હવે મંદિરો અને ચેરિટેબલ ટ્રસ્ટો પણ કરી શકશે શેરબજારમાં રોકાણ, જાણો કયા રાજ્યે આપી મંજૂરી
Maharashtra Temples Trust Investment Guidelines: પ્રતિષ્ઠિત મંદિરો અને ચેરિટેબલ ટ્રસ્ટ ટૂંક સમયમાં ભારતના નાણાકીય બજારોમાં સક્રિય રોકાણકાર બની શકે છે. મહારાષ્ટ્ર સરકારે 21 જુલાઈ, 2025થી અમલમાં આવેલા એક વ્યાપક સુધારા સાથે જાહેર ટ્રસ્ટોને કુલ ભંડોળના 50 ટકા સુધી રકમ મ્યુચ્યુઅલ ફંડ્સ અને ઈક્વિટીમાં રોકાણ કરવા મંજૂરી આપી છે. દાયકાથી ધાર્મિક અને સામાજિક કલ્યાણ સંસ્થાઓ સહિતના જાહેર ટ્રસ્ટ ફિક્સ્ડ ડિપોઝિટ (FD) અને પોસ્ટ ઑફિસ યોજનાઓ જેવા પરંપરાગત સાધનોમાં રોકાણ કરવા સુધી મર્યાદિત હતા. પરંતુ મહારાષ્ટ્ર સરકારના આ નિયમ બાદ પરિસ્થિતિ બદલાઈ જશે અને રાજ્ય સરકારે મ્યુચ્યુઅલ ફંડ્સ અને બોન્ડ્સમાં રોકાણને મંજૂરી આપી છે.
મહારાષ્ટ્ર સરકારનું મોટું પગલું
મહારાષ્ટ્રના ચેરિટી કમિશ્નરે ટ્રસ્ટોને તેમના રોકાણ પોર્ટફોલિયોમાં વૈવિધ્યકરણ કરવાની મંજૂરી આપતો આદેશ જાહેર કર્યો છે. આ પગલું ટ્રસ્ટ ફંડ મેનેજમેન્ટ પ્રેક્ટિસને સમકાલીન રોકાણ વ્યૂહરચનાઓનું પાલન કરવાની સાથે ફંડ વધારવા સક્ષમ બનાવે છે. નવા નિર્દેશ હેઠળ, જાહેર ટ્રસ્ટ હવે આ માધ્યમોમાં રોકાણ કરી શકે છે.
આ સેગમેન્ટમાં કરી શકશે રોકાણ
- ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સમાં ઓછામાં ઓછું 65 ટકા રોકાણ
- સેબી દ્વારા નિયમન કરાયેલ ડેટ મ્યુચ્યુઅલ ફંડ્સ
- બીએસઈ સેન્સેક્સ અને એનએસઈ નિફ્ટી જેવા ઇન્ડેક્સ પર નજર રાખતાં ETF
- સરકારી અને કોર્પોરેટ લોન સિક્યુરિટીઝ (ઓછામાં ઓછી 3-વર્ષની મેચ્યોરિટી)
- 5,000 કરોડ કે તેથી વધુ માર્કેટ કેપ ધરાવતી કંપનીઓના શેર
આ પણ વાંચોઃ તમે ઓપરેશન સિંદૂરની શરૂઆતમાં જ સીઝફાયર કરી દીધું, સંસદમાં રાહુલ ગાંધીના સરકાર પર પ્રહાર
માર્ગદર્શિકા હેઠળ જ કરવાનું રહેશે રોકાણ
આ માર્ગદર્શિકા હેઠળ નીતિમાં સુગમતા સાથે જોખમ વ્યવસ્થાપન પર પણ ભાર મૂકવામાં આવ્યો છે. ટ્રસ્ટ માર્ગદર્શિકા હેઠળ જ રોકાણ કરી શકે છે. ટ્રસ્ટ એવી સિક્યુરિટીઝમાં જ રોકાણ કરી શકશે કે, જેની પાસે ઓછામાં ઓછી બે SEBI-રજિસ્ટર્ડ ક્રેડિટ રેટિંગ એજન્સીઓ તરફથી ઓછામાં ઓછા AA રેટિંગ હોવા જોઈએ. જ્યાં મલ્ટીપલ રેટિંગ અસ્તિત્વમાં છે, ત્યાં સૌથી ઓછા બે રેટિંગ ધ્યાનમાં લેવામાં આવશે.
અબજોનું રોકાણ થવાનો આશાવાદ
મહારાષ્ટ્ર રાજ્યના ચેરિટી કમિશ્નર કાર્યાલયના ડેટા અનુસાર, રાજ્યમાં 59,143 જાહેર ટ્રસ્ટ નોંધાયેલા છે. જોકે તેમના સામૂહિક ભંડોળના સત્તાવાર આંકડા ઉપલબ્ધ નથી, બજાર નિષ્ણાતો કહે છે કે આ સંસ્થાઓ સામૂહિક રીતે હજારો કરોડના ફંડનું સંચાલન કરે છે. કેટલાક નિષ્ણાતોના અંદાજ મુજબ, આ સુધારાથી સમય જતાં રોકાણ યોગ્ય સંપત્તિમાં રૂ. 5000થી રૂ. 10,000 કરોડ સુધીનો વધારો થઈ શકે છે. આ પગલું મ્યુચ્યુઅલ ફંડ્સ, ઇટીએફ અને ડેટ માર્કેટ માટે એક નવો અને મોટો રોકાણ આધાર પૂરો પાડશે.
હાલ ખાલી મહારાષ્ટ્રના જાહેર ટ્રસ્ટો જ કરી શકશે રોકાણ
હાલ આ માર્ગદર્શિકા માત્ર મહારાષ્ટ્ર સુધી સીમિત છે. આ ફેરફાર ચેરિટેબલ ફંડ્સના સંચાલનની રીતને બદલવાની ક્ષમતા ધરાવે છે, જે તેને વધુ કાર્યક્ષમ અને આધુનિક નાણાકીય વ્યૂહરચના સાથે સુસંગત બનાવે છે, જ્યારે જોખમ સંબંધિત નિયમોનું પાલન પણ કરે છે. એવી અપેક્ષા છે કે અન્ય રાજ્યો પણ ટૂંક સમયમાં આ પહેલોને અનુસરી શકે છે.