Get The App

રશિયા પાસેથી ભારત ઓઈલ ખરીદશે કે નહીં? વિદેશ મંત્રાલયે આપ્યો સ્પષ્ટ જવાબ

Updated: Feb 9th, 2026

GS TEAM

Google News
Google News
રશિયા પાસેથી ભારત ઓઈલ ખરીદશે કે નહીં? વિદેશ મંત્રાલયે આપ્યો સ્પષ્ટ જવાબ 1 - image


India-Russia Oil Trade : અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં ભારત પર ટેરિફ ઘટાડવાની જાહેરાત કરી હતી. આ સાથે તેમણે એવો પણ દાવો કર્યો હતો કે, ટેરિફ ઘટાડવા બદલ ભારત રશિયા પાસેથી ઓઈલ ખરીદી ઘટાડવા સંમત થયું છે. ત્યારે ભારત રશિયા પાસેથી ઓઈલ ખરીદશે કે નહીં? તે અંગે વિદેશ મંત્રાલયે સ્પષ્ટ જવાબ આપ્યો છે.

વધુમાં વધુ સ્રોત જાળવવા રાખવા ભારતની રણનીતિ : વિદેશ સચિવ

ભારત દ્વારા રશિયા પાસેથી ઓઈલ ખરીદવા મામલે વિદેશ સચિવ વિક્રમ મિસરીએ આજે (9 ફેબ્રુઆરી) કહ્યું છે કે, અમે રાષ્ટ્રના હિતને ધ્યાને રાખીને ઊર્જા ખરીદી માટેના સ્રોતો પર નિર્ણય લઈશું. ભારત-ટ્રેડ ડીલને લઈને ટ્રમ્પે દાવો કર્યો હતો કે, ભારત રશિયા પાસેથી તેલ નહીં ખરીદે અને અમેરિકા-વેનેઝુએલા પાસેથી તેલ ખરીદવા માટે સંમત થયું છે. આ મામલે વિદેશ સચિવે કહ્યું કે, ઊર્જાની ખરીદી માટે વધુમાં વધુ સ્રોત જાળવવી રાખવાની ભારતની રણનીતિ રહી છે.

ખરીદી ક્યાંથી કરવી, તે તેલ કંપનીઓ નક્કી કરતી હોય છે : વિક્રમ મિસરી

વિદેશ સચિવ વિક્રમ મિસરીએ કહ્યું કે, ‘ભારત વૈશ્વિક ઊર્જા માર્કેટમાં કિંમતોને સ્થિર રાખવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. ભારત અને તેની આસપાસના અન્ય ઘણા દેશોનો આ સમાન રસ છે કે, ઊર્જાના ભાવો સ્થિર રહે. તમામ દેશોને ઊર્જાનો સુરક્ષિત અને ભરોસાપાત્ર પુરવઠો મળવો જોઈએ’. તેમણે વધુમાં ઉમેર્યું કે, ‘ખરેખર તો તેલ કંપનીઓ જ નક્કી કરતી હોય છે કે ક્યાંથી તેલની ખરીદી કરવી અને આ નિર્ણયો મુખ્યત્વે બજારની સ્થિતિ પર આધારિત હોય છે.’

આ પણ વાંચો : મોબાઈલ-ટીવીના ગુલામ ના બનશો, AIને પૂછો કે સારા પુસ્તક ક્યાં મળશે: 'પરીક્ષા પે ચર્ચા'માં PM મોદીની સલાહ

‘નિર્ભરતા વધુ હોવાના કારણે ભાવો પ્રત્યે સંવેદનશીલ રહેવું પડે’

ભારત દ્વારા રશિયા પાસેથી તેલ ખરીદવાની યોજના અંગે પૂછવામાં આવેલા એક પ્રશ્નના ઉત્તરમાં તેમણે કહ્યું કે, ‘આપણે એક વિકાસીત અર્થતંત્ર છીએ. આપણે આપણા સંશાધનોની ઉપલબ્ધી પ્રત્યે સતર્ક રહેવું પડે છે. જ્યારે આપણે 80-85 ટકા સુધી આયાત પર નિર્ભર હોઈએ, ત્યારે આપણે મોંઘા ભાવો પ્રત્યે સંવેદનશીલ રહેવું પડે છે. એમાં કોઈ નવાઈની વાત નથી કે, ઊર્જા મામલે આપણી સર્વોચ્ચ પ્રાથમિકતા ભારતીય ગ્રાહકોના હિતોનું રક્ષણ કરવાની છે.’

‘અમે ઘણા દેશો પાસેથી ઊર્જાની ખરીદી કરીએ છીએ’

તેમણે વધુમાં કહ્યું કે, ‘તાજેતરના વર્ષોમાં વૈશ્વિક અર્થતંત્રને અનેક અનિશ્ચિતતાઓનો સામનો કરવો પડ્યો છે, જેના કારણે વૈશ્વિક ઊર્જા બજારોની સ્થિરતા પર ઊંડો પ્રભાવ પડ્યો છે. ભારત વિશ્વમાં એક મોટો ગ્રાહક દેશ છે, જેમાં વૈશ્વિક ઊર્જા બજારમાં સ્થિરતા લાવવામાં પણ મહત્ત્વની ભૂમિકા નિભાવે છે. અમે ઘણા દેશો પાસેથી ઊર્જાની ખરીદી કરીએ છીએ. આ ક્ષેત્રમાં જેટલી વિવિધતા હશે, અમે તેટલા જ સુરક્ષિત રહીશું.’

આ પણ વાંચો : અંતરિક્ષમાં પણ ભારતનું સૈન્ય બનાવવા માંગ! દુશ્મન દેશો ગરબડ કરે તો ઈન્ટરનેટ-GPS સહિતના સેક્ટર્સ પર ખતરો