આ કેવો નિયમ? શબવાહિની અટકાવી પણ ધારાસભ્યની કારને જવા દીધી, માતાનો મૃતદેહ લઈને દીકરાઓએ ચાલીને જવું પડ્યું
Uttar Pradesh News: ઉત્તર પ્રદેશના હમીરપુર જિલ્લામાંથી એક માનવતાને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. યમુના પુલના શનિવારે (28મી જૂન) સમારકામના કામને કારણે વાહનો માટે બંધ કરવામાં આવ્યો હતો. પુલ બંધ થયાના થોડા કલાકો પછી ભાજપના ધારાસભ્યની કાર પસાર થઈ ગઈ, પરંતુ શ્રમિક દિકરાના માતાના મૃતદેહને લઈ જતી એમ્બ્યુલન્સને પસાર થવા દીધી નહીં. જેના કારણે દીકરાએ માતાના મૃતદેહને સ્ટ્રેચર પર મૂકીને લગભગ એક કિલોમીટર લાંબો પુલ પાર કરવો પડ્યો હતો.
જાણો શું છે મામલો
અહેવાલો અનુસાર, યમુના પુલનું સમારકામનું કામ ચાલી રહ્યું છે. છેલ્લા ત્રણ અઠવાડિયાથી દર શનિવારે સવારે 6 વાગ્યાથી 48 કલાક માટે પુલ પર વાહનોની અવરજવર બંધ રાખવામાં આવે છે. આ દરમિયાન શનિવારે (28મી જૂન) સવારે 6:44 વાગ્યે ભાજપના ધારાસભ્ય મનોજ પ્રજાપતિની કારને પસાર થવા દેવા માટે યમુના પુલ પરના બેરિકેડ દૂર કરવામાં આવ્યા.
બીજી તરફ સવારે 9:30 વાગ્યે હમીરપુર જિલ્લાના ટેઢા ગામના રહેવાસી 25 વર્ષીય માનસિંહ કાનપુરથી એમ્બ્યુલન્સમાં તેમની માતાનો મૃતદેહ લઈને પરત ફરી રહ્યો હતો. પરંતુ પુલ પર તહેનાત પોલીસે તેની એમ્બ્યુલન્સ રોકી દીધી. તેણે માતાના મૃતદેહને પુલ પાર લગભગ 1 કિ.મી. સુધી ચાલીને સ્ટ્રેચર પર લઈ જવું પડ્યું. ત્યારબાદ તેણે મૃતદેહને ઓટોમાં મૂકીને ઘરે જવા રવાના થયો હતો.
આ ઘટના બાદ ભાજપના ધારાસભ્ય મનોજ પ્રજાપતિએ કહ્યું કે, 'હું કારમાં નહોતો. મારો ભાઈ બીમાર હતો, જેના માટે મારા પિતા કાર દ્વારા કાનપુર થઈ રહ્યા છે.'