Stock Market Trading Time Change : શેરબજારના બંધ થવાના સમયમાં ફેરફાર થવા જઈ રહ્યો છે. આ ફેરફાર ફ્યુચર એન્ડ ઓપ્શન (F&O) ટ્રેડિંગ હેઠળ કરવામાં આવી રહ્યો છે, જેના કારણે હવે આ સેગમેન્ટના ટ્રેડર્સને ટ્રેડિંગ માટે થોડો વધારે સમય મળી શકે તેમ છે. નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)એ જાહેરાત કરી છે કે, ક્લોઝિંગ ઓક્શન સેશન (CAS)ની શરૂઆત હેઠળ ઇક્વિટી ડેરિવેટિવ્ઝ સેગમેન્ટ માટે બજાર બંધ થવાનો સામાન્ય સમય 10 મિનિટ વધારીને બપોરે 3:40 વાગ્યા સુધી કરવામાં આવશે. આ નવો નિયમ ઓગસ્ટ મહિનાથી લાગુ થઈ શકે છે.
ફેરફાર માત્ર F&O માટે
CASએ દિવસના અંતનો એવો સમય છે, જેમાં બજારના ટ્રેડર્સ યોગ્ય કિંમત નક્કી કરવા માટે ખરીદી કે વેચાણના ઓર્ડર આપે છે. NSE દ્વારા શુક્રવારે જાહેર કરાયેલા પત્ર મુજબ, ડેરિવેટિવ માર્કેટ ઓપરેટરને કેશ સેગમેન્ટમાં નવા ક્લોઝિંગ ઓક્શન તરીકે રાખવા માટે આ સમય વધારીને 3:40 વાગ્યાનો કરાયો છે. આ ફેરફાર માત્ર F&O માટે જ રહેશે, જ્યારે પ્રી-ઓપન સેશન, ટ્રેડ મોડિફિકેશન વિન્ડો અને કેશ સેગમેન્ટના સમયમાં કોઈ જ ફેરફાર થશે નહીં.
...તો આપોઆપ રદ થઈ જશે બાકી ઓર્ડર્સ
એક્સચેન્જના જણાવ્યા અનુસાર, ક્લોઝિંગ ઓક્શન સેશન દરમિયાન લાગુ થતા પ્રાઈસ બેન્ડ અને પ્રી-ટ્રેડ રિસ્ક કંટ્રોલના નિયમો ઇક્વિટી ડેરિવેટિવ્ઝ સેગમેન્ટ પર પણ લાગુ થશે. આ પગલાનો ઉદ્દેશ્ય દિવસના અંતે ટ્રેડિંગ પ્રક્રિયા દરમિયાન કેશ અને ડેરિવેટિવ્ઝ માર્કેટ વચ્ચે તાલમેલ વધારવાનો છે. નવા ફેરફાર હેઠળ, કેશ માર્કેટમાં ક્લોઝિંગ ઓક્શન સેશન શરૂ થયા પછી જ્યારે પણ સ્ટોક ફ્યુચર કોન્ટ્રેક્ટ્સની ઓપરેશન વેલ્યુ લિમિટ ફરી નક્કી થશે ત્યારે તેની જાણકારી અપાશે. બદલાયેલા પ્રાઇસ બેન્ડની બહાર જતા બાકી ઓર્ડર્સ નિયમ મુજબ આપોઆપ રદ થઈ જશે.
VWAP ગણતરીનો સમય 3:10થી 3:40
ડેરિવેટિવ કોન્ટ્રેક્ટના ક્લોઝિંગ પ્રાઇસની ગણતરી કરવાની પદ્ધતિમાં કોઈ ફેરફાર નહીં થાય. જો કે, ક્લોઝિંગ વેલ્યુ નક્કી કરવા માટે વપરાતી વોલ્યુમ-વેટેજ એવરેજ પ્રાઇસ (VWAP) વિન્ડોની ગણતરી હવે બપોરે 3:10 થી 3:40 વાગ્યા વચ્ચે થયેલા સોદાના આધારે કરવામાં આવશે.
આ પણ વાંચો : ડૉલર સામે રુપિયો કેમ નબળો પડ્યો? પાકિસ્તાન સહિતના અન્ય દેશોની કરન્સી મજબૂત થઈ, જાણો કેમ
કોન્ટ્રેક્ટ ફાઈલો અપડેટ કરે : બ્રોકર્સને સલાહ
બ્રોકર્સને સલાહ આપવામાં આવી છે કે, તેઓ આ વ્યવસ્થા યોગ્ય રીતે ચલાવવા માટે નિર્ધારિત તારીખ પહેલાં પોતાની ટ્રેડિંગ એપમાં સંબંધિત કોન્ટ્રેક્ટ ફાઈલો અપડેટ કરી લે. ક્લોઝિંગ ઓક્શન સેશનની શરૂઆતથી બજારના માળખામાં મોટો ફેરફાર આવશે, જેનાથી કિંમત નક્કી કરવાની પ્રક્રિયા સુધરશે, બજારની વિશ્વસનીયતા વધશે અને આપણી બજાર વ્યવસ્થા આંતરરાષ્ટ્રીય ધોરણોની વધુ નજીક પહોંચશે.


