Fact Check : 2026 પહેલા બંધ થઈ જશે રૂ. 500ની નોટ? જાણો સરકારની સ્પષ્ટતા
500 Rupees Currency Note: 'આવતા વર્ષથી 500 રૂપિયાની નોટ બંધ થવા જઈ રહી છે...' આવો એક મેસેજ સોશિયલ મીડિયા પર વાયુ વેગે વાયરલ થઈ રહ્યો છે. વાસ્તવમાં યુટ્યુબ પર વાયરલ થઈ રહેલા એક વીડિયોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, 'રિઝર્વ બૅંક ઑફ ઇન્ડિયા (RBI) માર્ચ 2026 સુધીમાં 500 રૂપિયાની નોટ બંધ કરવા જઈ રહી છે.' કેપિટલ ટીવી નામની યુટ્યુબ ચેનલે આ અંગે એક વીડિયો પોસ્ટ કર્યો, જે તરત જ વાયરલ થઈ ગયો અને ઘણા લોકોને આશ્ચર્ય થયું કે, શું 500 રૂપિયાની નોટ ફેઝવાઇઝ બંધ કરવામાં આવી રહી છે કે નહીં. જોકે, સરકારે તેને ફેક ન્યૂઝ ગણાવ્યા છે.
500 રૂપિયાની નોટને લઈને શું અફવા છે?
વીડિયોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, 'RBI 500 રૂપિયાની નોટ ફેઝવાઇઝ રીતે બંધ કરવામાં પર કામ કરી રહી છે, જેની પ્રક્રિયા માર્ચ 2026 સુધી પૂરી થવાની આશા છે.'
પીઆઇબી ફેક્ટ ચેક પ્રમાણે RBIએ 500 રૂપિયાની નોટને ચલણમાંથી બહાર કરવા અંગે કોઈ સત્તાવાર ઘોષણા નથી કરી. આ નોટ કાયદેસર કરન્સીમાં છે અને હજુ પણ દેશભરમાં જારી અને સ્વીકારવામાં આવી રહી છે. આ વીડિયો ભ્રામક છે અને કોઈ સત્તાવાર નિવેદન કે RBI સર્ક્યુલર દ્વારા સમર્થિત નથી.
આ પણ વાંચો: 'આ તો ભયાનક કહેવાય...' બેંગલુરુ નાસભાગની ઘટના અંગે તેંડુલકર સહિત દિગ્ગજો દુઃખી
આ કારણોસર અફવાને વધુ વેગ મળ્યો
જોકે, એપ્રિલ 2025માં જારી કરાયેલા RBIના સર્ક્યુલરથી આ અટકળોએ વધુ જોર પકડ્યું, જેમાં બૅંકો અને વ્હાઇટ લેબલ ATM ઓપરેટરો(WLAO)ને ATM દ્વારા 100 અને 200 રૂપિયાની નોટોનું વિતરણ વધારવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. એપ્રિલ 2025માં RBIએ બૅંકોને કહ્યું કે, તમે એ સુનિશ્ચિત કરો કે ATMમાંથી 100 અને 200 રૂપિયાની નોટો નીકળે, જેથી લોકોને આ ચલણી નોટોની ઉપલબ્ધતા વધારવામાં આવી શકે. બૅંકો અને વ્હાઇટ લેબલ ATM ઓપરેટરો (WLAO) એ આ નિર્દેશનો તબક્કાવાર અમલ કરવો પડશે.
RBI વોઇસ કોલ ફ્રોડ
બીજા એક મામલામાં પ્રેસ ઇન્ફર્મેશન બ્યુરો(PIB)ના ફેક્ટ ચેક યુનિટે રિઝર્વ બૅંક ઑફ ઇન્ડિયાની નકલ કરીને એક ફ્રોડ વોઇસમેઇલ કૌભાંડ વિશે ચેતવણી આપી હતી. આ વોઇસમેઇલ ખોટો દાવો કરે છે કે કથિત ક્રેડિટ કાર્ડ ફ્રોડના કારણે તમારું બૅંક એકાઉન્ટ બ્લોક કરવામાં આવશે અને પ્રાપ્તકર્તાઓને વધુ માહિતી માટે નંબર દબાવવા વિનંતી કરે છે. ચેતવણી સ્પષ્ટ છે: આ તમારી વ્યક્તિગત માહિતી ચોરી કરવા માટે રચાયેલ કૌભાંડ છે. તમને જણાવી દઈએ કે પ્રેસ ઇન્ફર્મેશન બ્યુરો ભારત સરકારની નોડલ એજન્સી છે જે સરકારી નીતિઓ, કાર્યક્રમો, પહેલ અને સિદ્ધિઓ વિશે પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાને માહિતી પ્રસારિત કરે છે.