વાહનોના ઉત્પાદનમાં 8.30 ટકા સુધીનો ઘટાડો થશે
- દેશમાં વાઈરસના ફેલાવાના કિસ્સામાં ઉત્પાદકો ચીન જેવી નીતિ અપનાવે તેવી વકી
નવી દિલ્હી, તા. 12 ફેબુ્રઆરી 2020, બુધવાર
ચીનમાં ફાટી નીકળેલા કોરોનાવાઈરસને કારણે, ૨૦૨૦માં ભારતમાં વાહનોના ઉત્પાદનમાં ૮.૩૦ ટકા સુધીનો ઘટાડો થવાની ધારણાં મુકાઈ રહી છે. પૂરવઠા ખેંચને કારણે ઘરઆંગણે ઉત્પાદન પર અસર પડી શકે છે એમ ફિચ સોલ્યુશન્સ દ્વારા એક રિપોર્ટમાં જણાવાયું છે.
કર્મચારીઓ એક બીજાના સંપર્કમાં ન આવે તે માટે ચીનમાં, ઓટો ઉત્પાદકોએ ઉત્પાદન અટકાવી દીધું છે. ભારતમાં વાઈરસનો ફેલાવો થશે તો આવી જ નીતિ અપનાવાશે તેવી અમારી ધારણાં છે, એમ રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે.
વ્યાપક રોગચાળાને હાથ ધરવામાં ભારતની આરોગ્ય સેવા સંભાળ વ્યવસ્થા નબળી હોવાનું ધ્યાનમાં રાખતા, ફિચે જણાવ્યું હતું કે, ભારતીય ઓટો ક્ષેત્ર પર અસર ઘણી જ ગંભીર જોવા મળી શકે છે, કારણ કે, ચીનની સરખામણીએ ભારતમાં આ વાઈરસનો ફેલાવો ઝડપી થઈ શકે છે.
આ ઉપરાંત ચીન ભારતનો સૌથી મોટો કમ્પોનેન્ટસ પૂરવઠેદાર દેશ હોવાથી, ચીન ખાતેથી કમ્પોનેન્ટસના પૂરવઠામાં મંદ ગતિ ભારતમાં તેની પૂરવઠા ખેંચ ઊભી કરશે જેને પરિણામે ઓટો ઉત્પાદકોએ પોતાના ઉત્પાદનને ધીમું કરી નાખવાની અથવા બંધ પાડી દેવાની ફરજ પડી શકે છે.
આ ગણતરીને ધ્યાનમાં રાખીને ભારતમાં વાહનોનું ઉત્પાદન ૨૦૨૦માં ૮.૩૦ ટકા સુધી ઘટવાનો અમારો અંદાજ છે. આ ઉપરાંત ભારતમાં નવા વાહનો માટેની મંદ માગને કારણે પણ વાહન ઉત્પાદનમાં ઘટાડો જોવાઈ રહ્યો છે.
ચીન તેના ઓટો કમ્પોનેન્ટસના ૧૦-૩૦ ટકા ભારતને પૂરા પાડે છે, અને ભારતના ઈવી સેગમેન્ટને જો ધ્યાનમાં લઈએ તો આ આંક બેથી ત્રણ ગણો મોટો હોઈ શકે. ભારત પોતાની ઓટો માગ માટે ચીન પર કેટલું નિર્ભર કરે છે તે આના પરથી પ્રતિત થઈ શકે છે.