આદિત્ય નારાયણ : ઈન્ડિપેન્ડન્ટ મ્યુઝિક માટે ડિજિટલ માધ્યમ બેસ્ટ
- 'પપ્પા (ઉદિત નારાયણ)એ જે ભૂલો કરી તેમાંથી હું એટલું બધું શીખી ગયો કે હું એવી ભૂલો કરવાથી બચી શક્યો. પ્રખ્યાત વ્યક્તિના સંતાન હોવાના લાભ સાથે હાનિ પણ હોવાની જ'
૭૦વી પર આવતા ગાયકીને લગતાં રીઆલિટી શોઝમાં સંચાલક તરીકે લોકપ્રિયતાના શિખરો સર કરનાર ગાયક આદિત્ય નારાયણને 'તતડ-તતડ', 'મેં નિકલા ગડ્ડી લેકે...' જેવા સંખ્યાબંધ ગીતોએ આગવી ઓળખ આપી છે. અને હવે આ ગાયક પોતાનું આલબમ લઈને આવ્યો છે.
આદિત્યના આલ્બમ 'સાંસે'નું ગીત 'બના લે તેરા...' ઝપાટાભેર લોકપ્રિય થઈ ગયુ ંછે. વળી છેલ્લાં કેટલાંક વર્ષમાં ફિલ્મોમાં ગીતોનું મહાત્મ્ય ઘટયું છે ત્યારે સ્વતંત્ર સંગાતનો વ્યાપ વધવા લાગ્યો છે. આદિત્ય પણ આ વાત માનતા કહે છે કે એક સમયે ફિલ્મી ગીતોની લોકપ્રિયતાને કોઈ આંટી નહોતું શકતું. પણ હવે ફિલ્મોમાં ગીતો આપવાનો ટ્રેન્ડ સાવ મોળો પડી ગયો છે. અને તે વકતે જ ડિજિટલ મીડિયમનો વ્યાપ વધતાં ઈન્ડિપેન્ડન્ટ મ્યુઝિક મોકળું મેદાન મળી ગયું. જો કેતે એમ કહેવાનું પણ નથી ચૂકતો કે મ્યુઝિક ઈન્ડસ્ટ્રી મુખ્યત્વે લેબલ્સ કે કોર્પોરેશનથી ચાલે છે જેનો ગાયક/ગાયિકાઓ આ કંપનીઓના ભરોસે રહે તો સંગીત માત્ર બિઝનેસ બનીને રહી જશે. આ કારણે જ મેં મારું પોતીકું આલબમ બનાવવાનો નિર્ણય કર્યો. આ પ્રોજેક્ટ સંપૂર્ણપણે મારો પોતાનો છે. જો તે સફળ થશે તો તેનો યશ માત્ર મારા ફાળે આવશે. અને જો તેને નિષ્ફળતા મળશે તો તેની જવાબદારી પણ મારા શિરે જ રહેશે.
આદિત્યને આ આલબમ બનાવતાં ત્રણ વર્ષ જેટલો સમય લાગ્યો છે. તે કહે છે કે 'સાંસે' મારા હૃદયની નિકટ હોય તે સ્વાભાવિક છે. મને તેમાં નફો થશે કે નુકસાન તેની મને જરાય ચિંતા નથી. ૧૦ ગીતના આલબમનું એક ગીત રજૂ થઈ ગયું છે. બાકીના નવ ગીતો હું દર મહિને એક એક કરીને રજૂ કરીશ. આજની તારીખમાં આવું સંગીત બહુ ઓછું બને છે. તે મારા સંગીત પ્રત્યેના શુદ્ધ પ્રેમનું પરિણામ છે.
એ વાત સર્વવિદિત છે કે આદિત્ય ખ્યાતનામ ગાયક ઉદિત નારાયણનો પુત્ર છે. અને હવે તેના પોતાના ઘરે પણ એક પુત્રી ખિલખિલાટ કરે છે. આદિત્ય કહે છે કે મારી દીકરીના જન્મ પછી મારું જીવન સમગ્રપણે બદલાઈ ગયું છે. મારી સૌપ્રથમ પ્રાથમિકતા તેનાચહેરા પર સ્મિત જોવાની છે. હું ખુશનસીબ છું કે તે હમેશાં સ્મિત વેરતી રહે છે. ખરેખર તો હું મારી વ્હાલસોઈ 'ટ્વિશા' સાથે મારું બચપણ પણ જીવી રહ્યો છું. મને નાનપણમાં મારા માતાપિતા સાથે ઝાઝો સમય વિતાવવા નહોતો મળ્યો તેની ખોટ હું ટ્વિશા સાથે સમય પસાર કરીને પુરી કરી રહ્યો છું. તે વધુમાં કહે છે કે વર્ષ ૧૯૮૭માં મારો જન્મ થયો ત્યાર બાદ ૧૯૮૮ની સાલમાં ફિલ્મ 'કયામત સે કયામત તક' રજૂ થઈ, અને મારા પિતા પોતાના કામમાં ગળાડૂબ થઈ ગયા. મારી મમ્મી પણ એરહોસ્ટેસ હતી તેથી તે પણ મને ઝાઝો સમય નહોતી આપી શકતી. આ ખોટ હવે હું મારી પુત્રી સાથે રમીને સરભર કરી રહ્યો છું. અલબત્ત, આજે હું મુકામ પર છું જ્યાં હું ક્વોન્ટિટીના સ્થાને ક્વૉલિટીને પ્રાધાન્ય આપી શકું તેમ છું તેથી મને આ લક્ઝર પોસાય છે.
સેલિબ્રિટીઓના સંતાનોને તેમના માતાપિતા તરફથી મળતા લાભોને કારણે ટીકાનો સામનો કરવો પડે છે. પરંતુ તેમની ક્ષતિઓને કારણે વગોવાવું પણ પડે છે એ ભાગ્યે જ કોઈને ધ્યાનમાં આવે છે. તાજેતરમાં જ ઉદિત નારાયણનો એક વિડીયો વાઈરલ થયો અને તેના વિવાદની આંચે સીધી આદિત્યને પણ અસર કરી. ગાયક કહે છે કે આ સ્થિતિ ન તો ખ્યાતનામ લોકો ટાળી શકે છે કે ન તેમના સંતાનો.
જે રીતે તેમના વિડીયો વિશે મને પૂછવામાં આવી રહ્યું છે કે તે રીતે મારા વિડિયો વાઈરલ થાય ત્યારે તેમને પણ પૂછવામાં આવે છે. પરંતુ મારા માટે સ્થિતિ કફોડી બની જાય. તેઓ મારા પિતા છે, તેમના વિશે હું કંઈપણ શી રીતે કહી શકું? જો કે આદિત્ય નિ:સંકોચપણે કહે છે કે તેમનો પુત્ર હોવાનો લાભ પણ મને મળ્યો જ છે. જો હું તેમનો દીકરો ન હોત તો કદાચ મારો કંઠ, મારી ગાયકી આવા ન હોત. વળી તેમણે જે ભૂલો કરી તેમાંથી જ હું એટલું બધું શીખી ગયો કે હું એવી ભૂલો કરવાતી બચી શક્યો. કોઈપણ સિક્કાને બે બાજુ હોય તેમ પ્રખ્યાત વ્યક્તિના સંતાન હોવાના લાભ સાથે હાનિ પણ હોવાની જ.