- શરદ કેલકર હમણાં લગભગ આઠ વર્ષ બાદ ટેલિવિઝનની દુનિયામાં ફરીથી દેખાયો છે. શરદ કેલકરે ઘણી ટીવી સિરિયલોમાં મહત્વનાં પાત્ર ભજવ્યાં છે
શરદ કેલકર એવો અભિનેતા છે જે બોલીવુડ,ટેલિવુડ, મરાઠી ફિલ્મોમાં છવાયેલો છે. સાથોસાથ શરદ કેલકર તો અચ્છા વોઇસ ઓવર આર્ટિસ્ટ તરીકે જ એટલો જ જાણીતો છે. ઉંચો, સોહામણો, ઘેરા પ્રભાવશાળીે અવાજ ધરાવતો શરદ કેલકર બહુમુખી પ્રતિભા ધરાવતો અભિનેતા છે.
વાત જાણે અમે છે કે શરદ કેલકર હમણાં લગભગ આઠ વર્ષ બાદ ટેલિવિઝનની દુનિયામાં ફરીથી દેખાયો છે. આમ તો શરદ કેલકરે અમુક ટીવી સિરિયલોમાં પણ મહત્વનાં પાત્ર ભજવ્યાં છે. બીજીબાજુ તે હિન્દી અને મરાઠી ફિલ્મોમાં પણ મજેદાર ભૂમિકાઓ ભજવી રહ્યો છે. શરદ કેલકર તેની આ જ વ્યસ્તતાને કારણે ટીવી સિરિયલોમાં દેખાયો નથી.
મધ્ય પ્રદેશના ગ્વાલિયર શહેરમાં જન્મેલો અને ઉછરેલો શરદ કેલકર કહે છે, સાચી વાત છે. હું આઠેક વર્ષ બાદ ટીવીના નાના પડદે ફરીથી આવ્યો છું. હું તુમ સે તુમ તક નામના ટીવી શો માં આર્યવર્ધન નામના પ્રસિદ્ધ બિઝનેસમેનનું પાત્ર ભજવી રહ્યો છું. મારી ઉંમર ૪૬ વર્ષની છે. મારા જીવનમાં આશ્ચર્યજનક કહી શકાય તેવો વળાંક આવે છે. એક પાર્ટીમાં મારી મુલાકાત અનુ (નિહારિકા ચોકસી) નામની કોલેજીયન યુવતી સાથે થાય છે. અનુની વય માંડ ૧૯ વર્ષની છે. અમારી તે નાનકડી મુલાકાત યાદગાર અને રસપ્રદ બની જાય છે. અમે બંને એકબીજાંને ગમવા લાગીએ છીએ. સમય જતાં અમારો તે ગમતીલો સંબંધ પ્રેમમય બની જાય છે.
સમય જતાં આર્યવર્ધન અને અનુના પ્રેમ સંબંધ સામે સમાજમાં ઝાઝા બધા અણિયાળા સવાલ થાય છે. વિરોધ પણ થાય છે. બંને વચ્ચેની ઉંમરના મોટા તફાવત સહિત અમુક સામાજિક રૂઢી સંબંધી સવાલ પણ થાય છે.
વાર્તા એવી છે કે પેલા ૪૪ વર્ષના બીઝનેસમેન આર્યવર્ધન અને માંડ ૧૯ -૨૦ વર્ષની અનુ એકબીજાંને પામી શકે છે કે કેમ ? બંનેના જીવનમાં કેવા કેવા વળાંક આવે છે વગેરે વગેરે.
ગ્વાલિયરની પ્રસિદ્ધ ઇન્સ્ટિટયુટ ઓફ મેનેજમેન્ટમાંથી માસ્ટર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન(એમબીએ) નું ઉચ્ચ શિક્ષણ પામેલો શરદ કેલકર બહુ મહત્વનો મુદ્દો રજૂ કરતાં કહે છે, તુમ સે તુમ તક ટીવી શો ની આ વાર્તાનો સંદેશો એવો છે કે પ્રેમ નામના લીલાછમ,નાજુક, સંબંધને ઉંમર સાથે કોઇ જ સંબંધ નથી. બે વ્યક્તિનાં હૃદયમાં પાંગેરેલા પ્રેમને ઉંમરના ત્રાજવાથી ન તોળી શકાય. ઉંમર તો ફક્ત આંકડો છે. જોકે આ ફિલ્મની વાર્તા તો કાલ્પનિક છે. કાંઇ સાચી નથી. ફિલ્મ કાંઇ સમાજ સુધારવા માટે નથી હોતી.
ફિલ્મ હલચલ(૨૦૦૪) થી બોલીવુડમાં અભિનયના એકડો ઘુંટવો ઘૂંટવાથી શરૂઆત કરનારો શરદ કેલકર કહે છે, હું મારાં પાત્રની પસંદગીમાં બહુ જ કાળજી રાખું છું. સાથોસાથ મારી ભૂમિકામાં પણ વિવિધતા હોય, કંઇક નવતરરૂપ હોય તેનો આગ્રહ પણ રાખું છું. મેં અગાઉ ન કરી હોય તેવી ભૂમિકા કરવા આગ્રહ રાખું છું. મને બરાબર ખ્યાલ છે કે ફિલ્મોની વાર્તામાં ઘણી વખત એકધારાપણું હોય છે. ઘણાં પાસાં,પ્રસંગો સરખાં હોય છે.હું એટલે જ તો કંઇક નવીનતમ કરવા ઇચ્છું છું.
હા, એક ખાસ બાબત એ પણ છે કે હું,ખરેખર તો ફિલ્મના ડાયરેક્ટર જે કાંઇ ઇચ્છે કે કહે તેનો અક્ષરશઃ અમલ કરું છું. હું સામાન્ય રીતે તો મારો શોટ આપ્યા બાદ ક્યારેય પણ મોનીટર પાસે જઇને મારો અભિનય કેવોક રહ્યો તેનું નિરીક્ષણ નથી કરતો. દિગ્દર્શક કદાચ પણ બીજો શોટ ઇચ્છે તો જ. નહીં તો નહીં. અમારા પ્રયાસ છેવટે તો ફિલ્મ સરસ બને અને દર્શકોને ગમે તેવો જ હોય છે.


