- 'હું આતંકવાદનું સમર્થન નથી જ કરતી. આવું બોલવામાં શરમ શાની? 'ધ કેરલા સ્ટોરી' તમારા શરીરમાંથી ભયનું લખલખું પસાર કરી દે છે. મને નથી લાગતું કે કોઈને ખોટી બાબતનો ભય લાગતો હોય. જે લોકો આ ફિલ્મને શરમજનક કહે છે તેઓ ખોટા છે.'
'ધ કેરલ સ્ટોરી' ને શ્રેષ્ઠ દિગ્દર્શન અને ઉત્તમ સિનેમેટોગ્રાફી માટે ૭૧મા રાષ્ટ્રીય પુરસ્કાર નવાજવામાં આવી તે અનેક લોકોને ખટક્યું છે. તેઓ માને છે કે સંબંદિત ફિલ્મનો આ રીતે પ્રચાર કરવામાં આવી રહ્યો છે.
જો કે હવે અભિનેત્રી અદા શર્માએ આ ફિલ્મની વહારે આવતાં કહ્યું છે કે પીડિતાઓની કહાણીને લોકો સમક્ષ મૂકવાની તેની 'જવાબદારી' છે. ફિલ્મને રાષ્ટ્રીય પુરસ્કારનું સન્માન મળ્યું ત્યાર પછી કેટલાંક લોકો દ્વારા મચાવવામાં આવેલા હોબાળાને જોતાં અદાએ કહ્યું હતું કે જો સાચું બોલવું શરમજનક ગણાતું હોય તો મને બેશરમ કહેવડાવવામાં જરાય વાંધો નથી. હું આતંકવાદનું સમર્થન નથી કરતી એમ કહેવામાં પણ મને શરમ નથી આવતી. આ ફિલ્મ તમારા શરીરમાંથી ભયનું લખલખું પસાર કરી દે એવી છે, અને મને નથી લાગતું કે ખોટી વાતને પગલે કોઈ ડરે. જે લોકો આ ફિલ્મને શરમજનક કહે છે તે ખોટાં છે.
અભિનેત્રી દ્રઢપણે માને છે કે દરેકને પોતાનો મત પ્રગટ કરવાનો અધિકાર છે. ખરેખર તો આ ફિલ્મ ન બની હોત તો તે લજ્જાસ્પદ ગણાત. તેણે વધુમાં કહ્યું હતું કે ફિલ્મમાં જે બતાવવામાં આવી છે એવી ભયજનક સ્થિતિમાંથી પસાર થનાર પચીસ પીડિતાઓને હુ મળી છું. ફિલ્મમાં તેમની કહાણીને ઘણી મોળી પાડીને દર્શાવવામાં આવી છે. હકીકતમાં આ પીડિતાઓએ તેના કરતાં ઘણાં વધુ જુલમો સહ્યાં હતાં. અને તેમને મળ્યાં પછી તેમના અનુભવો જાહેર કરવા એ મારી 'જવાબદારી' છે.
આ સિનેમા રાજકીય ઈરાદાથી બનાવવામાં આવ્યું હોવાના આરોપો તેની રજૂઆત થઈ ત્યારથી અટકી નથી રહ્યાં. પરંતુ અદાએ આવા આરોપોને રદિયો આપતાં કહ્યું હતું કે મૂવીમાં કોેઈપણ રાજકીય પક્ષ કે નેતાનો ઉલ્લેખ નથી. 'ધ કેરલ સ્ટોરી' માં માત્ર જે છોકરીઓની તસ્કરી કરી, તેમનું બ્રેનવૉશ કરીને તેમને આતંકવાદીઓ બનાવવા માટે લઈ જવામાં આવી તેમની રૃંવાડાં ખડાં કરી દેતી કહાણીઓ દર્શાવવામાં આવી છે. હું આ પીડિતાઓની પડખે છું. જો આવાતને રાજકીય ગણવામાં આવતી હોય તો ને તેની પરવા નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે આ ફિલ્મમાં ત્રણ કન્યાઓનું પરાણે ધર્મપરિવર્તન કરાવીને તેમને મુસ્લિમ બનાવી દેવામાં આવે છે અને પછી તેમને આઈએસઆઈએસમાંજોડાવાની ફરજ પાડવામાં આવે છે એ વાસ્તવિક કહાણી રજૂ કરવામાં આવી છે. અદા શર્માએ આ ત્રણ પીડિતાઓમાંની એકનું પાત્ર ભજવ્યું છે. સુદિપ્તો સેન દિગ્દર્શિત આ ફિલ્મ વર્ષ ૨૦૨૩ના મે માસમાં રજૂ થઈ હતી અને વૈશ્વિક બોક્સ ઓફિસ પર ૩૦૦ કરોડ રૂપિયાની કમાણી કરી હતી.


