Business

NBFCની નબળાઈથી કેટલીક બેન્કોની બેડ લોન્સમાં વધારો થવાની ચેતવણી

By GS Team
16 Dec 20192 mins read
This article was originally published on 16 Dec 2019
NBFCની નબળાઈથી કેટલીક બેન્કોની બેડ લોન્સમાં વધારો થવાની ચેતવણી

મુંબઈ, તા. 16 ડિસેમ્બર 2019, સોમવાર

નોન બેન્કિંગ ફાઈનાન્સિઅલ કંપનીઝ (એનબીએફસી) ક્ષેત્રમાં તાણને કારણે કેટલીક બેન્કોની બેડ લોન્સમાં વધારો થવા સંભાવના છે.  બેન્કના મુખ્ય ગણીતોમાં સુધારાનો ટ્રેન્ડ મંદ પડવાની શકયતા હોવાનું રેટિંગ એજન્સી મૂડી'સે જણાવ્યું હતું.

એનબીએફસી તથા રિઅલ એસ્ટેટ જેવા ક્ષેત્રોને  જંગી એકસપોઝરને કારણે બેન્કો નબળી પડી છે. રિટેલ બોરોઅરો તથા સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઈઝને ધિરાણ કરવામાં એનબીએફસીની નબળી પડતી ક્ષમતા બેન્કોની એસેટ કવોલિટી પર દબાણ લાવી શકે છે એવી પણ રેટિંગ એજન્સી દ્વારા ચેતવણી ઉચ્ચારવામાં આવી છે.

એનબીએફસીમાં ફન્ડિંગના પડકારો બેન્કો માટે એસેટસ જોખમો વધારી રહ્યા છે. જે અર્થતંત્ર બોન-બેન્ક ધિરાણદારો પર વધુ મદાર રાખતું થાય છે તેવા દેશોમાં આ સ્થિતિ જોવા મળે છે જે બેન્કો માટે ક્રેડિટ નેગેટિવ બને છે એમ પણ મૂડી'સ દ્વારા એક રિપોર્ટમાં જણાવાયું છે. 

એનબીએફસીમાં વધી રહેલી તાણનો અર્થ ભારતની બેન્કોની એનપીએમાં વધારો થવો, એમ કહી શકાય એમ રેટિંગ એજન્સીએ એક રિપોર્ટમાં જણાવ્યું હતું. 

રિઅલ એસ્ટેટ ક્ષેત્રમાં તાણ નજરે પડે છે જ્યાં વિકાસકો, કેશ ફલોના અભાવનો સામનો કરી રહ્યા છે જેને કારણે દેવાના ભરપાઈની જવાબદારી અદા કરવામાં તેમને મુશકેલ પડી રહ્યું છે. પોતાની જવાબદારીઓ પાર પાડવા રિઅલ એસ્ટેટ ક્ષેત્ર અત્યારસુધી એનબીએફસી પર જ મદાર રાખતું રહ્યું છે. 

રિઅલ એસ્ટેટ ક્ષેત્ર તાણનો સામનો કરી રહ્યું છે ત્યારે તેમને ભંડોળ મળી રહેવામાં ખેંચ તેમની લોન્સની કામગીરીને નબળી પાડશે. હાલમાં આર્થિક મંદીને પરિણામે એસએમઈ ક્ષેત્ર પણ કેશ ફલોની ખેંચ અનુભવી રહ્યું હોવાનું જોવા મળી રહ્યું છે.