Get The App

અદા શર્મા : નોખી માટીથી ઘડાઈ છે આ અદાકારા

Updated: Jan 15th, 2026

GS TEAM

Google News
Google News
અદા શર્મા : નોખી માટીથી ઘડાઈ છે આ અદાકારા 1 - image

- અદા ઘરમાં ફર્શ પર સૂએ છે. તેના ઘરમાં ફર્નિચર નથી. 'ધ કેરલા સ્ટોરી' જેવી સફળ ફિલ્મની મુખ્ય અદાકારાની જીવનશૈલી એકદમ સાદગીભરી છે. આ જોઈને લોકોને બહુ આશ્ચર્ય થયું છે

બોલિવુડ એટલે ઝાકઝમાળની દુનિયા. અહીંના લોકો પોતાની જાતથી કરીને પોતાના ઘર સુધ્ધાંને જરૂર કરતાં પણ વધુ ચળકાટભર્યું રાકવાની હોડ માંડીને બેઠાં હોય છે. આવા માહોલમાં જો કોઈ તમને એમ કહે કે ચોક્કસ કલાકારના ઘરમાં રાચરચીલું જ નથી, તે ફરસ પર સૂએ છે, તો તમે માનો ખરાં? ખેર.. તમે માનો કે ન માનો, અભિનેત્રી અદા શર્માના ઘરમાં ખરેખર ફર્નિચર નથી. અને તે ફરસ પર સૂએ છે.

હાલના તબક્કે અદા દિવંગત સુશાંત સિંહ રાજપૂતના ઘરમાં રહે છે. જો કે એમ કહેવું વધુ ઉચિત ગણાશે કે તે હમણાં જે ઘરમાં રહે છે તે દિવંગત સુશાંત સિંહ રાજપૂતના નિવાસસ્થાનના નામે ઓળખાય છે. તાજેતરમાં ફિલ્મ સર્જક ફરાહ ખાને પોતાના વ્લોગમાં અદા શર્માના ઘરના વીડિયો મૂક્યો ત્યારે તે જોનારાઓ દંગ રહી ગયા હતાં. તેમણે નોંધ્યું હતું કે અદા ફરસ પર સૂએ છે. તેના ઘરમાં ફર્નિચર નથી. 'ધ કેરલા સ્ટોરી' જેવી સફળ ફિલ્મની મુખ્ય અદાકારાની જીવનશૈલી એકદમ સાદગીભરી છે. જે સમયમાં ફિલ્મી કલાકારોના ઘર પંચતારક હોટલોની બરાબરી કરી રહ્યાં છે એવા વખતમાં આ અભિનેત્રી સાવ સાદગીભર્યું જીવન વ્યતિત કરી રહી છે.

અદાનું ઘર જોતાં જ સોશ્યલ મીડિયા પર તેની પ્રશંસાના પૂરપ ઉમટયાં હતાં. તેના ઘરનું વાતાવરણ અત્યંત શાંત-સૌમ્ય લાગે છે, જે એના ચાહકોને ખૂબ ગમ્યું. તેનું ઘર અદાકારાના સરળ વિચારોનું પ્રતિબિંબ પાડે છે. અદાના ચાહકોએ એ વાતની પણ નોંધ લીધી હતી કે તે ડ્રમ વગાડે છે, તે ખિસકોલીઓને જમાડે છે. આ પ્રકારનું જીવન ઝાકઝમોળની દુનિયામાં તદ્દન નોખું ગણાય. તે કોઈની દેખાદેખી નથી કરતી, તે નોખી માટીથી ઘડાઈ છે.