Rule Change : 1 જુલાઈથી 5 મોટા ફેરફાર થશે, જાણો તમારા ખિસ્સા પર કેટલો વધશે ભાર!
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Rule Change From 1st July: જૂન મહિનો પૂરો થવાને ગણતરીના દિવસ બાકી છે. દર મહિનાની જેમ, પહેલી તારીખથી જ દેશમાં મોટા ફેરફારો લાગુ કરવામાં આવશે. જે દરેકના ખિસ્સાને અસર કરી શકે છે. આ ફેરફારોમાં ઘરના રસોડામાં વપરાતા LPG સિલિન્ડરની કિંમતથી માંડી ક્રેડિટ કાર્ડના ઉપયોગ પરના ચાર્જમાં વધારો શામેલ છે. ભારતીય રેલવે 1 જુલાઈથી તેના નિયમો પણ બદલવા જઈ રહી છે.
એલપીજી સિલિન્ડરના ભાવ
દર મહિનાની પહેલી તારીખે, દેશના લોકોની નજર ઓઈલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા LPG સિલિન્ડરના ભાવમાં કરવામાં આવેલા ફેરફારો પર છે. જૂન મહિનાની શરૂઆતમાં ઓઈલ કંપનીઓએ 19 કિલોગ્રામ કોમર્શિયલ LPG ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કર્યો હતો અને તેમાં પ્રતિ સિલિન્ડર 24 રૂપિયા સુધીનો ઘટાડો કર્યો હતો. જોકે, 14 કિલોગ્રામના ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવ લાંબા સમયથી યથાવત છે. આવી સ્થિતિમાં, એવી અપેક્ષા રાખવામાં આવે છે કે તેમના ભાવમાં ફેરફાર જોવા મળી શકે છે. LPG ભાવની સાથે, કંપનીઓ જેટ ફ્યુલ (ATF)ના ભાવમાં પણ સુધારો કરી શકે છે, જેની અસર હવાઈ મુસાફરી કરતા મુસાફરો પર પડશે.
HDFC ક્રેડિટ કાર્ડ મોંઘુ
જુલાઈની શરૂઆત સાથે બીજો મોટો ફેરફાર ક્રેડિટ કાર્ડ સંબંધિત છે. HDFC બેન્ક ક્રેડિટ કાર્ડ 1 જુલાઈ, 2025થી મોંઘુ થવાનું છે. વાસ્તવમાં, બેન્કના ક્રેડિટ યુઝર્સને યુટિલિટી બિલ ચુકવણી કરવા માટે વધારાની ફી ચૂકવવી પડી શકે છે. આ ઉપરાંત, HDFC ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને ડિજિટલ વોલેટમાં એક મહિનામાં 10,000 રૂપિયાથી વધુ જમા કરાવવા પર 1 ટકા ચાર્જ વસૂલવામાં આવશે.
ICICI એટીએમ ચાર્જ
ત્રીજો નાણાકીય ફેરફાર ICICI બેન્ક સાથે સંબંધિત છે અને મેટ્રો શહેરોમાં 5 ફ્રી ટ્રાન્ઝેક્શન મર્યાદા બાદ ICICI બેન્કના એટીએમમાંથી કોઈપણ ઉપાડ પર રૂ. 23 ફી લાગુ થશે. નોન-મેટ્રો શહેરોમાં, આ મર્યાદા ત્રણ નક્કી કરવામાં આવી છે. આ ઉપરાંત, IMPS ટ્રાન્સફર પર નવા ચાર્જ અમલી બનશે. રૂ. 1000 સુધીના મની ટ્રાન્સફર પર પ્રતિ ટ્રાન્ઝેક્શન 2.50 રૂપિયા કે તેથી વધુ અને 1 લાખ રૂપિયા સુધીના ટ્રાન્સફર પર 5 રૂપિયા અને 1 લાખ રૂપિયાથી વધુ અને 5 લાખ રૂપિયા સુધીના ટ્રાન્ઝેક્શન પર 15 રૂપિયા રહેશે.
તત્કાલ રેલ ટિકિટ અને ભાડું
ભારતીય રેલવે દ્વારા ટિકિટના દરમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. ભારતીય રેલવે પહેલી જુલાઈથી એક નહીં પરંતુ ઘણા નિયમો બદલવા જઈ રહી છે. તેમાંથી પહેલો ટ્રેન ટિકિટમાં વધારો (ટ્રેન ફેર હાઇક) છે, જે હેઠળ નોન-એસી મેઇલ અને એક્સપ્રેસ ટ્રેનોના ભાડામાં પ્રતિ કિલોમીટર 1 પૈસાનો વધારો કરવામાં આવશે, જ્યારે એસી ક્લાસમાં પ્રતિ કિલોમીટર 2 પૈસાનો વધારો કરવામાં આવશે. 500 કિમી સુધીની મુસાફરી માટે સેકન્ડ ક્લાસ ટ્રેન ટિકિટ અને MSTના ભાવમાં કોઈ ફેરફાર થશે નહીં, પરંતુ જો અંતર 500 કિમીથી વધુ હોય, તો મુસાફરે પ્રતિ કિલોમીટર અડધા પૈસા વધુ ચૂકવવા પડશે. રેલ્વેનો બીજો ફેરફાર તત્કાલ ટિકિટ બુકિંગ નિયમમાં ફેરફાર સાથે સંબંધિત છે અને આ ફેરફાર હેઠળ, 1 જુલાઈ, 2025થી ફક્ત આધાર-વેરિફાઇડ યુઝર્સ જ IRCTC વેબસાઇટ અથવા એપ્લિકેશન પર તત્કાલ ટિકિટ બુક કરાવી શકશે.
દિલ્હીમાં આ વાહનો માટે ઈંધણ મળશે નહીં
દિલ્હીમાં વાહનો ધરાવતા લોકો માટે એક મોટો ફેરફાર અમલી બનવા જઈ રહ્યો છે. 1 જુલાઈથી દિલ્હીમાં પેટ્રોલ પંપ પર જૂના વાહનોને પેટ્રોલ અને ડીઝલ આપવામાં આવશે નહીં. કમિશન ફોર એર ક્વોલિટી મેનેજમેન્ટ (CAQM) અનુસાર, પહેલી જુલાઈથી, એન્ડ-ઓફ-લાઈફ (EOL) ધરાવતા જૂના વાહનોને પેટ્રોલ પંપ પર ઈંધણ મળશે નહીં. EOLમાં 10 વર્ષ જૂના ડીઝલ વાહનો અને 15 વર્ષ જૂના પેટ્રોલ વાહનો સમાવિષ્ટ છે.









