માટે શોમાં આગળ શું થશે તેના વિશે અટકળ કરવી મુશ્કેલ છે. કોઈપણ થ્રિલરમાં દર્શકો આવી જ બાબત પસંદ કરતા હોય છે.
રોચ માટે ખરી ઉત્તેજના વાર્તાના રહસ્યમાં નહીં પણ એના પાત્રના આધ્યાત્મિક ઊંડાણની શોધમાં સમાયેલી છે. રોચ કહે છે કે મને જૅનાનું પાત્ર ભજવતા ખુશી મળી કારણ કે તે આધ્યાત્મિક, જિજ્ઞાાસુ અને સહજ છે. રોચના મતે લાઝારસમાં રહેલા ભૂતિયા કથાનકમાં વૈશ્વિક આકર્ષણ સમાયેલું છે. આવી ભૂતની વાર્તા મને બાળપણમાં સાંભળેલી ડરામણી કથાઓની યાદ અપાવે છે. આવી વાર્તાઓમાં કંઈક એવી યુનિવર્સલ અપીલ હોય છે જે સ્થળની પરવા કર્યા વિના તમામને એકબીજા સાથે જોડે છે.
રસપ્રદ બાબત છે કે આ શોએ ભારતીય દર્શકોને પણ પ્રભાવિત કર્યા છે. એલેક્ઝેન્ડ્રા રોચે ટૂંક સમયમાં ભારતની મુલાકાત લેવાની ઈચ્છા વ્યક્ત કરી છે. રોચ કહે છે કે મારા પ્રવાસની યાદીમાં ભારત ટોચના ક્રમે છે. રોચની જિજ્ઞાાસા ભારતીય સિનેમા સુધી પણ વિસ્તરી છે. રોચ કહે છે કે આ બાબતમાં હું નિષ્ણાત તો નથી,પણ મને બોલિવુડનો હિસ્સો બનવાનું ગમશે. મને ભારતીય સંસ્કૃતિ અને ભારતીય કહાણીઓમાં રસ છે.
લાઝારસ સાથે એલેક્ઝેન્ડ્રા રોચે એક વર્સેટાઈલ કલાકાર તરીકે પોતાની સ્થિતિ વધુ મજબૂત કરી છે. તેનો સૂક્ષ્મ આ ભયાવહ વાર્તામાં લાગણી અને માનવીય સ્પર્શ ઉમેરે છે. તેથી જ લાઝારસ એક એવી થ્રિલર બની શકી છે જેમાં લાગણીનું ઊંડાણ પણ અનુભવી શકાય છે.


