ઈરાન-ઈઝરાયલ સીઝફાયરથી શેરબજાર ગેલમાં, સેન્સેક્સ 700 પોઈન્ટ ઉછળ્યો, આઈટી-ઓટો શેર્સમાં તેજી
Stock Market Closing Bell: ઈરાન અને ઈઝરાયલ વચ્ચે યુદ્ધવિરામની જાહેરાત બાદ શેરબજાર ગેલમાં આવ્યા છે. સેન્સેક્સ અને નિફ્ટી સળંગ બીજા દિવસે આકર્ષક ઉછાળા સાથે બંધ રહ્યા છે. રોકાણકારોની મૂડીમાં રૂ. 3.88 લાખ કરોડનો વધારો થયો છે. જિઓ-પોલિટિકલ તણાવમાં ઘટતાં ક્રૂડના ભાવમાં પણ ઘટાડો નોંધાયો હતો. જેના લીધે વૈશ્વિક સ્તરે શેરબજાર સુધર્યા હતાં. સેન્સેક્સ આજે ઈન્ટ્રા ડે 760.8 પોઈન્ટ ઉછળ્યા બાદ અંતે 700.40 પોઈન્ટના ઉછાળે 82755.51 પર બંધ રહ્યો હતો. નિફ્ટી 200.40 પોઈન્ટ ઉછળી 25244.75 પર બંધ રહ્યો હતો. આઈટી, ટેક્નોલોજી ઓટો, ટેલિકોમ, હેલ્થકેર શેર્સમાં આજે તેજી જોવા મળી હતી.
303 શેરમાં અપર સર્કિટ
બીએસઈ ખાતે આજે કુલ ટ્રેડેડ 4162 શેર પૈકી 2815માં સુધારો અને 1210 શેરમાં ઘટાડો નોંધાયો હતો. આજે 303 શેરમાં અપર સર્કિટ વાગી હતી. જ્યારે 109 શેર 52 વીક હાઈ થયા હતાં. જો કે, 212 શેરમાં લોઅર સર્કિટ અને 43 શેર વર્ષના તળિયે નોંધાયા હતા. સેક્ટોરલ ઈન્ડેક્સમાં આઈટી ઈન્ડેક્સ 1.68 ટકા, ટેક્નોલોજી 1.69 ટકા, ઓટો 1.00 ટકા, ટેલિકોમ 1.42 ટકા, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ 1.26 ટકા ઉછાળે બંધ રહ્યો હતો.
સ્મોલકેપ શેર્સમાં તેજી
શેરબજારમાં સાર્વત્રિક ઉછાળાના માહોલ વચ્ચે આજે સ્મોલકેપ શેર્સમાં આકર્ષક તેજી નોંધાઈ છે. બીએસઈ સ્મોલકેપ ખાતે ટ્રેડેડ કુલ 972 શેર પૈકી 798 શેર ગ્રીન ઝોનમાં બંધ રહ્યા હતા. જ્યારે 171 એ રેડઝોનમાં બંધ આપ્યું હતું. સ્મોલકેપમાં અનેક શેર્સ 20 ટકા સુધી ઉછળ્યા હતાં. સ્મોલકેપ ઈન્ડેક્સ 844.25 પોઈન્ટ, જ્યારે મીડકેપ ઈન્ડેક્સ 288 પોઈન્ટના ઉછાળે બંધ રહ્યા હતાં.
આ પણ વાંચોઃ 1 જુલાઈથી આ વાહનોને નહીં મળે પેટ્રોલ-ડીઝલ કે CNG, દિલ્હી સરકારે કરી મોટી જાહેરાત
આ કારણોસર શેરબજારમાં ઉછાળો
જિઓ-પોલિટિકલ ક્રાઈસિસમાં ઘટાડોઃ ઈરાન અને ઈઝરાયલ વચ્ચે સીઝફાયરનો અમલ થઈ રહ્યો હોવાના અહેવાલો મળ્યા છે. ઈરાને અમેરિકાને સીઝફાયર જાળવી રાખવાનું વચન આપ્યું છે. ઈઝરાયલ પણ શાંતિ કરાર માટે સહમત થયુ હોવાના અહેવાલ છે.
ક્રૂડના ભાવોમાં ઘટાડોઃ ઈરાન-ઈઝરાયલ યુદ્ધના કારણે ક્રૂડના ભાવમાં નોંધાયેલી તેજી હવે અટકી છે. યુદ્ધવિરામની જાહેરાતથી ક્રૂડના ભાવ ઘટ્યા છે. ડોલર ઈન્ડેક્સ પણ 100થી નીચે ટ્રેડ થઈ રહ્યો છે. જેના લીધે વિદેશી રોકાણ વધવાની શક્યતા છે.
ભારતનું અર્થતંત્ર સકારાત્મકઃ વિવિધ રેટિંગ એજન્સીઓએ વૈશ્વિક પડકારો વચ્ચે પણ ભારતનું અર્થતંત્ર સકારાત્મક ધોરણે આગળ વધી રહ્યું હોવાનો આશાવાદ દર્શાવ્યો છે. ચાલુ નાણાકીય વર્ષમાં જીડીપી ગ્રોથ 6 ટકાથી વધુ રહેવાની સંભાવના છે. ચોમાસુ પણ સામાન્ય રહેતાં ગ્રામીણ માગ વધવાની શક્યતા છે. સ્થાનિક સ્તરે સકારાત્મક પરિબળોએ શેરબજારને ટેકો આપ્યો છે.