'કોઇકે તો કિંમત ચૂકવવી જ પડશે', RBI ગવર્નરના નિવેદનથી UPI યુઝર્સનું વધ્યું ટેન્શન
તસવીર : IANS
UPI May Not Stay Free Forever, Says RBI Governor : ભારતમાં ડિજિટલ પેમેન્ટનો ક્રેઝ અત્યંત વધ્યો છે. એવામાં RBI ગવર્નરે એવા સંકેત આપ્યા છે કે UPI પેમેન્ટ હંમેશા માટે ફ્રી ના રહી શકે. નોંધનીય છે કે હાલ UPI પેમેન્ટ પર કોઈ ચાર્જ લેવામાં આવતો નથી, પરંતુ RBI ગવર્નરે સ્પષ્ટ કર્યું છે કે UPI ફ્રી છે કારણ કે તેની પાછળનું કારણ સરકારની સબસિડી છે. જે બૅન્ક અને અન્ય સ્ટેકહોલ્ડર્સને આપવામાં આવે છે.
પેમેન્ટ સેવા લાંબા સમય સુધી ફ્રીમાં ચલાવી શકાય નહીં: RBI ગવર્નર
મુંબઈના એક કાર્યક્રમમાં RBI ગવર્નર સંજય મલ્હોત્રાએ કહ્યું છે, કે 'કોઈએ તો આ કિંમત ચૂકવવી જ પડશે. કોઈ પણ સેવા, ખાસ કરીને પેમેન્ટ સિસ્ટમ લાંબા સમય સુધી ફ્રીમાં ચલાવી શકાય નહીં. '
UPIએ VISAનો રેકોર્ડ તોડ્યો
નોંધનીય છે કે UPIએ હાલમાં જ વર્લ્ડ રેકોર્ડ તોડ્યો છે. જૂન 2025માં UPIથી 18.39 અબજ ટ્રાન્ઝેક્શન થયા, જેની કુલ કિંમત 24.03 લાખ કરોડ રૂપિયા હતી. ભારત હવે રિયલ ટાઈમ ડિજિટલ પેમેન્ટમાં ગ્લોબર લીડર બની ગયું છે.
નોંધનીય છે કે RBIના ગવર્નરે માત્ર સંકેત જ આપ્યા છે, આ અંગે કોઈ જાહેરાત થઈ નથી. જો ભવિષ્યમાં UPI પર ચાર્જ લાગે તો તે વેપારીઓ પર લાગશે કે પછી તમામ યુઝર્સ પર લાગશે તે પણ સ્પષ્ટ નથી.